સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 72 કલાકથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લા ઉપરાંત ઉપરવાસ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેતા સ્થાનિક નદીઓમાં પાણીની આવક નોંધાઈ છે. સિંચાઈ માટે જળાશયોમાં પાણીને લઈ ચિંતા સતાવી રહી હતી. પરંતુ હાલમાં વરસાદના નવા રાઉન્ડને લઈ નવી આવક જળાશય-ડેમમાં થવા લાગી છે. હરણાવ સ્ટેજ-2 ડેમને લઈ વોર્નિંગ એલર્ટ અપાઈ છે.
હરણાવ નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. હરણાવ નદીમાં સોમવારે એક જ દિવસમાં પાંચ ટકા જળસંગ્રહનો વધારો થયો છે. પાણીની આવક વધવાને લઈ હવે જળ સપાટી વોર્નિગ સ્ટેજ કરતા વધારે થતા જ ખેડબ્રહ્મા તાલુકાના નિચાણવાળા નદી કાંઠા વિસ્તારને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે. ઉપરવાસમાં વરસાદની સંભાવનાઓ જોતા નદીમાં પાણી છોડવાની સ્થિતિ ઉભી થવાની શક્યતાને ધ્યાને રાખી સાવચેત રહેવા માટે તાકીદ કરાઈ છે.
ઉપરવાસ વિસ્તારમાં વરસાદને લઈ આજે સોમવારે હરણાવ નદીમાં નોંધપાત્ર આવક નોંધાઈ હતી. જેને લઈ હરણાવ ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો હતો. સવારે 7 કલાકે હરણાવ ડેમમાં જળસંગ્રહ 77.70 ટકા જેટલો હતો. જે સાંજે 7 કલાકે વધીને 83.76 ટકાએ પહોંચ્યો હતો. આમ દિવસ દરમિયાન વરસાદી પાણીની આવક થવાને લઈ ડેમમાં પાંચ ટકા જળ જથ્થો વધ્યો હતો.
ડેમની મહત્તમ જળસપાટી હાલમાં દોઢેક મીટર જેટલી દુર છે, પરંતુ જે રીતે હાલમાં વરસાદી માહોલ જામ્યો છે, તેને લઈ વરસાદની આગાહી મુજબ વધારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદની સ્થિતિમાં ઉપરવાસમાંથી નદીમાં પાણીનો જથ્થો વધતા નદીમાં પાણી છોડવામાં આવી શકે છે. આમ વોર્નિંગ સ્ટેજ પર પહોંચ્યા બાદ વિસ્તારના કાંઠા અને નિચાણવાળા એરિયાને સાવચેત કરવામાં આવ્યા છે. હરણાવ નદીમાં પાણી હાલ પણ વહેવાને લઈ કેટલાક ડીપ બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. ખેડબ્રહ્મા શહેરમાં આવેલ નિચેનો બેઠો પુલ પણ હાલમાં બંધ કરી દઈ સાવચેતીના પગલા ધરવામાં આવ્યા છે.
ગમે ત્યારે હરણાવ ડેમમાંથી પાણી છોડવાની પરિસ્થિતિ ઉભી થઈ શકે એમ હોવાની સંભાવનાને લઈ નિચાણ વાળા વિસ્તારના ગામોને સાવચેત કરાયા છે. જેમાં ખેડબ્રહ્મા તાલુકાના નીચી ધનાલ, વાસણા, ગલોડીયા, જગમેર, પાદરડી, રુદ્રમાળા, દેરોલ, પરોયા, જગન્નાથપુરા, વાઘેશ્વરી, કલોલ, સીલવાડ, વાલરણ, લક્ષ્મીપુરા, નાકા અને પઢારા સહિત ખેડબ્રહ્મા શહેરના નિચાણ વાળા વિસ્તારને સાવચેત કરાયા છે.
Published On - 8:22 pm, Mon, 18 September 23