Sabarkantha: વડાલીમાં શિક્ષકના ઘરને તસ્કરોએ નિશાન બનાવી ચોરી આચરી, પરિવાર લગ્નમાં જતા ઉઠાવ્યો ફાયદો

હિંમતનગર શહેરમાં આવેલા મહેતાપુરા વિસ્તારમાં વહેપારીના ઘરમાંથી 75 લાખ રુપિયાના સોના ચાંદીના ઘરેણાં અને રોકડની ચોરી થઈ હતી. જેનો ભેદ ઉકેલાયો નથી, ત્યાં ચારે બાજુ તસ્કરોની બૂમ વધી ચુકી છે.

Sabarkantha: વડાલીમાં શિક્ષકના ઘરને તસ્કરોએ નિશાન બનાવી ચોરી આચરી, પરિવાર લગ્નમાં જતા ઉઠાવ્યો ફાયદો
વડાલી પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી
| Edited By: | Updated on: May 14, 2022 | 2:05 PM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં તસ્કરોએ જાણે કે માઝા મુકી દીધી છે. જિલ્લામાં હિંમતનગર (Himmatnagar) શહેરમાં ચારેકોર તસ્કરો હાજરી પુરાવી રહ્યા છે. તો જિલ્લામાં પણ ઇડર, વડાલી અને પ્રાંતિજ-તલોદમાં પણ તસ્કરો ત્રાટકવાના બનાવો સામે આવી રહ્યા છે. હિંમતનગર શહેરમાં 75 લાખ રુપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં હજુ પણ તસ્કરો ત્રાટકવાને લઈને પોલીસ માટે પણ હવે સ્થિતી પડકાર જનક બની રહી છે. જોકે તસ્કરોને ઝડપી લેવા માટે હવે જિલ્લા પોલીસ (Sabarkantha Police) દ્વારા ખાસ આયોજન પણ ઘડવામાં આવ્યુ છે. વડાલી પોલીસ મથકે નોંધેયેલી પોલીસ ફરિયાદ મુજબ શિક્ષકના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યુ છે.

વડાલી શહેર આેવેલી દુધ ઉત્પાદક મંડળી નજીકમાં ભાડાના મકાનમાં રહેતા શિક્ષક બાબુભાઈ ચૌધરી ઘર બંધ કરીને પરીવાર સાથે બહાર ગામ ગયા હતા. વળી આ અરસા દરમિયાન શાળાઓમાં વેકેશન હોઈ વતનમાં લગ્નમાં પુરી હાજરી આપવા ઉપરાંત રાત્રે પરત ફર્યા નહોતા. આ દરમિયાન બંધ મકાનના મોકાનો ફાયદો ઉઠાવીને તસ્કરોએ રાત્રી દરમિયાન ઘરમાં તસ્કરોએ ઘૂસી જઈને ચોરી આચરી હતી. તસ્કરોએ તિજોરી કબાટને તોડીને તેમાંથી સોનાનુ બિસ્કીટ અને અન્ય સોના ચાંદીના દાગીનાની ચોરી આચરી હતી.

તિજારીમાં મુકેલ સોનાના બિસ્કીટ ઉપરાંત સોનાના પેન્ડન્ટ અનને કાને પહેરવાની સોનાની રીંગ તથા બુટ્ટીઓ સહિતના ઘરેણાંની ચોરી કરી હતી. આ ઉપરાંત ચાંદીના છડાં અને સિક્કા તેમજ રોકડ રકમ રાખેલી હતી તેની ચોરી આચરી હતી. વડાલી પોલીસે ઘટના અંગે જાણ થતા આ અંગેની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડીને ચોરી આચરી હોઈ પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લઈને તપાસ હાથ ધરી છે.

પોલીસ દ્વારા પણ બંધ મકાનોને લઈને લોકોને જાગૃતી રાખવા અને પોલીસ સહિત આડોશ પાડોશમાં જાણ કરી લાંબો સમય મકાન બંધ રાખવા માટે અવાર નવાર અપીલ કરવામાં આવતી હોય છે. જોકે બીજી તરફ કેટલાક વિસ્તારમાં પોલીસને પેટ્રોલીંગની અપૂરતા પ્રમાણને લઈને પણ તસ્કરોને મોકળાશ મળી રહી છે.

હિંમતનગરમાં સૌથી વધુ પરેશાન

તસ્કરોએ હિંમતનગર શહેરમાં ચારે બાજુ માઝા મુકી છે. મહેતાપુરા વિસ્તારમાં 75 લાખ રુપિયાની મત્તાની ચોરી આચરી હતી. તેની કોઈ કડી હજુ હાથ લાગી નથી. શહેરના ઋષભદેવ સોસાયટી વિસ્તારમાં પણ ધોળે દિવસે ચોરી થઈ હતી. આ ઉપરાંત મહાકાળી મંદિર રોડ પર નિલકંઠ વિલા સોસાયટીમાં પણ બે બંગલાઓમાં તસ્કરો ઘરમાં ઘૂસીને બિન્દાસ્ત ચોરી આચરી હતી. પ્રાંતિજમાં પણ ગ્રીન પાર્ક સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યા હતા.

 

Published On - 1:52 pm, Sat, 14 May 22