ખેડા (Kheda) જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદ (Nadiad) નાં ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એ આઈ. રાવલ સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદ, નશાબંધી અને આબકારી ખાતું ખેડા જિલ્લો તથા નવપ્રભાત વ્યસનમુક્તિ અને પુન:સ્થાપન કેન્દ્રનાં સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ 31-05-2022 નાં રોજ “ANTI TOBOCCO DAY” નિમિતે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનાં નડિયાદ વિભાગનાં વિભાગીય યંત્રાલય (વર્કશોપ) ખાતે એક “કાનૂની શિક્ષણ શિબિર તથા વ્યસન મુક્તિ પ્રદર્શન કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનાં નડિયાદ વિભાગનાં ઇન્ચાર્જ વિભાગીય તકનીકી ઇજનેર અને નડિયાદનાં ડેપો મેનેજર રીનાબેન દરજી દ્વારા કરવામાં આવ્યું, આ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદનાં ફૂલ ટાઈમ સેક્રેટરી જે આર. પંડીત સાહેબે સંબોધન કરતાં જણાવ્યુ કે આપણાં સમાજનો દરેક વ્યક્તિ વ્યસન મુક્ત બને અને તેનાં પગલે આખો સમાજ વ્યસન મુક્ત બને તેવી શુભેચ્છા પાઠવીને જરૂરીયાત સમયે મફત અને સક્ષમ કાનૂની સલાહ-સહાય મેળવવા માટે જિલ્લા/તાલુકા કાનૂની સેવા સત્તા મંડળનો વિના સંકોચ સંપર્ક કરવા જણાવ્યુ હતું.
કાર્યક્રમના લીગલ પેનલ એડવોકેટ પી બી. બાજપાઈએ “મફત અને સક્ષમ કાનૂની સહાય” ની વ્યવસ્થા, સહાય મેળવવા માટેની પાત્રતા તથા સહાય ક્યાંથી મળી શકે તે વિષે વિસ્તૃત માહીતી આપી હતી, નશાબંધી અને આબકારી ખાતું ખેડા જિલ્લા સંચાલિત નવપ્રભાત વ્યસન મુક્તિ અને પુન:સ્થાપન કેન્દ્રનાં પ્રોજેકટ ડાયરેક્ટર સંજય રોહીત દ્વારા તમાકુ, દારૂ, ગાંજો તથા અન્ય તમામ પ્રકારનાં વ્યસનોનાં ઉદભવ, વિસ્તાર અને સમાજ અને વ્યક્તિ-પરિવારનાં જીવન પર થતી વ્યસનની વિપરીત અસરો અને પરિણામોની ગંભીરતા સમજાવીને કોઈપણ પ્રકારનાં વ્યસનથી કઈ રીતે મુક્ત થઈ શકાય તે માટે ખૂબ જ વિસ્તૃત અને અસરકારક વક્તવ્ય આપ્યું હતું,
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનાં નડિયાદ વિભાગનાં વિભાગીય નિયામક એમ બી. રાવલ સાહેબે જણાવ્યું હતું કે આજનાં આ કાર્યક્રમમાથી પ્રેરણા મેળવીને આપણાં આ વિભાગીય યંત્રાલય (વર્કશોપ)નાં તમામ અધિકારી-કર્મચારી વ્યસન મુક્ત બની આનંદીત જીવન જીવે તેવી અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી ખાતું ખેડા જિલ્લાનાં અધિકારી શિલ્પાબેન રબારી અને નિલેશ પટેલ, મજૂર મહાજન સંઘના પ્રતિનિધિ બી જે. બેલદાર, એસ. ટી. કર્મચારી મંડળના પ્રતિનિધિ એચ ટી. રાણા, ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિ ડી એન. રાવલ સહિત ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનાં નડિયાદ વિભાગનાં વિભાગીય યંત્રાલય (વર્કશોપ)નાં તમામ અધિકારીઓ-કર્મચારીઓ, ઇજનેરો મીકેનિક-હેલ્પર સહિત કુલ-150 લોકોએ લાભ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.