સિવિલ IKDRC માં 12 વર્ષની બાળકીને મળ્યું નવજીવન, સરકારના આ કાર્યક્રમોથી ફ્રીમાં થયું કિડનીનું પ્રત્યારોપણ

અમદાવાદ સિવિલની IKDRC માં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કાર્યક્રમ અન્વયે વૃષ્ટિ પૂજારા નામની બાળાના શરીરમાં કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત બાળકીને ફ્રીમાં કિડની પ્રત્યારોપણ કરી આપવામાં આવ્યું.

સિવિલ IKDRC માં 12 વર્ષની બાળકીને મળ્યું નવજીવન, સરકારના આ કાર્યક્રમોથી ફ્રીમાં થયું કિડનીનું પ્રત્યારોપણ
| Edited By: | Updated on: Oct 24, 2021 | 3:32 PM

અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર ( IKDRC) માં રાજ્ય સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ અને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અન્વયે વૃષ્ટિ પૂજારા નામની બાળાના શરીરમાં કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું. એક સામાન્ય પરિવારની દિકરીના જીવનમાં નવજીવનનો ઉજાસ રેલાયો છે. આ માસૂમ બાળકીએ હવે સ્વસ્થ જીવન સાથે ઉજ્જવળ ભાવિની દિશામાં ડગ માંડ્યા છે.

હાલ સાતમાં ધોરણમાં ભણતી વૃષ્ટિ પુજારાને જન્મજાત એક કિડની હતી. થોડા સમય પહેલા વૃષ્ટિના તેના પગમાં સોજા આવ્યા ત્યારે પરિવારે સ્થાનિક જનરલ પ્રેકટિશનરને બતાવ્યું હતું. ત્યારે તેણે સોનોગ્રાફી કરાવડાવી, જેમાં ખબર પડી કે આ દિકરીને જન્મથી એક જ કિડની છે. તેમજ તેના પર પણ છેલ્લાં વર્ષોમાં અસર થતા કિડની ફેઇલ થઈ હતી. ખાનગી હોસ્પિટલમાં વૃષ્ટિની સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય તેમ હતો. વૃષ્ટિના માતાપિતા સ્ટેશનરીનું કામ કરે છે અને તે આટલો તોતિંગ ખર્ચ ઉપાડી શકે એમ હતા નહીં.

બાદમાં વૃષ્ટિના માતાપિતા તુરંત વૃષ્ટિને IKDRC લઇ આવ્યા, જ્યાં વૃષ્ટિને ડાયાલિસિસ પર મૂકવામાં આવી અને સાથે સાથે ટ્રાન્સપ્લાન્ટેશનના પ્રયત્નો પણ શરૂ થયા. આ માહિતી IKDRC ના નિયામક ડો. વિનીત મિશ્રાએ આપી હતી.

પહેલા માતાએ અને પછી પિતાએ, બંનેએ કિડની આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પણ તેમની કિડની મેચ ન થઈ. ત્યારે તાજેતરમાં બ્રેઇનડેડ દર્દીની કિડનીનું અંગદાન બાળકી માટે નવું જીવન લઈને આવ્યું. આ અંગદાન થકી વૃષ્ટિમાં કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું અને હવે તે ડિસ્ચાર્જ પણ થઈ જશે.

જણાવી દઈએ કે સ્કૂલ હેલ્થ કાર્યક્રમ હેઠળ અને રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ વૃષ્ટિની સારવાર ફ્રીમાં કરવામાં આવી છે. આ કાર્યક્રમોના કારણે હોસ્પિટલમાં બધી જ સારવાર અને દવા બિલકુલ ફ્રી અપાઈ છે. IKDRCના નિયામક ડો. વિનીત મિશ્રાએ જણાવ્યું કે, રાજ્ય સરકારનો શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ તથા કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ સ્કૂલમાં ભણતા બાળકો માટે ખુબ જ આશીર્વાદરૂપ બન્યો છે. તેનાથી બાળકોમાં રહેલી ખામીઓનો સમયસર ઇલાજ થાય છે.

વૃષ્ટિના માતા આરતીબહેન પૂજારાએ આ પળે ખાસ કહ્યું છે કે જો કોઇના પણ બાળકને થોડી પણ સમસ્યા જણાય તો તેની પ્રત્યે ઉદાસીનતા ન સેવશો. તુરંત ડોક્ટરની સલાહ લો. સૃષ્ટિના માતાએ IKDRCના ડોક્ટર્સ, સ્ટાફ તથા તેમની મદદે આવનારા સૌનો આ પળે આભાર માન્યો હતો.

 

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં રાજકોટના યુવાને વગાડ્યો ડંકો, રેઈનફોર્ડ વોર્ડમાં કાઉન્સિલ પદે ચૂંટાયા કેયુર કામદાર

આ પણ વાંચો: સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં 1600 વિધાર્થીઓ ઓનલાઇન ચોરી કરતાં પકડાયા

Published On - 3:31 pm, Sun, 24 October 21

Follow Us