હાલ દિલ્હીના સીએમ અને આપના (AAP) પ્રમુખ અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) ગુજરાત પ્રવાસ દરમિયાન જ તેમને મોટો ઝટકો મળ્યો છે. છોટુ વસાવાએ BTP અને આપનું (Aam Admi Party) ગઠબંધન તોડવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) હવે ગણતરીના જ મહિના બાકી છે, ત્યારે આ સમાચાર આમ આદમી પાર્ટી માટે ખૂબ જ નુકસાનકારક રહી શકે છે. એક તરફ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ ગુજરાતના મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ BTP સાથેનું ગઠબંધન તૂટતા તેમને આદિવાસી વિસ્તારમાં મોટો ફટકો પડવાની સંભાવના છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા આદિવાસી બહુમુલ્ય ધરાવતા નર્મદા જિલ્લામાંથી આમ આદમી પાર્ટીને મોટુ નુકસાન પહોંચાડતા સમાચાર સામે આવ્યા છે. BTP અને AAPના રાજકીય ગઠબંધનમાં ભંગાણ પડ્યું છે. છોટુ વસાવાએ BTP અને AAPનું રાજકીય ગઠબંધન તૂટવાની જાહેરાત કરી દીધી છે. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું કે, AAPના ટોપી વાળા લોકો દેખાતા નથી અને AAPના નેતાઓ BTPનું માનતા નથી એટલે આ ગઠબંધન તોડવાની ફરજ પડી છે. આ સાથે તેમને AAP પર ગંભીર આરોપ કરતા જણાવ્યુ કે AAP અને ભાજપ એક જ છે અને તેઓ ભેગા મળીને આદિવાસીની સંપત્તિ લૂંટી રહ્યા છે.
હજુ તો આ વર્ષે જ મે 2022માં ભરૂચના (Bharuch) ચંડેરીયા ગામમાં આદીવાસી સંકલ્પ મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં (AAP)આમ આદમી પાર્ટી અને BTP એ ગઠબંધન થયુ હતુ. જો કે આ ગઠબંધનને હજુ તો થોડા જ મહિના માંડ થયા છે. ત્યાં ચૂંટણી પહેલા જ તેમાં ભંગાણ પડ્યુ છે અને છોટુ વસાવાએ BTP અને AAPનું રાજકીય ગઠબંધન તોડવાની જાહેરાત કરી દીધી છે.
BTP અને AAPનું ગઠબંધન તૂટતા કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ કે ચૂંટણીલક્ષી જોડાણ અને ગઠબંધનના જે કોઇ નિર્ણય હશે તે આવનારા સમયમાં અમારા પ્રદેશ પ્રમુખ, પ્રભારી અને હાઇકમાન્ડ લેશે.