RAJKOT : આજે 2 ઓગસ્ટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના જન્મદિવસે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી અને તેમના આશીર્વાદ લીધા.
બંને મહાનુભાવોની મુલાકાત બાદ વજુભાઈએ કહ્યું, સંઘમાં વડીલોના આશીર્વાદ લેવાની પ્રથા છે, આથી વડીલ તરીકે વિજયભાઈ આશીર્વાદ લેવા આવ્યાં હતા અને મેં આશીર્વાદ આપ્યા છે કે તેઓ રાષ્ટ્રનું કામ અને સમાજ સેવા કરતા રહે. તેમણે કહ્યું,”હું પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો હતો, કામ કરું છું અને આગળ પણ કરતો રહીશ.”
તેમણે કહ્યું કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે 2022 વિધાનસભા ચૂંટણી અંગેની કોઈ ચર્ચા થઇ નથી. સમય આવ્યે સત્તાધીશો તેમજ સંગઠનના નેતાઓ મળીને ચર્ચા કરશે અને પોતે પણ એ ચર્ચામાં જોડાશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અંગે તેમણે કહ્યું કે જયારે કટોકટી લાદવામાં આવી ત્યારે નાનીવયના કાર્યકર્તા હોવા છતાં તેમણે જેલવાસ ભોગવ્યો હતો. તેમની હિંમત અને કાર્યશક્તિને દાદ આપવા યોગ્ય છે. તેઓ આજે ફક્ત મુખ્યપ્રધાન છે એટલું જ નથી, તેઓ પાર્ટીના પ્રમુખ રહી ચુક્યા છે, તેમને સંગઠનનો પણ અનુભવ છે,લોકોની માંગણીઓથી સારા પરિચિત છે. આ માંગણીઓને કેવી રીતે પૂર્ણ કરવી તેના માટે પણ વિજયભાઈ આજે પરફેક્ટ વર્ક કરી રહ્યાં છે.
Published On - 10:25 am, Mon, 2 August 21