જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસ વધ્યા છે. હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રાહુલ ગાંધી અમદાવાદના (Ahmedabad) રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજર રહ્યા. આ કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત(CM Ashok Gehlot) સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા. આ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી. તેમણે કહ્યુ કે, ‘જો અમારી સરકાર આવશે તો ખેડૂતોનું 3 લાખ રુપિયાનું દેવુ માફ કરીશું’
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમ દરમિયાન ગુજરાતની જનતાને અનેક વચન આપ્યા. રાહુલ ગાંધીએ GST, ગુજરાતમાં પકડાતો ડ્રગ્સનો જથ્થો, ખેડૂતોનું દેવુ, કન્યા શિક્ષણ, નોટબંધી જેવા અલગ અલગ મુદ્દાઓને લઇને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે, છેલ્લા ઘણા સમયથી ગુજરાત ડ્રગ્સનું કેન્દ્ર બની ગયુ છે. દર બે-ત્રણ મહિને ગુજરાતના બંદરો પર ડ્રગ્સ ઝડપાય છે. ગુજરાતની ભાજપ સરકાર ડ્રગ્સ મામલે મૌન બેઠી છે. રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે એક તરફ ગુજરાતમાં વિરોધ કરનારાઓ પર દંડા વરસાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ ડ્રગ્સ લાવનારા સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
GST મામલે રાહુલ ગાંધીએ કહ્યુ કે, GSTથી વેપારી વર્ગને માત્ર અને માત્ર નુકસાન છે. માત્ર બે-ત્રણ ઉદ્યોગપતિઓેને જ ફાયદો જ કરાવવામાં આવી રહ્યો છે. ગુજરાત માત્ર બે-ત્રણ ઉદ્યોગપતિઓના જ હવાલે કરી દીધુ હોવાનો આક્ષેપ કર્યો. રાહુલ ગાંધીએ કહ્યુ કે, ગુજરાતમાં એરપોર્ટ સહિતની મિલકતો ઉદ્યોગપતિના હવાલે કરી દેવામાં આવી છે. તો બીજી તરફ નોટબંધી પણ નાના વેપારીઓને ખતમ કરી દીધા હોવાનું નિવેદન રાહુલ ગાંધીએ આપ્યુ હતુ.
રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમમાં કહ્યુ કે, અમારી સરકાર આવશે તો ખેડૂતોનું 3 લાખ રુપિયાનું દેવુ માફ કરીશું, સરદાર પટેલે જે પણ સંસ્થા બનાવી તેના પર ભાજપે કબ્જો જમાવી લીધો છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યુ કે, ગુજરાતની જનતા પરેશાન થઇ ગઇ છે. આંદોલન કરવા માટે પણ ગુજરાત સરકારની પરવાનગી લેવાની વાત કરે છે.
Published On - 2:27 pm, Mon, 5 September 22