Breaking News : લગ્નના ઉત્સાહનો માહોલ માતમમાં ફેરવાયો, જાન લઇને લગ્નમાં જતો ટેમ્પો પલટી ગયો, 9 લોકોના મોત, 22થી વધુ ઇજાગ્રસ્ત

આ ઘટનામાં ટેમ્પોમાં જઈ રહેલા 9 જાનૈયાઓના મોત થયા છે. જ્યારે જાનમાં જઈ રહેલા અન્ય 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 108 મદદ લઇ લુણાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.

Breaking News : લગ્નના ઉત્સાહનો માહોલ માતમમાં ફેરવાયો, જાન લઇને લગ્નમાં જતો ટેમ્પો પલટી ગયો, 9 લોકોના મોત, 22થી વધુ ઇજાગ્રસ્ત
| Edited By: | Updated on: Feb 22, 2023 | 3:35 PM

મહિસાગર જિલ્લામાં જાન લઇને લગ્નમાં જતો ટેમ્પો ખાઈમાં ખાબક્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ગડા ગામથી સાત તળાવ જાનમાં જતો ટેમ્પો પલટી મારી ગયો છે. આ ઘટનામાં ટેમ્પોમાં જઈ રહેલા 9 જાનૈયાઓના મોત થયા છે. જ્યારે જાનમાં જઈ રહેલા અન્ય 22 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 108 મદદ લઇ લુણાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. એલસીબી અને એસઓજીની ટીમ ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લઇ રહી છે. તો બીજી તરફ ટેમ્પોમાં ક્ષમતા કરતા વધુ લોકો બેસાડાયા હોવાની માહિતી મળી છે.

કાર અને ટેમ્પો વચ્ચે થયો અકસ્માત

મળતી માહિતી પ્રમાણે મહિસાગર જિલ્લામાં આવેલા ગડા ગામમાંથી લગ્નની જાણ સાત તળાવ જઇ રહી હતી. ત્યારે માર્ગમાં જાન લઇને જતા ટેમ્પો સામે અચાનક કાર આવી ગઇ હતી. ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારતા ટેમ્પો પલટી ખાઇને ખીણમાં ખાબક્યો હોવાની પ્રાથમિક ધોરણે માહિતી મળી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળ પર જ નવ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. એટલુ જ નહીં આ ઘટનામાં અન્ય 22 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી પણ છે.

ગંભીર રીતે ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા

અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને 108 દ્વારા તાત્કાલિક લુણાવાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આ ઇજાગ્રસ્તો પૈકી કેટલાકની સ્થિતિ અતિ ગંભીર છે. જેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો સામાન્ય ઇજાગ્રસ્તોને લુણાવાડાની જ હોસ્પિટલમાં હાલ સારવાર આપવામાં આવી રહી છે. તો સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતનું ચોક્કસ કારણ હજુ અકસ્માત

આ અકસ્માતની ઘટનામાં કોઇની બેદરકારીના કારણે અકસ્માત થયો છે કે કેમ તે અંગેની માહિતી પ્રાપ્ત થઇ નથી. જો કે FSLની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવશે. જે પછી અકસ્માત થવાનું સાચુ કારણ સામે આવી શકે તેમ છે. બીજી તરફ ટેમ્પોમાં ક્ષમતા કરતા વધુ લોકો બેસાડ્યા હોવાની પણ માહિતી છે. જો કે આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

સમગ્ર ગામમાં શોકનો માહોલ

અકસ્માતમાં મૃત્યુ પામનાર ગડા ગામના રહેવાસી અને તેમના પરિવારજનો હોવાની માહિતી સામે આવી છે. એક સાથે નવ લોકોના મોત થતા લગ્નના ઘરમાં માતમનો માહોલ જોવા મળી રહ્યો છે. એટલુ જ નહીં સમગ્ર ગડા ગામમાં શોક જોવા મળી રહ્યો છે.

(વિથ ઇનપુટ- અવનીશ ગોસ્વામી,અરવલ્લી અને ભૂપેન્દ્ર સોલંકી,મહિસાગર)

Published On - 2:34 pm, Wed, 22 February 23