નવરાત્રીના પાવન પર્વમાં આઠમના શુભ દીને કચ્છ કુળદેવી માં આશાપુરાના મંદિર માતાના મઢ ખાતે પતરી વિધિ થઇ હતી. સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રિતિદેવીએ પતરી વિધિ સંપન્ન કરી હતી. રાજ પરિવારના પ્રતિનિધીએ પતરીનો પ્રસાદ ખોળામાં ઝીલીને આશીર્વાદ મેળવ્યા હતા. ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા પ્રતિનિધિ મહારાણી પ્રિતિદેવીએ માં ના ચરણોમાં ઝોળી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવ્યો હતો. કચ્છમાં સુખાકારી માટે આ વિધિ અતિમહત્વપૂર્ણ માનવામાં આવે છે. માતાજીના ખભા પર રાખેલ પતરીનો પ્રસાદ ડાકના તાલે સ્વંયભુ ખોળામાં પડી માતાજી સાક્ષાત આશીર્વાદ આપે છે.
અંબાજીમાં ખેડૂતની માતાજીની આરાધના, 501 દીવડાની મહાઆરતી ઉતારી
નવરાત્રીમાં માં જગદંબાની આરતીનું વિશેષ મહત્વ છે. સામાન્ય પ્રકારે તો સૌ કોઈ માતાજીની આરતી કરે છે. પરંતુ કેટલાક લોકો વિશેષ રીતે માતાજીની આરતી કરતા હોય છે. આવી જ એક વ્યક્તિ છે આણંદના ખેડૂત રોહીત પટેલ. જેઓ છેલ્લા 19 વર્ષથી સાતમના દિવસે અંબાજી મંદિરે 501 દીવડાની આરતી ઉતારે છે. ગત રાત્રે પણ તેમણે 501 દીવડાની આરતી ઉતારી હતી. તેઓ માતાજીના ચોકમાં પોતાના શરીર પર આરતી લઈને માતાજીની આરાધના કરી હતી. આ વખતે ગરબા બંધ હોવા છતાં ખેડૂત પુત્રને માતાજીના ચોકમાં આરતી કરવાની પરવાનગી અપાઈ હતી. જેને પગલે તેણે ખુશી વ્યક્ત કરી. ખેડૂતે કહ્યું કે- સારો વરસાદ થાય અને સારી ખેતી થાય તે માટે તેમણે માનતા માની હતી. જે ફળીભૂત થતા તેઓ આરતી ઉતારવા આવ્યા હતા.
Published On - 12:58 pm, Wed, 13 October 21