Ram Navami 2023: 30 માર્ચે ભગવાન રામનો જન્મદિવસ એટલે કે રામનવમીનો તહેવાર છે.દેશભરમાં ધૂમધામથી રામનવમીનો તહેવાર ઉજવાય છે.ગુજરાતમાં પણ તમામ શહેરોમાં વિવિધ આયોજનો અને શોભાયાત્રા નીકળતી હોય છે.ત્યારે રાજકોટમાં થોડા સમય પહેલા જ મહાનગર પાલિકા દ્વારા વિશાળ અને સુંદર રામવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.ત્યારે રામનવમીના દિવસે બાળકો અને સિનિયર સીટીઝનો માટે મનપા દ્વારા ખાસ ઓફર રાખવામાં આવી છે.જેથી વધુમાં વધુ લોકો રામવનની મુલાકાતનો લાભ લઈ શકે.
રામનવમીના દિવસે રામવનની મુલાકાત 12 વર્ષથી નીચેના બાળકો અને સિનિયર સિટીઝનો માટે ફ્રી રાખવામાં આવી છે.સામાન્ય દિવસોમાં બાળકોની 10 રૂપિયા અને વ્યસ્કોની 20 રૂપિયા ટીકીટ લેવામાં આવે છે.જે રામનવમીના દિવસે ફ્રી રહેશે.જેથી રામનવમીના દિવસે મોટી સંખ્યામાં લોકો આ ઓફરનો લાભ લેશે.
મનપા દ્વારા ગયા ગયા વર્ષે આજીડેમ નજીક 47 એકર જમીનમાં 13.77 કરોડના ખર્ચે ભવ્ય રામવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.પ્રકૃતિના ખોળે આ રામવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેમાં નાના મોટા 65 હજાર જેટલા વૃક્ષ પણ વાવવામાં આવ્યા છે.ભગવાન રામે કરેલા 14 વર્ષના વનવાસના પ્રસંગો રામવનમાં આબેહૂબ કંડારવામાં આવ્યા છે.
રામવનનો પ્રવેશ દ્વાર ભગવાન રામના ધનુષ આકારનો બનાવવામાં આવ્યો છે.પ્રવેશદ્વારથી અંદર જતા ભગવાન રામની વિશાળ પ્રતિમા રાખવામાં આવી છે.તેનાથી આગળ જટાયુ ચોકમાં જટાયુ દ્વાર છે.આ ઉપરાંત ભગવાન રામનો રાજ્યાભિષેક,હનુમાન જી દ્વારા જડીબુટીનો આખો પર્વત લઈ આવવાનો પ્રસંગનું પણ સ્કલ્પ્ચર મૂકવામાં આવ્યું છે.ભગવાન રામ અને સીતા હરણને નિહાળતા હોય તેવી પ્રતિમા પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે.આ ઉપરાંત રામવનમાં આવેલા એક તળાવમાં રામસેતુ પણ બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Rajkot: બાળકની સારવાર અને માનતાનું બહાનું આપી લોકોને ભરમાવી પૈસા પડાવતી ટોળકીથી સાવધાન!
ખૂબ જ સુંદર રીતે રામવનનું પ્રકૃતિ વચ્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.નિર્માણથી લઈને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકોએ રામવનની મુલાકાત લીધી છે.ત્યારે રામવનના નિર્માણ બાદ આ પહેલો રામનવમી હોવાથી મોટી સંખ્યામાં લોકો રામવનની મુલાકાત લેશે તેવી શક્યતા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…