Gujarat : ધોરાજીમાં 1 કલાકમાં અઢી ઇંચ વરસાદ, સુરતના માંડવીમાં ધોધમાર, પ્રાંતિજ અને કપરાડામાં ભારે વરસાદ

|

Sep 21, 2021 | 4:20 PM

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ નોંધાયો છે. ધોરાજી શહેરમાં 1 કલાકમાં ધોધમાર અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં ચકલા ચોક, બજારો, ત્રણ દરવાજા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. રાજકોટના યાત્રાધામ વીરપુરમાં મેઘરાજાની મહેર જોવા મળી છે. અહીં સવારથી જ અસહ્ય ઉકળાટ બાદ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી સ્થાનિક લોકોમાં ખુશીની લહેર દોડી […]

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ નોંધાયો છે. ધોરાજી શહેરમાં 1 કલાકમાં ધોધમાર અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં ચકલા ચોક, બજારો, ત્રણ દરવાજા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

રાજકોટના યાત્રાધામ વીરપુરમાં મેઘરાજાની મહેર જોવા મળી છે. અહીં સવારથી જ અસહ્ય ઉકળાટ બાદ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી સ્થાનિક લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. તો બીજી તરફ ખેતરમાં ઉભા પાકને પણ પાણી મળી રહ્યું છે. વરસાદ શરૂ થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

રાજકોટ શહેરમાં જોરદાર વરસાદી ઝાંપટુ પડયું છે. અને, શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. શહેરમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે.

સુરતના માંડવી તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. દુબાવ પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ગોળધા ડેમમાં પાણીની આવક વધતાં ડેમ ઓવરફ્લો થયો છે. વરેહ નદી બે કાંઠે વહેતી થઈ છે. વરેહ નદી પર આવેલા લો લેવલ પુલો વરસાદી પાણીમાં ગરકાવ થયો છે.

વલસાડના કપરાડામાં ભારે વરસાદનો માહોલ છવાયો છે. જેમાં ફતેપુરા અને પિપરોની ગામ વચ્ચેનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો છે. સમગ્ર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ નોંધાયો છે. જેમાં રામપુરા, આમોદ્રા, સોનગઢ, સોનાસણ, મૌછામાં વરસાદ નોંધાયો છે. તો હિંમતનગરમાં હળવા ઝાપટારૂપે વરસાદ વરસ્યો છે.

સાબરકાંઠાના વિજયનગરના પાલ ચિતરિયા પાસેથી પસાર થતી હાથમતી નદી બે કાંઠે વહી રહી છે. રાજસ્થાનમાં ઉપરવાસ વિસ્તારમાં વરસાદથી હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે. રાજસ્થાનના સરહદી વિસ્તારના કણબઈ, ઉખડી, ડબાચ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. હાથમતી નદી ગાંડીતૂર બનતા સ્થાનિક લોકો જોવા ઉમટયાં હતા.

નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં પણ પાણીની આવક થઈ છે. ઉપરવાસ દેડિયાપાડા અને સાગબારામાં વરસાદ થતાં નવા નીર આવ્યાં છે. રૂલ લેવલ જાળવવા 4 દરવાજા દ્વારા 17,402 ક્યુસેક પાણી છોડાયું છે. કરજણ નદીમાં તબક્કાવાર 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે.

 

Next Video