જેતપુર જામકંડોરણા ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા ‘લાગણીના વાવેતર’ નામે શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જયેશ રાદડિયાએ પિતા વિઠ્ઠલ રાદડિયાની સ્મૃતિમાં આ સમૂહ લગ્નોત્સવ આયોજિત કર્યો હતો. જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયા દ્વારા સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની સ્મૃતિમાં લાગણીના વાવેતર શાહી સમુહ લગ્નોત્સવનું આયોજન જામકંડોરણા ખાતે કરાયું હતું.
આ સમુહ લગ્નોત્સવમાં 165 જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. રાદડિયા પરિવાર દ્વારા યોજાયેલ આ સાતમાં સમુહ લગ્નોત્સવમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, ગોરધન ઝડફિયા,ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજરી હતી સાથે રાજ્યભરના લેઉવા પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો પણ આ ભવ્ય સમુહ લગ્નોત્સવમાં દંપતીને આશીર્વાદ આપ્યા હતા.
વિન્ટેજ કાર, ખુલ્લી જીપ અને ઘોડા પર વરઘોડા સમૂહ લગ્નના મંડપ સુધી વરઘોડો નીકળ્યો હતો. જેમાં જયેશ રાદડિયા પણ ઘોડા ઉપર સવાર થઈને લગ્ન ઉત્સવ સુધી ગયા હતા. દાતાઓને ઘોડાગાડી તેમજ ઘોડા ઉપર સવારી કરીને લગ્ન ઉત્સવના સ્થળ સુધી લઈ જવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન જયેશ રાદડિયાની આગેવાનીમાં થયું હતું. સામાજિક જવાબદારીના ભાગરૂપે એક સુખી સંપન્ન પરિવાર લગ્ન કરે તે જ રીતે જાજરમાન લગ્ન ઉત્સવ ઉજવાયો હતો. જેમાં બપોરે 2 વાગ્યે ભવ્ય વરઘોડો જામકંડોરણા ગામ માંથી કાઢ્યો હતો જેમાં 25 વિન્ટેજ કાર, ખુલ્લી જીપ, શણગારેલી મોટર કાર અને ઘોડાના કાફલા સાથે આ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડામાં પાંચ ડીજેના વાહનો, ઢોલ મંડળીઓ, બેન્ડવાજાના ગ્રૃપ જોડાયા હતા.અને સતત એક કલાક સુધી આ વરઘોડો જામકંડોરણાના મુખ્ય માર્ગો પર ફર્યો હતો.
નવદંપતીને કરિયાવરમાં 123 આઇટમો અપાઇ હતી. એક દીકરી પિતાના ઘરેથી વિદાય લે ત્યારે તેને ઉપયોગી જીવન જરૂરી તમામ વસ્તુઓ પિતા કરિયાવર સ્વરૂપે આપતા હોય છે. જે દરેક પિતા દીકરીને લાગણીથી આપતા હોય છે. ત્યારે આ સમૂહલગ્નોત્સવમાં પણ જયેશ રાદડિયા દ્વારા દંપતીને 123 આઇટમો કરિયાવાર સ્વરૂપે આપવામાં આવશે.
જેમા સોનાની ચુની 2 નંગ, ફ્રિઝ, ડબલ બેડ,લાકડાના કબાટ, ડ્રેસિંગ ટેબલ, વરરાજા અને વરકન્યા માટે સૂટ આ ઉપરાંત શ્રીમદ ભાગવત ગીતા, સાવજનું કાળજું નામની પુસ્તક પણ કરિયાવારમાં અર્પણ કરવામાં આવી હતી. આ સમૂહ લગ્નમાં એક લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવા આવી હતી અને લગ્નની સમગ્ર વ્યવસ્થામાં 4 હજાર સ્વયંસેવકો ખડેપગે રહ્યા હતા.
જામકંડોરણા અને આસપાસના લોકો તેમજ ગુજરાતભરમાંથી આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમના માટે રહેવાની તથા જમવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમુહલગ્નના દિવસે એક લાખ લોકો એકસાથે ભોજન લે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી આ માટે જામકંડોરણા ખાતે ભવ્ય રસોડાનું પણ આયોજન કરવામાં આવ્યું. લગ્ન પ્રસંગની આખી વ્યવસ્થામાં જામકંડોરણા તાલુકાના 4 હજાર જેટલા નવયુવાનો સ્વયંસેવક તરીકે કામગીરીમાં જોડાયા અને ભવ્યતિભવ્ય લગ્ન ઉત્સવ ઉજવાયો હતો.
વિથ ઇનપુટ: નાસિર બોઘાણી, જેતપુર TV9