ગુજરાતના (Gujarat) પાટણમાં રખડતા ઢોરનો(Stray Cattle ) આતંક વધ્યો છે. ખેતરમાં જઈ રહેલી મહિલા(Women) પર વિફરેલા ખૂંટીયાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલા ગંભિર ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. શહેરના મુખ્ય માર્ગો પર અડિંગો જમાવી બેસતા રખડતા ઢોરને લીધે લોકો પારવાર પરેશાની ભોગવી રહ્યા છે. ભૂતકાળમાં ઢોરની અડફેટે લોકોએ જીવ પણ ગુમાવ્યો છે.પાટણ શહેરમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. અવાર નવાર આવા અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં મીડિયા રિપોર્ટ અનુસાર પાટણ શહેરમાં રાણીની વાવ રોડ પર આવેલી દ્વારિકા નગરીમાં રહેતા કૈલાશબેન ભરતભાઈ પટેલ વહેલી સવારે ભેંસો દોહવા માટે તેમના પુત્ર સાથે બાઇક પર નીકળ્યા હતા.
તેઓ અનાવાડા તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તા પર તોફાને ચઢેલી ગાયની અડફેટે ચઢતાં બાઈક પટકાયું હતું, જેમાં બાઇકની પાછળ બેઠેલાં કૈલાશબેન પટેલને માથાના ભાગે ઇજાઓ પહોંચતા તેઓ બેભાન થઈ ગયા હતાં. જ્યારે પુત્રને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.જ્યારે આ અંગે ચર્ચાઓ મુજબ અનાવાડા રોડ – એ નેશનલ હાઇવે લેવલનો રોડ હોઈ અહીં રોડ પર બેસતાં પશુઓના કારણે વાહનચાલકોને અકસ્માત થવાની સતત ભીતિ સેવાઇ રહી છે. જેમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને નગરપાલિકા તંત્ર દ્વારા જાહેર માર્ગો પર લોકોના જાનને જોખમરૂપ બનતા રખડતા પશુઓ અંગે યોગ્ય પગલાં લેવાય તે ખૂબ જરૂરી છે.
Published On - 4:03 pm, Sun, 29 May 22