Rajkot : ખેડૂતો માથે વધુ એક મુસીબત, હવે મગફળીમાં જોવા મળી લીલી-કાબરી ઇયળ

રાજકોટ (Rajkot) જિલ્લાના ખેડૂતો (Farmers) માથે વધુ એક મુસીબત આવી છે, હવે મગફળીમાં લીલી-કાબરી ઇયળ જોવા મળી છે.

Rajkot : ખેડૂતો માથે વધુ એક મુસીબત, હવે મગફળીમાં જોવા મળી લીલી-કાબરી ઇયળ
પ્રતીકાત્મક તસ્વીર
| Edited By: | Updated on: Aug 03, 2021 | 6:34 PM

એક તરફ આ વખતે વરસાદ ખેંચાતા જગતનો તાત (Farmers) ચિંતામાં મુકાયો છે ત્યાં બીજી બાજુ મગફળીના પાકમાં લીલી-કાબરી ઇયળનો ઉપદ્રવ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.આ વર્ષે અનેક વિસ્તારોમાં મગફળીના (Groundnut) પાકમાં આ પ્રકારની ઇયળ જોવા મળી રહી છે.આ ઇયળનો ઉપદ્રવ થતા તે પાકને સીધી રીતે નુકસાન કરે છે અને મોલને મોટો થવા દેતો નથી પરીણામે મગફળીનું ઉત્પાદન થવું મુશ્કેલ બને છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આ પ્રકારની ઇયળો જોવા મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્રમાં વરસાદ ન હોવાથી પહેલા મોલ સુકાય રહ્યો છે અને તેવામાં અનેક સ્થળે આ ઇયળ જોવા મળી છે. જેના કારણે ખેડૂતો રસાયણીક દવાનો છંટકાવ કરી રહ્યા છે પરંતુ તે દવાઓમાં પણ ભેળસેળ થતી હોવાથી ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે.

ઇયળ કઇ રીતે પહોંચાડે છે નુકસાન

ખેડૂતોના કહેવા પ્રમાણે કોઇપણ પાકમાં પાંદડા તેનું મુખ્ય રસોડું છે એટલે કે કોઇપણ છોડને પોષણ પાંદડામાંથી પોષણ મળતું હોય છે પરંતુ ઇયળ છે તે રાત્રીના સમયે પાકમાં આવે છે અને પાંદડાઓને કોરી ખાય છે પરિણામે પાંદડાઓમાં જારી થઇ જાય છે અને તે મગફળીના મોલનું પોષણ થવા દેતું નથી પરીણામે છોડમાં મુંડા પડી જાય છે એટલે કે મગફળીનું બીજ ખરાબ થઇ જાય છે. ખેડૂતોનું માનવું છે કે વાદળછાયું વાતાવરણ હોવાથી હવામાં ભેજનું પ્રમાણ વધારે છે પરિણામે ઇયળનો ઉપદ્રવ વધ્યો છે.

દવાનો છંટકાવથી ઇયળ દૂર થશે-કૃષિમંત્રી
આ તરફ મગફળીમાં ઇયળના ઉપદ્રવ અંગે કૃષિ વિભાગે પણ સંશોધન શરૂ કર્યું છે. રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુના કહેવા પ્રમાણે લીલી ઇયળ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. જો કે સામાન્ય રસાયણિક દવાના છંટકાવથી આ ઇયળનો નાશ થઇ જાય છે જેથી કૃષિ વિભાગના અધિકારીઓ ગામડે ગામડે જઇને આ અંગે ખેડૂતોને સમજ આપશે અને આ ઇયળને કારણે ખેડૂતોને નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખવામાં આવશે.

મહત્વનું છે કે આ વર્ષે કપાસમાં ગુલાબી ઇયળના ભયને કારણે કપાસ કરતા મગફળીનું વાવેતર મબલખ પ્રમાણમાં થયું છે એક તરફ વરસાદ ખેંચાતા પહેલાથી જગતનો તાત ચિંતિત હતો ત્યારે ઇયળનો એટેક થતા તેની મુશ્કેલીમાં વધારો થયો છે. બીટી કપાસમાં આવેલી ઇયળના નાશ અંગે હજુ સુધી કૃષિ વિભાગ નક્કર સંશોધન કરી શકી નથી ત્યાં મગફળીમાં આવેલી ઇયળે કૃષિ વિભાગને પણ વિચારવા માટે મજબૂર કરી દીધા છે. હવે આ ઇયળથી ખેડૂતો કઇ રીતે છુટકારો મેળવશે તે જોવાનું રહ્યું.

આ  પણ વાંચો : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના કાર્યક્રમમાં PM મોદીએ રાજકોટને યાદ કર્યું, કહ્યું રાજકોટનું ઋણ કાયમ મારા માથે છે

આ પણ વાંચો :Yo Yo Honey Singhની પત્ની શાલિની તલવારે પતિ પર ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો