મહેસાણા ખાતે રોટરી ક્લબ ખાતે આયુર્વેદ શાખા દ્રારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક, આયુષ કચેરી,ગાંધીનગર અને આયુર્વેદ શાખા, જીલ્લા પંચાયત, મહેસાણા દ્વારા વિજાપુરના રોટરી ક્લબ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમારે જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રે જે પ્રગતિ થઈ છે તેના કારણે તેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. તેમજ દેશ પ્રાકૃતિક ખેતી તરફ પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે જે એક સારી બાબત કહેવાય.
આ કાર્યક્રમમાં આયુષ કીટ,પોષણ કીટનું વિતરણ આંગણવાડી કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ દિનચર્યા ,ઋતુચર્યા રસોડા, આંગણાની ઔષધિઓ, નાડી પરીક્ષણ, પંચકર્મ સારવાર વગેરેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત નિષ્ણાતો દ્રારા તમામ રોગોનું આયુર્વેદ અને હોમીયોપેથી પદ્ધતિથી નિદાન તથા સારવાર,આયુર્વેદની વિશિષ્ટતા એવી અગ્નિ કર્મ ચિકિત્સા દ્રારા પેઈન મેનેજમેન્ટ ,આયુર્વેદ વિશેષતા એવી ક્ષાર સૂત્ર દ્વારા હરસ- મસા -ભંગદરની સારવાર ,પ્રકૃતિ પરીક્ષણ દ્રારા પ્રકૃતિ નક્કી કરી તે મુજબનું આહાર વિહારનું માર્ગદર્શન , વૃદ્ધાવસ્થાના રોગોની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્રારા વિશેષ સારવાર અને માર્ગદર્શન, બાળકના સર્વાંગી વિકાસ માટે આયુર્વેદની વિશેષતા-સુવર્ણ પ્રાશન,ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભસંસ્કાર બાબતે માર્ગદર્શન,સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે યોગ નિદર્શન, વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન,ઓષધ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને રક્તદાન કેમ્પનું પણ પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અવચળભાઈ ચૌધરી, વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ,વિજાપુરના પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ પટેલ,જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ પટેલ, આરોગ્યના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા
નોંધનીય છે કે રાજ્યના નાગરિકો પણ આર્યુવેદને મહત્વ આપતા થયા છે. ત્યારે આયુષ મેળામાં આર્યુવેદ પદ્ધતિને અપનાવવા અપીલ કરતાં જણાવ્યું હતુ કે આર્યુવેદ એ જીવન જીવવા માટેની સૌથી મોટી શૈલી છે. જેનો નિરંતર ઉપયોગ કરી દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવા પણ અપીલ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રસોડું એ આપણું આર્યુવેદ છે, જેનો ઉપયોગ કરવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે.