દેશ-વિદેશમાં આકર્ષણ ધરાવતી કેસર કેરીનો છે ગજબ ઇતિહાસ, કેવી રીતે પડ્યું નામ? જાણો

|

Apr 10, 2024 | 7:55 PM

કેરીનું નામ પડે એટલે જૂનાગઢની કેસર જ નજર સામે આવે. તેનો આકાર અને કેસરીયાળો રંગ આકર્ષક છે, સાથે જ તેનો સ્વાદ પણ ખૂબ જ અદ્ભૂત છે. કેસરનું આકર્ષણ માત્ર ગુજરાતમાં જ નહીં દેશ વિદેશમાં જોવા મળે છે. કેસર કેરીનો ઇતિહાસ ગજબ છે. કેવી રીતે કેસર કેરી નામકરણ થયું અને કેસર આંબાની વાડીઓ કેવી રીતે વિસ્તરવા લાગી એની કહાની રસપ્રદ છે.

દેશ-વિદેશમાં આકર્ષણ ધરાવતી કેસર કેરીનો છે ગજબ ઇતિહાસ, કેવી રીતે પડ્યું નામ? જાણો
જાણો, જૂનાગઢની કેસરનો ઇતિહાસ

Follow us on

ફળોનો રાજા એટલે કેરી. એમાંય કેસર હોય એટલે જાણે કે વાત ના પૂછો. ગુજરાતના અનેક વિસ્તારમાં કેરીનું મબલખ ઉત્પાદન થાય છે. જેમાં જૂનાગઢની કેસર કેરીની વાત જ કંઇક અલગ છે. કેસર નામ પડે એટલે જૂનાગઢની કેસર જ નજર સામે આવે. તેનો આકાર અને રંગ આકર્ષક છે, સાથે જ તેનો સ્વાદ પણ ખૂબ જ અદ્ભૂત છે. કેસરનું આકર્ષણ દેશ વિદેશમાં જોવા મળે છે. કેસર કેરીનો ઇતિહાસ પણ ગજબ છે. કેવી રીતે કેસર કેરી નામકરણ થયુ અને કેસર આંબાની વાડીઓ કેવી રીતે વિસ્તરવા લાગી એની કહાની પણ રસપ્રદ છે.

કેસરની ભેટ આમ તો જૂનાગઢના નવાબે આપી હતી. જૂનાગઢના નવાબ ભાગલા વખતે પાકિસ્તાન જતા રહ્યા હતા. પરંતુ જતા પહેલા તેઓએ કેસરની ભેટ આપી હતી. જૂનાગઢની કેસર કેરી જૂનાગઢ ઉપરાંત અમરેલી અને ગીર સોમનાથ વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.

કેસરનો ઇતિહાસ, જાણો

ઇતિહાસના પાનાઓ મુજબ સાલેભાઈ નામના ખેડૂતે વંથલીના આંબાની વાડીમાં લાગેલી કેરીઓમાં અલગ જ આકર્ષણ ધરાવતી કેરીઓ લાગેલી જોવા મળતા તેને તેણે કરંડીયામાં ભરીને પોતાના મિત્ર માંગરોળના શેખ હુસેન મીયાંને ને આપી હતી. ભેટમાં મળેલી કેરીનો સ્વાદ જોઇ મિત્ર શેખ ખુશ થઈ ગયા હતા.કેરીના ફળનો કેસરી રંગ અને મધુર સ્વાદ અને રેસા વિનાની મધુર કેરી જૂનાગઢ નવાબના દરબારમાં પહોંચી હતી. નવાબને પણ કેસરીયાળા ગર્ભ ધરાવતી કેરી પસંદ આવી ગઈ હતી. નવાબના દરબારીઓએ પણ આ વિશિષ્ટ લાગતા કેરીના ફળની મોજ માણી હતી અને સૌએ વાહ વાહી કરી હતી. સાલેભાઈ લાવેલા કેરીને તેઓએ એ વખતે સાલેભાઈ આંબડી તરીકે ઓળખ આપી હતી.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

માંગરોળથી સાલેભાઈની મોકલેલી કેરી ખૂબ જ પસંદ આવતા તે આંબાની કલમ જૂનાગઢમાં પણ વાવેતર કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. નવાબે આ માટે પોતાના બાગાયતના જાણકારો મારફતે સાલેભાઈ આંબડીથી ઓળખાયેલ કેરીના આંબાને કલમ કરી રોપાવ્યા હતા. જૂનાગઢના ગીરનારની તળેટીમાં આવેલ દૂધેશ્વર વિસ્તારમાં આવેલ આંબાવનમાં તેનો ઉછેર શરુ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સક્કરબાગ અને લાલઘોરી બગીચામાં પણ કેસરની કલમને રોપવામાં આવી હતી. આ પછી તો કેસરની જાતનું વાવેતર કાઠિયાવાડમાં અલગ અલગ રાજા રજવાડાઓએ કેરી પસંદ આવતા શરુ કરાવ્યુ હતુ.

‘કેસર’ આ રીતે પડ્યું નામ

જૂનાગઢના નવાબ મહાબત ખાન બીજાના સમયગાળા દરમિયાન જે કેરી સાલેભાઈની આંબડીથી ઓળખાતી હતી, એ કેરીને મહાબત ખાન ત્રીજાના વખતમાં કેસર તરીકે ઓળખ મળી હતી. જૂનાગઢ સ્ટેટના ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ એ.એસ.કે. આયંગરે 25 કલમ વંથલીથી મંગાવીને વૈજ્ઞાનિક ઢબ સાથે આંબડીનો ઉછેર શરુ કરાવ્યો હતો. જેના ત્રણેક વર્ષ બાદ તેઓની દેખરેખ હેઠળ ગુણવત્તાસભર કેરીના ઉત્પાદનને મેળવવામાં આવ્યુ હતું.

આ રીતે પડ્યુ નામ

તૈયાર થયેલા આંબાની કેરી ઉતરવા લાગતા તેને નવાબ અને તેમના દરબારીઓએ સ્વાદ માણીને તેના ભરપૂર વખાણ કર્યા હતા. કેરીના રેસા વગરના કેસરી ગર્ભ અને તેની સુગંધને લઈ કેરીને માટે કેસર નામ આપવામાં આવ્યું હતુ. આમ સાલેભાઈની આંબડીમાંથી આ કેરીને કેસર તરીકે ઓળખવામાં આવી હતી. 25, મે 1934ના દિવસે જૂનાગઢના નવાબે સેલાભાઇની આંબડીનું નામ કેસર આપ્યુ હતુ. આ દિવસે નવાબને કેસર કેરીને પીરસવામાં આવી હતી. તેનો રંગ અને સ્વાદ જોઈ કેસર નામ આપવામાં આવ્યુ હતુ. બસ ત્યારથી દેશ અને દુનિયામાં કેસર કેરી જાણીતી બની છે.

ગીર, વંથલી અને તાલાલાની અલગ અલગ જાત

સૌરાષ્ટ્રમાં કેરી એટલે કેસર અને કેસર એટલે કેરી બસ આવી જ ઓળખ થઈ ગઇ છે. એક સમય હતો જ્યારે સૌરાષ્ટ્રમાં એક બે નહીં પરંતુ સોથી વધારે જાતોની કેરીનું ઉત્પાદન થતુ હતુ. હવે દાયકાઓથી બસ કેસર એક જ કેરીનું નામ જોવા અને સાંભળવા મળે છે. વિસ્તારના ખેડૂતો પણ કેસર કેરીનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે.

તાલાલા હાલમાં કેસર કેરીનું મોટું હબ માનવામાં આવે છે. અહીં મોટું બજાર છે અને મોટા પ્રમાણમાં દેશ વિદેશમાં કેસર કેરીને અહીંથી મોકલવામાં આવે છે. તાલાલાની કેસર કેરીના ફળની પણ અલગ ઓળખ છે. આ વિસ્તારમાં થતી કેસર કરીને કાપતા જ ખ્યાલ આવી જાય છે કે, તે તાલાલાની છે કે, વંથલીની. કેસરની ચીરી કાપતા જ તેમાંથી પાણી નીકળવા પરથી કેરીની ઓળખ કરી લેવામાં આવે છે. એમ બાગાયત કૃષિ નિષ્ણાંત જી.આર. ગોહિલે જણાવ્યું હતુ.

કૃષિ નિષ્ણાંત જી.આર. ગોહિલે આગળ પણ કહ્યુ હતુ કે, વંથલી વિસ્તારની જમીન દળદાળ છે. તેની જમીનમાં પાણી પણ વધારે આપવું પડતુ હોય છે. વંથલીની કેસર કેરી 15 દિવસ જેટલી મોડી થતી હોય છે. તેમજ સાઇઝમાં પણ મોટી હોય છે. વર્તમાન સમયમાં ટપક પદ્ધતિનો પણ બાગાયત ખેતીમાં ઉપયોગ થાય છે. એમ કેસર ઉત્પાદન કરતા ખેડૂતો પણ તેનો ઉપયોગ કરે છે. તેઓએ કહ્યુ કે, પથરાળ જમીનમાં થતી કેસર કેરી પણ અલગ પડતી હોય છે. ગીરની કેસર કેરી તે આ પ્રકારનું ફળ છે, જે પથરાળ જમીનમાં ઉછેરેલા આંબા પર થતી કેસર કેરી છે. ગીરની કેસર પણ ખૂબ જ આકર્ષણ ધરાવે છે.

કેમ વખણાય છે કેસર

દેશમાં રત્નાગીરી હાફૂસથી લઇ અનેક કેરીની જાતો કેરીના રસિયાઓને આકર્ષતી હોય છે. પરંતુ જૂનાગઢની કેસર કેરી માટે આકર્ષણ હોવાનું પણ ખાસ કારણ છે. અહીં ગીર, તાલાલા અને વંથલીની કેસર જાણીતી છે. પરંતુ અહીંની કેસરની વાત કરવામાં આવે તો તેની છાલ અને તેનો રંગ તેમજ ફળનો આકાર જોઈને આકર્ષણ જન્માવે તેવો છે. કેસરનો ગર્ભ પણ એકદમ કેસરીયાળો રંગ ધરાવે છે અને મીઠાશ મધમધતી છે. તો વળી ગર્ભમાં રેસાઓનથી હોતા.

જૂનાગઢની કેસર કેરીની ગોટલી ખૂબ નાની અને ફળ મોટું હોય છે, એટલે ગર્ભ વધારે હોય છે. આમ સુંગંધ અને સ્વાદ જ નહીં અનેક ગુણોથી ભરપૂર જૂનાગઢની કેસર કેરીના રસિયાઓનું મન મોહી લે છે.

કેસરની વિશેષતા

વિદેશમાં પણ જબરદસ્ત માંગ

આગળ વાત કરતા કૃષિ નિષ્ણાંત ગોહિલે કહ્યુ કે, વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં કેસર કેરીને દેશ વિદેશમાં મોકલવામાં આવે છે. ગુજરાત અને ગુજરાત બહાર પણ કેસરની ખૂબ જ માંગ છે. વિદેશમાં પણ વેપારીઓ કેસરની માંગ મુજબ નિકાસ કરતા હોય છે.

ખાસ કરીને અમેરીકા, યુનાઇટેડ આરબ અમીરાત, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને બ્રાઝિલ સહિત અનેક દેશોમાં કેસર કેરીની ખૂબ માંગ રહેતી હોય છે. ખાસ કરીને કોઇ પણ પ્રકારની દવા છાંટ્યાં વિનાના તૈયાર કરવામાં આવેલા ફળ વિદેશમાં નિકાસ કરવામાં આવતા હોય છે. વિસ્તારમાં અનેક આંબાની વાડીઓમાં કોઇ પણ પ્રકારની દવાઓનો ઉપયોગ કર્યા વિના જ આંબાનો ઉછેર કરવામાં આવતો હોય છે અને પાક લેવામાં આવતો હોય છે. જેની માંગ સ્થાનિક બજારમાં પણ વધારે રહેતી હોય છે. જેથી તેનો ભાવ પણ પ્રમાણમાં વધારે રહેતો હોય છે.

કચ્છ, વલસાડમાં કેસરનું ઉત્પાદન

રાજ્યના અનેક વિસ્તારોમાં પણ કેસર કેરીના આંબાની વાડીઓ વિસ્તરવા લાગી છે. જેમાં જૂનાગઢ, ગીર, તલાલા અને વંથલી સહિતની કેસર ઉપરાંત વલસાડ અને કચ્છ કેસર કેરી પણ જાણીતી બની છે. વલસાડ અને કચ્છમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની વાડીઓ આવેલી છે. કચ્છ અને વલસાડની કેસર પણ ખૂબ જ મીઠી હોય છે.

આ જાત પણ જાણીતી

હવે તો કેસર કેરી મહોત્સવ પણ ઉજવવામાં આવતા હોય છે. વર્ષ 2009 થી અમદાવાદમાં પણ કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગાંધીનગર, વડોદરા અને દિલ્હી, મુંબઈ જેવા મહાનગરોમાં પણ કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઉચ્ચ ગુણવત્તાસભર અને કાર્બાઇડ ફ્રી કેસર કેરી સીધી જ ખેડૂતો પાસેથી ગ્રાહકોને પહોંચે એમ આયોજન કરવામાં આવે છે. જેથી ભાવ પણ ખેડૂત અને ગ્રાહકને પરવડે એવા રહેતા હોય છે.

Next Article