Rajkot: સુખસાગર સોસાયટીમાં રાધિકા વસોયા નામની 25 વર્ષીય પરિણિતાએ ગઈકાલે મોડીરાત્રે આત્મહત્યા કરી લેતા અરેરાટી મચી જવા પામી હતી. પરિણીતાએ પોતાના રૂમમાં પંખા સાથે સાલ બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિણીતાની આત્મહત્યા કરવા પાછળના કારણથી પરિવારજનો પણ અજાણ છે. સમગ્ર કેસમાં રાજકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના 150 ફૂટ રીંગરોડ પર પુનિતનગરની પાછળ આવેલી સુખસાગર સોસાયટીમાં મૃતક પરિણીતા તેના પતિ, દિયર અને સાસુ-સસરા સાથે રહેતી હતી. ત્રણેક વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા અને પરિવાર સુખસાગર સોસાયટીના સદભાવના એપાર્ટમેન્ટમાં રહે છે. ગઈકાલે મોડીરાત્રે 12 વાગ્યા આસપાસ પરિવારના અન્ય સભ્યો સુતા હતા અને રાધિકા તેમના રૂમમાં હતી અને તેના પતિ એપાર્ટમેન્ટમાં નીચે હતા.
પતિએ ઉપર આવતા તેના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ અનેકવાર દરવાજો ખખડાવ્યો પરિણીતાએ દરવાજો ન ખોલતા પરિવારને કઈક અજુગતું થયાની શંકા ગઈ હતી. અનેક વખત ખખડાવવા છતા દરવાજો ન ખોલતા દરવાજો તોડી ઘરના સભ્યોએ અંદર જોતા પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં પરિણીતા લટકી રહી હતી.
આ દ્રશ્યો જોતા પરિવારના તમામ લોકોના હોશ ઉડી ગયા હતા અને રાધિકાને તાત્કાલિક નીચે ઉતારી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જેથી પરિવારમાં શોક છવાઈ ગયો હતો અને પતિ આઘાતમાં સરી પડ્યા હતા.
સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ સી.જે. ઝાલાએ રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા પીએસઆઈ સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાતનું કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. રાધિકાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. તેમના પિતાનું લાંબા સમય પહેલા જ અવસાન થયું હતું અને રાધિકાના માતાએ બીજા લગ્ન કર્યા તે વલસાડ ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોલીસ દ્વારા હવે આ સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે. \
Published On - 6:49 pm, Tue, 27 June 23