Rajkot: ઢોંગી તાંત્રિકની છેતરપિંડીનો ભોગ બન્યો ગરીબ પરિવાર, વિધિના બહાને લાખો પડાવ્યા

રાજકોટમાં ગરીબ પરિવાર ઢોંગી તાંત્રિકની છેતરપિંડીનો ભોગ બન્યો છે. માનસિક તણાવ અનુભવતી મહિલાએ ટીવીમાં આ ઢોંગી તાંત્રિકની જાહેરાત જોઈ તેનો સંપર્ક કર્યો હતો અને આ તાંત્રિકે મહિલા પાસેથી 2.73 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. ભક્તિનગર પોલીસે આ શખ્સને રાજસ્થાનથી ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Rajkot: ઢોંગી તાંત્રિકની છેતરપિંડીનો ભોગ બન્યો ગરીબ પરિવાર, વિધિના બહાને લાખો પડાવ્યા
| Edited By: | Updated on: May 22, 2023 | 6:41 PM

રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા કનુભાઈ વાઘેલાની પત્નિનો 2 વર્ષ પહેલાં અકસ્માત થયો હતો. અકસ્માતમાં માથાના ભાગે ઇજા થઇ હતી. ત્યારબાદ તેઓ સતત માનસિક તણાવમાં રહેતા હતા. 2022માં 11માં મહિનામાં તેમના પત્નિએ ટીવીમાં જાહેરાત જોઈને મોબાઈલ નંબર મેળવી તાંત્રિકનો સંપર્ક કર્યો હતો. આ તાંત્રિકે સમસ્યા દૂર કરવાનું બહાનું આપી પોતે વિધિ શરૂ કરે છે તેમ જણાવી રૂપિયા પડાવાવવાનું શરૂ કર્યું હતું. પહેલા તો આ તાંત્રિક 1500 થી 2 હજાર જેટલા રૂપિયા થોડા થોડા સમયે ઓનલાઇન ટ્રાન્સફર કરાવતો હતો. ત્યારબાદ ધીમે ધીમે તે વધુ રકમ 30 થી 35 હજારની માગ કરતો ગયો.

મહિલાએ સોનાના દાગીના ગીરવે મૂકી આ ઢોંગીને રૂપિયા ચૂકવ્યા

અંધશ્રદ્ધાનો ભોગ બનેલા પરિવારને સમસ્યાનું સમાધાન આવશે તે લાલચથી રોકડા રૂપિયા પૂરા થઈ ગયા તો પોતાના સોના ચાંદીના દાગીના ગીરવે મૂકીને આ ઢોંગીને રૂપિયા ચૂકવ્યા. કટકે કટકે આ ઢોંગી તાંત્રિકે ગરીબ પરિવારના મહિલા પાસેથી 2.73 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી. રીક્ષા ચલાવી મહિને માંડ 10થી 12 હજાર કમાતા કનુભાઈ સોનું ગીરવે મૂકી લીધેલા રૂપિયાનું દર મહિને 3 હજાર જેટલું વ્યાજ ચૂકવી રહ્યા છે અને લોકોને પણ આ પ્રકારના ઢોંગી તાંત્રિકોમાં ન ફસાવવાની અપીલ કરી રહ્યા છે.

આ પણ વાંચો : RTE હેઠળ 400થી વધુ એડમિશન રદ કરાયા, વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરવા ગેરરીતિ આચર્યાનું સામે આવ્યું

લાખો આપ્યા છતાં સમસ્યાનું સમાધાન ન આવતા પોલીસ ફરિયાદ નોંધાવી

લાખો રૂપિયા પડાવ્યા છતાં સમસ્યાનું સમાધાન ન આવતા મહીલા અને તેના પતિને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો અને ગત 17 એપ્રિલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આ ઢોંગી બાબા વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસ પાસે માત્ર આ શખ્સનું નામ અને મોબાઈલ નંબર હતા. જેના આધારે પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસની મદદ લેતા આરોપી રાજસ્થાનના પાલીમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું અને ભક્તિનગર પોલીસની ટીમે રાજસ્થાનના પાલી પહોંચી આ ઈશ્વર રાધાવલ્લભ જોશી નામના શખ્સને ઝડપી પાડયો છે.

ટીવીમાં જાહેરાત આપી હોવાથી વધુ લોકો ભોગ બન્યા હોઈ શકે છે

ટીવીમાં ખોટી જાહેરાત આપી હોવાથી અન્ય કોઈ લોકોને પણ આ જ રીતે છેતરપિંડીનો ભોગ બનાવ્યા છે કે કેમ તેને લઈને પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.જેમાં આ ઢોંગીએ વધુ લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવી શકે છે.

 રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:40 pm, Mon, 22 May 23

Follow Us
Loading...
Unable to load recommendations.