નર્મદામાં આદિવાસીઓના જંગલ જમીન મુદ્દે ચાલતા આંદોલને રાજકીય રંગ પકડ્યો, સાંસદ મનસુખ વસાવા મેદાને, જુઓ Video

નર્મદામાં જંગલની જમીન પર ખેડાણ મુદ્દે આદિવાસી ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સાંસદ મનસુખ વસાવા સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ધરણા પર બેઠા છે.

નર્મદામાં આદિવાસીઓના જંગલ જમીન મુદ્દે ચાલતા આંદોલને રાજકીય રંગ પકડ્યો, સાંસદ મનસુખ વસાવા મેદાને, જુઓ Video
| Updated on: Aug 15, 2026 | 5:28 PM

નર્મદા જિલ્લામાં જંગલની જમીન પર ખેડાણના મુદ્દે આદિવાસી ખેડૂતોનું આંદોલન હવે ફક્ત સ્થાનિક સમસ્યા પૂરતું સીમિત ન રહેતા, રાજકીય રંગ પકડી રહ્યું છે. છેલ્લા આઠ દિવસથી સાગબારાના આદિવાસી ખેડૂતો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, અને તેમના સમર્થનમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા પણ ફરીથી ધરણા પર બેઠા છે, જે દર્શાવે છે કે આ મુદ્દો કેટલો સંવેદનશીલ બની ગયો છે.

પરંતુ આ વિવાદમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે આદિવાસીઓમાં જ ભાગલા પડતા જોવા મળ્યા. મનસુખ વસાવાએ ઉમરપાડાના આદિવાસી ખેડૂતો દ્વારા સાગબારાના ખેડૂતોના વિરોધમાં કરાયેલા પ્રદર્શનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ આદિવાસી સમાજમાં ભાગલા પાડવાનો એક “પ્રી-પ્લાન” પ્રયાસ છે.

ઉલ્લેખનીય છે કે, ગતરોજ ઉમરપાડાના આદિવાસીઓએ એક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમની મુખ્ય માંગણી હતી કે સાગબારાના ખેડૂતોને ઉમરપાડા તાલુકાના જંગલમાં ખેડાણ ન કરવા દેવામાં આવે. આ સાથે જ, ઉમરપાડાના ખેડૂતોએ સાગબારાના ખેડૂતો પર દાદાગીરી કરતા હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા, જેણે પરિસ્થિતિને વધુ જટિલ બનાવી છે.

મનસુખ વસાવા અને અનંત પટેલ આમને-સામને

આ સમગ્ર વિવાદે નર્મદાથી લઈને દક્ષિણ ગુજરાત સુધી રાજકીય ગરમાવો લાવી દીધો છે. આ મામલે કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે મનસુખ વસાવા પર સીધો કટાક્ષ કર્યો. તેમણે વસાવાને ઉદ્દેશીને કહ્યું કે જો તેમની પોતાની સરકારમાં તેમની વાત સાંભળવામાં ન આવતી હોય, તો તેમણે સાંસદ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. અનંત પટેલે વધુમાં ઉમેર્યું કે “પોતાની સરકાર છે, પોતાની માં પીરસનાર છે અને છોકરા ભૂખે મરે. એટલે દર્શનાબેને અને મનસુખભાઈએ તો રાજકારણ જ છોડી દેવું જોઈએ. તમારું મુખ્યમંત્રીમાં કંઈ ઉગતું નથી. તમારું ઉપર સરકારમાં ઉગતું નથી તો તમે શા માટે અહીં માત્રને માત્ર નાટક કરવા માટે અહીં ધરણા પર બેઠા એ મને નવાઈ લાગે છે.”

અનંત પટેલના આ આકરા નિવેદન બાદ મનસુખ વસાવાએ પણ કરારો પલટવાર કર્યો. વસાવાએ જણાવ્યું કે તેમના માટે આદિવાસીઓનું હિત સર્વોપરી છે અને સાંસદ પદ તો ગૌણ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે “જો સમસ્યાનું સમાધાન રાજીનામું આપવાથી થતું હોય તો તે રાજીનામું આપવા પણ તૈયાર છે.” વસાવાએ અનંત પટેલને ભૂતકાળની ઘટના પણ યાદ અપાવી, “ધરણાં કર્યા હતા કણજીયાન્દ્રીમાં અને ઇકોસેન્સેટિવ ઝોનમાં મેં સાંસદ સભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું. આ અનંત પટેલ સમજી લે ભાઈ. ઇકોસેન્સેટિવ ઝોનના મુદ્દે મેં સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દીધું. સંસદ સભ્ય મારા માટે ગૌણ છે.” તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે “મારી સરકાર હોવા છતાં પણ સાગબારા તાલુકાના ખેડૂતોના હું પડખે છું અને જેટલી પણ મારી ક્ષમતા છે, મારી સમજ શક્તિ છે એ રીતના સરકારને હું અપીલ કરવાનો છે. અને અનંત પટેલ રાજીનામું આપવાથી પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો ચાલ હું રાજીનામું આપું.”

આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે નર્મદામાં જંગલ જમીનનો મુદ્દો માત્ર ખેડૂતોનો પ્રશ્ન નથી રહ્યો, પરંતુ તે આદિવાસી રાજકારણ, સ્થાનિક નેતાઓની પ્રતિષ્ઠા અને પક્ષીય વફાદારીના સમીકરણોને પણ અસર કરી રહ્યો છે.

RSS વડા મોહન ભાગવતનું Gen-Z પર મોટું નિવેદન, કહ્યું, યુવાશક્તિ ભારતનું ડેમોગ્રાફિક ડિવિડન્ડ, જુઓ Video

Published On - 5:28 pm, Sat, 15 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.