Kheda : વડતાલ (Vadtal) સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થ સ્થાન વડતાલ ખાતે 79મી રવિ સભા યોજાઈ હતી. રવિ સભામાં વચનામૃત કથાના વક્તા અને મંદિરના મુખ્ય કોઠારી ડૉ.સંત સ્વામીએ ગઢડા પ્રથમના 78મા વચનામૃતની છણાવટ કરી હતી. ત્યારે સોમવારે રણછોડરાયજી મહારાજનો પાટોત્સવ ઉજવાયો. જેમાં હજારો ભક્તોએ અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવી.
આ પણ વાંચો Gujarati Video: નડિયાદ અને ડાકોરમાં ધોધમાર વરસાદ પડયો, રસ્તા પર પાણી ભરાયા
79મી રવિ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહ્વાન અનુસાર મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત 9મી ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી દેશભરમાં 10 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર થશે. ત્યારે વડાપ્રધાનના અભિયાનને અનુસરીને વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે 11 હજાર વૃક્ષો જેમાં 5500 આંબાની કલમો તથા 5500 અન્ય વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગોવિંદ સ્વામી, બ્રહ્મસ્વરૂપ સ્વામી, સંત સ્વામી તથા હરિઓમ સ્વામીના હસ્તે યજમાનો અને હરિભક્તોને આંબાના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. હરિકૃષ્ણ એગ્રો સેન્ટર અજરપુરાના રમણભાઈ મણીભાઈ પટેલ, હંસાબેન રમણભાઈ પટેલ, ભાવેશભાઈ, પ્રજ્ઞેશભાઈ વૃક્ષારોપણના યજમાનો હતા.
7 ઓગસ્ટના રોજ વડતાલ મંદિરમાં બિરાજમાન રણછોડરાયનો પાટોત્સવ જીમેશ વિનોદભાઈ પટેલ, શ્વેતાબેન જીમેશભાઈ પટેલ હસ્તે ફલક જીમેશભાઈ પટેલ ખંભાત (યુ.એસ.એ.)ના યજમાનપદે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. જેના પ્રેરણાસ્ત્રોત ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા ગોવિંદ સ્વામી મેતપુરવાળા હતા અને રવિ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.
રવિ સભા હોલમાં પાટોત્સવ અંગે તીર્થજલ પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી બેઠા હતા. સોમવારે યોજાયેલ રણછોડરાય મહારાજના પાટોત્સવમાં લાલજી સૌરભપ્રસાદજી તથા નાના લાલજી દ્વીજેન્દ્રપ્રસાદજીના હસ્તે અભિષેકવિધિ યોજાઈ હતી. અભિષેક બાદ દેવોને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામ સ્વામીએ કર્યું હતું.