
નવસારી જિલ્લાની પૂર્ણા નદીમાં તાજેતરમાં આવેલા ભયાનક પૂર બાદ એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે. આશરે ₹120 કરોડના ખર્ચે નિર્માણાધીન ટાઈડલ ડેમ નજીક નદીનું વહેણ અચાનક બદલાઈ ગયું છે. નદીના વહેણ બદલાવાને કારણે કસબા અને વિરાવળ ગામના ખેડૂતોની ખેતીની કિંમતી જમીનોનું મોટા પાયે ધોવાણ થયું છે, જેના પરિણામે ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ ધોવાણનું મુખ્ય કારણ ટાઈડલ ડેમના બાંધકામમાં દાખવવામાં આવેલી બેદરકારી છે. તેમના મતે, બાંધકામ દરમિયાન યોગ્ય ધ્યાન રાખવામાં આવ્યું નથી અને નબળી કામગીરીના કારણે નદીએ પોતાનો માર્ગ બદલી ખેતીલાયક જમીનને નિશાન બનાવી છે. ખેડૂતોનું કહેવું છે કે તેમણે અગાઉ પણ અનેક વખત કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓને આ અંગે જાણ કરી હતી અને સુધારાત્મક પગલાં લેવા વિનંતી કરી હતી, પરંતુ તેમની રજૂઆતોને અવગણવામાં આવી હતી.
આ સ્થિતિની સમીક્ષા કરવા માટે ટાઈડલ ડેમના કર્મચારીઓ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે ખેડૂતોએ તેમનો ઘેરાવ કર્યો હતો. ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવતા કર્મચારીઓને આડે હાથ લીધા અને તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એક ખેડૂતે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, “કેટલા ફોન કર્યા તમને કે આ લોકોને કહો કે સરખું કરો. અમે કહ્યું કે આ લોકોને કહો તમે સરખું કરો. તો પણ શું થયું આજે? કંઈ ન થયું ને. હેં? અહીંથી આ બાંધે ત્યારે તમને કહ્યું કે સરખું લેવલ કરો. સરખું પુરાણ કરો.”
પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ પછી ટાઈડલ ડેમ પરથી પાણી જવાના બદલે હવે સાઈડ પરથી પાણીએ પોતાનો રસ્તો કરી લીધો છે. જેને લઈને ખાનગી જમીનોનું મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે એક અઠવાડિયા પહેલા પણ સ્થાનિક લોકો દ્વારા પાકો પાળો બનાવવાની રજૂઆતો કરવામાં આવી હતી, જેથી તેમની જમીનો બચી શકે. પરંતુ વારંવારની રજૂઆતો છતાં ટાઈડલ ડેમના કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓ દ્વારા કોઈ પગલાં ન લેવાયા, જેના પરિણામે 40 ફૂટ જેટલી મોટી અને ઊંડી ટનલ જેવું ધોવાણ થયું છે.
મહત્વનું છે કે, જો હજુ પણ આ ધોવાણને રોકવામાં નહીં આવે તો મોટું ધોવાણ થવાનું અને લોકોની વાડીઓ તથા પોતાના ખેતરો તો ધોવાશે જ, પરંતુ સ્મશાન પણ ધોવાઈ જવાની ભયાવહ સ્થિતિ નિર્માણ થઈ છે. આ ભીતિને કારણે લોકોમાં વધુ આક્રોશ જન્મ્યો છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે વહેલામાં વહેલી તકે નદીના વહેણને નિયંત્રિત કરવામાં આવે અને ધોવાણ થયેલી જમીનનું પુરાણ કરવામાં આવે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે અને ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
કાગળની નોટનો જમાનો ગયો! RBI ગવર્નરે જણાવ્યું – દેશમાં ક્યારે શરૂ થશે પ્લાસ્ટિકની નોટ