
સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આવેલી હસનપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન લીધા બાદ સામૂહિક ફૂડ પોઈઝનિંગની આશંકાથી બાળકોની તબિયત લથડતાં ચકચાર મચી ગઈ છે. અડદની દાળનું ભોજન કર્યા બાદ એક પછી એક બાળકોને તકલીફ થવા લાગી હતી, જેના પગલે તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પ્રાથમિક માહિતી મુજબ, 45થી વધુ બાળકોને ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટનાથી વાલીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે અને સ્થાનિક પ્રશાસન પણ સક્રિય બન્યું છે. ઘટનાની જાણ થતાં જ શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. શાળામાં પીરસવામાં આવેલા ભોજનની ગુણવત્તા અને બાળકોની તબિયત બગડવાનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
ઈડર સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ સુપ્રરિન્ટેન્ડેન્ટ ડૉ. સંજય ચૌહાણે પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “લગભગ 37 બાળકોને ઝેરી પદાર્થ જમવામાં આવી જવાથી ફૂડ પોઈઝનિંગ જેવી ઘટના બની હોવાનું જણાયું હતું. અમારી ટીમે તમામ બાળકોને ઈડર સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવ્યા હતા.
તપાસ દરમિયાન બાળકોને ઊબકા, સામાન્ય ઉલટી અને પેટમાં દુખાવો જેવી તકલીફો હતી. અમારા દ્વારા અને અમારી મેડિકલ ટીમ દ્વારા દરેકને ઓઆરએસનું પાણી, એન્ટાસિડ જેવી દવાઓ આપવામાં આવેલી હતી અને દરેકને આઈસ્ક્રીમ પણ આપવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કરાયાના બે કલાક પછી કોઈ પણ બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ જોવા મળેલ નથી. હાલ તમામ બાળકોની સ્થિતિ સારી છે અને તેમને કોઈ ગંભીર તકલીફ નથી.”
આ ઘટનાના સંદર્ભમાં, ભૂતકાળમાં પણ શાળાના મધ્યાહન ભોજન અથવા નાસ્તામાં અનિયમિતતા અંગેની ગંભીર ફરિયાદો સામે આવી હોવાનું એક વાલી/સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે. એક વ્યક્તિના જણાવ્યા મુજબ, અગાઉ નાસ્તામાં મગ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી મરેલી ગરોળી મળી આવી હતી. આ અંગે શાળાના જવાબદાર વ્યક્તિઓને જાણ કરવામાં આવતા તેમને ‘જે થાય તે કરી લો’ અને ‘આવું તો ચાલતું રહે’ જેવા બેજવાબદાર જવાબો મળ્યા હોવાના આરોપો પણ લગાવવામાં આવ્યા છે. જો આ આરોપો સાચા ઠરે તો તે શાળાના ભોજનની ગુણવત્તા અને સલામતી વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
એકસાથે મોટી સંખ્યામાં બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ બન્યું છે. ઈડર સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવાર અને તેમની સ્થિતિ અંગે તબીબો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. અડદની દાળના ભોજન બાદ જ બાળકોની તબિયત કેમ લથડી? શું ભોજનમાં કોઈ ખામી હતી કે અન્ય કોઈ કારણ જવાબદાર છે? આ તમામ પ્રશ્નોના ઉત્તર તપાસના અંતે જ સામે આવશે. વાલીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ઊભા થયેલા આ પ્રશ્નોના નિરાકરણ માટે ભોજનની ગુણવત્તાની ઝીણવટભરી તપાસ અત્યંત મહત્વપૂર્ણ બની છે. સમગ્ર મામલે તપાસમાં શું સામે આવે છે તેના પર સૌની નજર છે.
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, જુઓ Video