રાજકોટમાંથી ઝડપાયેલા કફ સીરપમાં અફીણ હોવાનું સામે આવ્યુ, આ રીતે ચલાવતા હતા નશાનો કારોબાર

રાજકોટનો (Rajkot) એક શખ્સ કોઈપણ આધાર પુરાવા વગર જ કફ સિરપનો વેપાર કરતો હતો. પોલીસે આ શખ્સ પાસેથી 23 લાખની કિંમતના 13 હજારથી વધારે કફ સિરપની બોટલો કબ્જે કરી છે.

રાજકોટમાંથી ઝડપાયેલા કફ સીરપમાં અફીણ હોવાનું સામે આવ્યુ, આ રીતે ચલાવતા હતા નશાનો કારોબાર
| Edited By: | Updated on: Mar 15, 2023 | 6:01 PM

નશો કરવા માટે નશેડીઓ કોઈને કોઈ રસ્તો અપનાવી લેતા હોય છે. રાજકોટમાં કફ સીરપ સાથે થતા નશાના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટનો એક શખ્સ કોઈપણ આધાર પુરાવા વગર જ કફ શિરપનો વેપાર કરતો હતો. પોલીસે આ શખ્સ પાસેથી 23 લાખની કિંમતના 13 હજારથી વધારે કફ સીરપની બોટલો કબ્જે કરી છે. પોલીસ તપાસમાં આ નેટવર્ક કચ્છના આદિપરાથી ચાલતું હોવાનું સામે આવ્યું છે જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

કફ સીરપમાં મળ્યુ અફીણ

રાજકોટ પોલીસે મિતેશપરી ગોસાઈ નામના વ્યક્તિને સકંજામાં લીધો છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે રાજકોટના રૈયારોડ પર અમૃત પાર્ક નજીક એક મકાનમાં કફ સીરપનો જથ્થો પડ્યો છે જે ગેરકાયેદસર છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને અહીંથી 13338 જેટલો કફ સીરપનો જથ્થો પકડી પાડ્યો હતો.

પોલીસે આ જથ્થા સાથે મિતેશની અટકાયત કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે આ જથ્થો પ્રતિબંધિત કફ સીરપ છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસે તપાસ કરાવતા આ કફ સીરપમાં અફીણ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે પોલીસે એનડીપીએસનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કઈ રીતે ચલાવતા નશાનો કારોબાર ?

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલના કહેવા પ્રમાણે નશાનો કારોબાર કચ્છના આદિપુરથી ચાલતો હોવાનું સામે આવ્યું છે.આદિપુરમાં રહેતા સમીર ગોસ્વામી નામનો શખ્સ મિતેશને આ સિરપ મોકલતો હતો. આ શખ્સો મેડિકલમાં દવાઓ જે રીતે પાર્સલ થાય છે તે રીતે પાર્સલ કરીને અલગ અલગ સ્થળોએ મોકલતા હતા. પોલીસની તપાસમાં છેલ્લા ત્રણ મહિનાથી આ શખ્સ ગોડાઉન ભાડે રાખીને આ ઘંધો કરતો હતો. ત્યારે આ શખ્સોએ કોને કોને આ જથ્થો સપ્લાય કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

પોલીસના કહેવા પ્રમાણે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં આ પીણું કેફી પદાર્થ છે અને મેડિકલમાં પણ તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર આ પીણું વેચી શકાય નહિ જો કે આ પ્રકારના પીણા પાનના ગલ્લે અને જનરલ સ્ટોરમાં પણ બેફામ મળી રહ્યા છે, ત્યારે આ શખ્સોએ ક્યાં ક્યાં આ પીણું સપ્લાય કર્યું છે. કેટલા સમયથી આ ગોરખધંધો કરતા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે આદિપુરના સમીર નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે તે પોલીસના હાથે લાગ્યા બાદ નશાના કારોબાર પરથી વઘુ પડદો ઉંચકાશે.

Follow Us
Loading...
Unable to load recommendations.