નવસારી(Navsari)માં લગ્ન પ્રસંગમાં મહાલવા ગયેલા આમંત્રિતો હોસ્પિટલના બિછાને પહોંચી ગયા હતા. લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ મહેમાનોની તબિયત લથડી હતી. સદનશીબે સમયસર સારવાર મળ્યા બાદ દર્દીઓની તબિયતમાં સુધારો દેખાઈ રહ્યો છે. લગ્નપ્રસંગમાં ભોજન બાદ ખોરાકી ઝેરની અસરના કારણે લોકોની તબિયત લથડી હોવાનું જાણવા મળી રહ્યું છે. એકપછી એક 31 લોકોને ઝાડા- ઉલ્ટીની તકલીફ શરૂ થતા તમામને આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની ફરજ પડી હતી. ગામમાં લગ્ન સમારંભમાં બનેલી ઘટના બાદ આરોગ્ય વિભાગે સ્થાનિક વિસ્તારમાં ડોર ટૂ ડોર હેલ્થ સર્વેની કામગીરી શરૂ કરાવી હતી.
મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામના મંદિર ફળિયામાં લગ્ન પ્રસંગમાં મોટી સઁખ્યામા મહેમાન પધાર્યા હતા. રાત્રે ભોજન લીધા બાદ કેટલાક લોકોને ઝાડા – ઉલ્ટીની તકલીફ શરુ થઇ હતી. વહેલી સવાર સુધી બીમાર લોકોનો આંકડો ૩૧ સુધી પહોંચ્યો હતો. ઘટનાની જાણ આરોગ્ય વિભાગને કરવામાં આવતા અધિકારીઓ દોડી આવ્યા હતા. બીમાર લોકોને સારવાર આપી ગામમાં સર્વેની કામગીરીની હાથ ધરવામાં આવી હતી. ગામના મંદિર ફળિયામાં લગ્ન પ્રસંગમાં બે ફળિયામાં 343 જેટલા ઘરના 77 પરિવારની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશન સાથે જરૂરી દવા આપવાની શરૂઆત કરવામાં આવી છે. બીમાર પડેલા દર્દીઓ પૈકી 5 દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવાની જરૂર પડી હતી. રોગચાળા નિયંત્રણ અધિકારી ભાવેશ પટેલે જણાવ્યું હતું કે બીમાર પડેલા લોકોની તબિયતમાં સુધારો દેખાઈ રહ્યો છે. ગામમાં આરોગ્ય સર્વે અને જરૂર જણાય ત્યાં દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીના કારણે કેટલાક ખોરાકની જાળવણી મુશ્કેલ બનતી હોય છે. લગ્ન પ્રસંગમાં મોટી માત્રામાં બનાવાયેલ ખોરાક પડી રહેવાથી અથવા હાઇજિનના અભાવે અખાદ્ય બની જતો હોવાની સમસ્યાઓ ઉભી થઇ હોય છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામના મંદિર ફળિયામાં લગ્ન પ્રસંગમાં પણ આવીજ કોઈ સમસ્યા ઉભી થઇ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ખરોકી ઝેરની અસરથી બીમાર પડેલા લોકોમાં ડીહાઇડ્રેશન સહિતની સમસ્યાઓ ઉભી ન થાય તેમાટે પણ આરોગ્યયવિભાગે પૂરતી તકેદારી રાખી છે. ગામમાં 5 દર્દીઓને બાદ કરતા તમામની તબિયત સામાન્ય ઈલાજ પછી સુધારા હેઠળ નજરે પડી હતી. દર્દીઓમાં રોકવરી નજરે પડતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે.
Published On - 8:12 am, Mon, 16 May 22