વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આગામી 29મેએ સૌરાષ્ટ્રના એક દિવસના પ્રવાસે આવશે. પીએમ મોદી રાજકોટના (Rajkot News) આટકોટ ખાતે પટેલ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આટકોટમાં 40 કરોડના ખર્ચે 200 બેડની મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાયું છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી બે લાખથી વધુ લોકોની જનમેદની એકત્રિત કરાશે. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા, ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. આ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા છે.
આ પાટીદાર સમાજની 200 બેડની મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં અનેક હાઈટેક સુવિધાઓથી સજ્જ છે. જેમાં 6 ઓપરેશન થિયેટરની સાથે જ સિટી સ્કેન, એક્સ-રે, સોનોગ્રાફી, રેડિયોલોજી વિભાગ ઉપલબ્ધ છે. ICCU અને વેન્ટિલેટર સાથેના 40 બેડની સુવિધા દર્દીઓને મળશે. આ હોસ્પિટલમાં 24 OPD અને ઈમરજન્સી કેરની સુવિધા દર્દીઓને મળશે.
આ પાટીદાર સમાજની હોસ્પિટલનું નિર્માણ દાતાઓ પાસેથી 40 કરોડ રૂપિયા ઉઘરાવીને કરવામાં આવ્યું છે. જેમાં સર્વ સમાજના દાતાઓએ સહકાર આપ્યો છે. ભારત સરકાર કે રાજ્ય સરકારની યોજના પ્રમાણે પણ જે લોકો જે – તે કાર્ડ ધરાવતા હોય તો તેમને પણ સારવાર આપવામાં આવશે. તેમજ જે લોકો આ યોજનામાં હેઠળ આવતા ન હોય તો પણ રાહત દરે સારવાર પુરી પાડવામાં આવશે. આ હોસ્પીટલ સૌરાષ્ટ્ર ના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આરોગ્ય મંદીર સાબિત થશે તેમ ભરતભાઈ બોઘરાએ વધુમાં જણાવ્યું હતું
Published On - 3:27 pm, Tue, 10 May 22