RAJKOT : સમગ્ર ગુજરાતમાં વરસાદની ઘટ છે. જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. રાજકોટના મોટાભાગના તાલુકાઓમાં ગત વર્ષની સરખામણીએ ઓછો વરસાદ વરસ્યો છે. જેને કારણે પાક સુકાવા લાગ્યા છે. રાજકોટના ધોરાજી તાલુકામાં આવેલા મોટી પાનેલીના ખેડૂતો એક તરફ ખેંચાયેલા વરસાદથી પરેશાન છે. પાણી નહીં મળતા પાક સુકાઈ રહ્યો છે, બીજી તરફ મગફળીમાં પુષ્કળ પ્રમાણમાં જીવાત જોવા મળી છે. આ જીવાતને કારણે પાકની વૃદ્ધિ અટકી ગઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.એક તરફ વરસાદની ઘટ તો બીજી તરફ મગફળીના ઉભા પાકમાં જીવાતનો આંતક. જો હવે વરસાદ નહીં આવે તો ઉભો પાક મુરઝાઈ જશે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે.