રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા સમ્રાટ મેઇન રોડ પર 21 માર્ચના રોજ ભુગર્ભ ગટરની સાફ સફાઇ સમયે શ્રમિક મેહુલ મેસડા અને અફઝલ નામના મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરનું મોત નીપજ્યુ હતુ. આ કેસમાં શ્રમિક મેહુલના પરિવારજનો અને વાલ્મિકી સમાજના અગ્રણીઓએ મહાનગરપાલિકા સામે ત્રણ ડિમાન્ડ મૂકી હતી.
જેમાં મૃતકના પરિવારને આર્થિક સહાય,પરિવારના એક સભ્યને મનપામાં નોકરી અને સરકારી આવાસમાં રહેવા માટે ક્વાર્ટર આપવાની માંગ કરી હતી.જો કે રાજકોટ મહાનગરપાલિકાએ 10 લાખ રૂપિયાની સહાય આપવાની માંગ સ્વીકારતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.
આ અંગે TV9 ન સાથે વાતચીત કરતા વાલ્મિકી સમાજના અગ્રણી બટુક વાધેલાએ કહ્યું હતું કે શ્રમિકના મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને તેઓ નિરાધાર થઇ ગયા છે ત્યારે અમે મહાનગરપાલિકા પાસે 10 લાખ રૂપિયાની આર્થિક સહાય,એક આવાસમાં ક્વાર્ટર અને નોકરીની માંગ કરી હતી. આ માંગ સાથે અમે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને શાસકો સાથે ચર્ચા કરતા અમારી બે માંગ સ્વીકારી છે.
જેમાં પરિવારને 10 લાખ રૂપિયા આપવામાં આવશે,સાથે સાથે એક સરકારી ક્વાર્ટર માટેની તમામ વહિવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને નિયમ પ્રમાણે આવાસની ફાળવણી કરવામાં આવશે. નોકરી આપવી વહીવટી રીતે શક્ય ન હોય તેથી તે માંગ સ્વીકારવામાં આવી ન હતી. મહાનગરપાલિકાએ બે માંગ સ્વીકારતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારીને તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.
તો આ તરફ ભુગર્ભ ગટરમાં ગેસ ગળતરથી થયેલા મોત મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ભુગર્ભ ગટર સાફ સફાઇના કોન્ટ્રાક્ટર અફઝલ પુપર અને તપાસમાં જેમના પર નામ ખુલે તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ ફરિયાદ પ્રમાણે ભુગર્ભ ગટરની સાફ સફાઇ સમયે કોઇપણ પ્રકારની મશીનરીનો ઉપયોગ કર્યા વગર આ ભુગર્ભ સાફ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી છે જો કે આ કિસ્સામાં શ્રમિક મેહુલને બચાવવા જતા કોન્ટ્રાક્ટર અફઝલનું પણ મોત નીપજ્યું હતું.
Published On - 7:26 am, Thu, 23 March 23