પોરબંદરના (Porbandar) એક રિટાયર્ડ બેન્ક કર્મચારી (Bank employee) પોતાની રિટાયર્ડ લાઈફમાં પોતામાં રહેલ કળાના માધ્યમથી પોરબંદરના ચોપાટી ખાતે અનેક રેતશિલ્પ (Sand sculpture)બનાવી લોકોને વિવિધ સંદેશ અને પ્રેરણા આપવાનું કામ કરી રહ્યા છે.
સામાન્ય રીતે લોકો પોતાની રિટાયર્ડ લાઈફ એસો-આરામથી જીવતા હોય છે. પરંતુ પોરબંદરના રિટાયર્ડ બેન્ક કર્મચારી નથુભાઈ ગરચર પોતાની રિટાયર્ડ લાઈફમાં પોતાની અંદર રહેલ કલાનો સદઉપયોગ કરી રહ્યા છે. નથુભાઈ ગરચર નાનપણથી જ ચિત્રકલા પ્રત્યે ખુબ રુચિ ધરાવતા હતા. ચિત્રકલામાં નિપુણ થવા માટે નથુભાઈ રેતીમાં ચિત્ર બનાવવાની પ્રેક્ટિસ કરતા. આ પ્રેક્ટિસ દરમિયાન નથુભાઈને રેતશિલ્પમાં હાથ બેસી જતા તેઓએ માત્ર 12 વર્ષની ઉંમરથી રેતશિલ્પ બનાવવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં નથુભાઈએ 1000થી વધુ રેતશિલ્પ બનાવ્યા છે. નથુભાઈ વિવિધ પ્રકારના રેતશિલ્પ બનાવે છે. રેતશિલ્પ બનાવવા માટે 1 કલાકથી લઈ એક દિવસ સુધીનો સમય લાગી શકે છે.
નથુભાઈ તહેવાર અને ખાસ દીવસોને અનુલક્ષીને રેતશિલ્પ બનાવે છે. નથુભાઈ રેતશિલ્પ પર ખૂબ જ ઝીણવટ ભરી કલાકૃતિઓ પણ બનાવે છે. નથુભાઈ રેતશિલ્પ બનવા માટે કોઈ કેમિકલનો પણ ઉપયોગ કરતા નથી. માત્ર દરિયાનું પાણી,ચપ્પુ,પીંછી,અને નાનકડા પતરાના ટુકડાથી રેતશિલ્પ તૈયાર કરે છે. નથુભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ રેતશિલ્પને મોટાભાગના લોકો વખાણી રહ્યા છે. નથુભાઈ પોરબંદર જિલ્લાનું ગૌરવ વધારી રહ્યા છે.અને સૌ નથુભાઈની કલાને સલામ કરી રહ્યા છે.
નથુભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ રેતશિલ્પમાંથી મોટાભાગના રેતશિલ્પમાંથી લોકોને કોઈને કોઈ સારો સંદેશ અને પ્રેરણા મળી રહે છે.ત્યારે નથુભાઈના રેતશિલ્પને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ દુનિયામાં પ્રસિધ્ધ થાય છે.
આમ તો નથુભાઈ ચિત્ર કલા સાથે રેતીશિલ્પ બનાવી લોકો સુધી સંદેશ પહોંચાડે છે. તાજેતરમાં જ લતા મંગેશકર, નરેન્દ્ર મોદી, ગાંધીજી, હનુમાનજી, કૃષ્ણ સુદામાના શિલ્પ બનાવી લોકો સમક્ષ મુકયા હતા.
Published On - 8:52 pm, Fri, 29 April 22