મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સાંજે પોરબંદરમાં ઉપસ્થિત રહ્યા હતા અને મહાત્મા ગાંધીની ભૂમિ પર આયોજિત તિરંગાયાત્રામાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ મંદિરે પુષ્પાજલી અર્પણ કરી હતી. આ અવસરે સાંસદ રામ મોકરિયા, રમેશ ધડુક, વિનોદ ચાવડા, મહેશ કસવાલા સહિતના આગેવાનો સાથે જોડાયા હતા. પોરબંદર (Porbandar) ખાતે મુખ્યમંત્રીએ જાહેરસભાને સંબોધી હતી અને સભા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં જોડાયા હતા. અને તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની જન્મભૂમિપોરબંદરમાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા હું મારી જાતને ધન્ય ગણું છું.
તેમણે જણાવ્યું હતું કે આઝાદીનો અમૃત મહોત્સવ (Azadi ka Amrit mahotsav) દેશ માટે બલિદાન આપનારા રાષ્ટ્ર વીરોને યાદ કરવાનો અવસર તો છે જ, પરંતુ સાથે સાથે દેશ માટે સમર્પિત થવાનો અવસર છે તેમ જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે વિકાસયાત્રામાં પણ સહભાગી થવા તેઓએ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ સ્વરાજની સ્થાપના કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યાર બાદ તેમના નેૃત્વમાં નીકળેલી રેલી અગાઉ પોરબંદરની વિવિધ સંસ્થાઓ જિલ્લા ભાજપ પરિવાર તેમજ વિવિધ અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. પોરબંદરના સુદામા ચોક ખાતેથી તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી પોરબંદરના વિવિધ માર્ગોમાં સહભાગી થઈ પ્રજાજનોને શુભકામના પાઠવી હતી.આ પ્રસંગે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ સૌને શુભકામના પાઠવતા કહ્યું હતું કે જે રીતે લોટમાં રોટલા વખતે પાણી બધા તત્વોને જકડી રાખે છે તે રીતે રાષ્ટ્રભક્તિ આપણને જકડી રાખે છે. ભારત માતાના જમણા હાથમાં ગુજરાત છે તેમ જણાવીને ગુજરાતના સપૂતોને યાદ કર્યા હતા.
ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ વડાપ્રધાન નરેન્દ્રમોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર સેવાના અભિયાનો તેમજ ઘર તિરંગા અભિયાનમાં જોડાયેલા નાગરિકોને શુભકામના પાઠવી હતી.આ પ્રસંગે સાંસદ રમેશધડુક, સાંસદ રામ મોકરીયા ,સાંસદ વિનોદ ચાવડા ,જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ મોઢવાડિયા, નગરપાલિકાના પ્રમુખ સરજુ કારીયા, અગ્રણી જીગ્નેશ કારીયા તેમજ અગ્રણી ને સંગઠનના પદાધિકારીઓ ઉપરાંત અધિકારીઓમાં ઇન્ચાર્જ કલેક્ટર વી કે અડવાણી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાંઉપસ્થિત રહ્યા હતા.