Fair Price Shop: પંચમહાલ અને મહિસાગરમાં સસ્તા અનાજનાં નામે કચરો પધરાવવાનો ધંધો? અમુકમાં જીવાત તો અમુકમાં પ્લાસ્ટિકનાં ચોખાનાં આક્ષેપ

|

Jun 23, 2021 | 7:24 PM

Fair Price Shop: પંચમહાલ(Panchmahal) જિલ્લામાં સસ્તા અનાજ(Fair Price Shop)ની દુકાને લાભાર્થીઓને મળ્યું સડેલું અનાજ.

Fair Price Shop: પંચમહાલ(Panchmahal) જિલ્લામાં સસ્તા અનાજ(Fair Price Shop)ની દુકાને લાભાર્થીઓને મળ્યું સડેલું અનાજ. જિલ્લામાં સરકારની યોજના હેઠળ પાત્રતા ધરાવતા રેશનકાર્ડ (Ration Card)ધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લામાં 400થી વધુ સસ્તા અનાજની દુકાનો મારફતે વિતરણ કરવામાં આવી રહેલા અનાજ અને કઠોળના જથ્થામાં યોગ્ય ગુણવત્તા ન હોવાની ફરિયાદો ઉઠી છે.

મફત વિતરણ કરાતા ચણા અને મકાઈમાં જીવાત પડી ગઈ હોવા છતા ગરીબોને તેનું વિતરણ કરાઈ રહ્યું છે.. કાલોલના રામનાથ ગામમાં પણ લોકો સડેલું અનાજ લેવા માટે મજબૂર બન્યા છે.

લોકોએ સરકારી તંત્ર સામે રોષ વ્યક્ત કરતા ચીમકી ઉચ્ચારી છે કે આગામી સમયમાં ગુણવત્તાયુક્ત અનાજ આપવામાં નહીં આવે તો તેઓ સડેલું અને જીવાતવાળું અનાજ રાંધીને નેતાઓ અને જવાબદાર અધિકારીઓને ખાવા મજબૂર કરાશે.

વાત ખાલી પંચમહાલની નથી પરંતુ આવા જ પ્રકારની ફરિયાદો ઉઠી છે મહિસાગરમાં પણ. આ જિલ્લામાં પણ સરકાર માન્ય દુકાનોમાં આપવામાં આવતા ચોખામાં ગેરરીતિનો વીડિયો વાયરલ થયો હતો જે સામે આવ્યા બાદ તંત્રમાં સોપો પડી ગયો છે.

ગરીબોને આપવામાં આવતા અનાજમાં પ્લાસ્ટિકના ચોખા મળ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. ખાનપુરના બડેસરા ગામની સરકાર માન્ય દુકાનમાં વહેંચણી બાદ ગરીબ પ્રજાનો આ આક્ષેપ છે અને બકાયદા તેનો વિડિયો પણ બનાવીને વાયરલ થઈ જતા તંત્ર માટે આ તપાસનો વિષય બન્યો છે. સરકાર દ્વારા આપવામાં આવેલા ચોખા પ્લાસ્ટિકના હોવાનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ થતા સરકારી તંત્ર માટે નીચાજોણા સમાન થયું છે.

આ પહેલી વાર નથી કે જ્યારે ગુજરાતનાં વિવિધ વિવિધ વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનોમાં હલકી ગુણવત્તા વાળું અનાજ પધરાવવામાં આવતું હોવાની બુમો પડી હોય. સરકારી અનાજ સગેવગે કરવાથી લઈ અનાજમાં કાંકરા અને માટી ભેગી કરાતી હોવાનાં આક્ષેપ પણ સામે આવ્યા છે ત્યારે સરકારે હવે આ મુદ્દે જાગી જઈને કસુરવારોને પાઠ ભણાવવાની જરૂર છે.

Next Video