જૂનાગઢ (Junagadh) જિલ્લામાં ખેડૂતો હાલમાં મગફળીના (Ground nut) પાકમાં મુંડા નામની જીવાતથી પરેશાન થયા છે ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને વિવિધ દવાના વપરાશ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે મગફળીમાં પડતી જીવાતને સ્થાનિક ભાષામાં આ જીવાતને મુંડા (Munda) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ધૈણની ઇયળો પહેલા પાકના તંતુમૂળ અને ત્યારબાદ મુખ્ય મૂળને કાપીને પાકને નુકસાન કરે છે. તેનું નુકસાન ચાસમાં આગળ વધતા મગફળીના છોડ સુકાવાથી ખેતરમાં મોટા ખાલા પડે છે. આમ, મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. જો ધૈણનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળે તો સંકલિત જીવાત નિયંત્રણ અંતર્ગત પાક અને જીવાતની પરિસ્થિતિ અનુસાર ખેડૂતોએ નિવારાત્મક પગલાં લેવા જોઈએ.
જિલ્લા ખેતીવાડી અધિકારી જી.એસ. દવેએ જણાવ્યું હતું કે ખરીફ સિઝનમાં જિલ્લાના મોટાભાગના ખેત વિસ્તારમાં મગફળી પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલ મગફળીના પાકમાં ધૈણ નામની જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ભાષામાં આ જીવાતને મુંડા તરીકે પણ ઓળખવામાં આવે છે.
મુંડા-ધૈણનો ઉપદ્રવ અટકાવવા પુખ્ત ઢાલીયા ધૈણ રામ બાવળ, બોરડી, સરગવો કે લીમડાના પાન ખાય છે. જેથી આ વૃક્ષોના ડાળા હલાવી ઢાલીયા વીણી લઈ કેરોસીનવાળા પાણીમાં નાખી તેનો નાશ થઈ શકે, શેઢે-પાળેના ઝાડ પર કારબારીલ (50 વેટેબલ પાવડર) 40 ગ્રામ અથવા ક્વીનાલફોસ (25 ઈસી) 25 મીલી દવા 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પ્રકાશ પિંજર ગોઠવી ઢાલિયા એકઠા કરી તેના નાશ કરવો, આ માટે ખેડૂતોએ ખેતરમાં લેમ્પ ગોઠવી નીચે દવાવાળું તથા કેરોસીનવાળું પાણી રાખવાથી રાત્રે પુખ્ત ઢાલિયા પ્રકાશ સામે આકર્ષાઈને નીચે રહેલ પાણીમાં પડીને નાશ પામે છે.
ઉભા પાકમાં મુંડાનો ઉપદ્રવ જોવા મળે ત્યારે ક્લોરપાયરીફોસ (20 ઈસી) અથવા ક્વીનાલફોસ (25 ઈસી) 25 મિલી દવા હેક્ટરે ચાર લીટર પ્રમાણે નિયત પાણી સાથે ટીપે ટીપે આપવી. ઉપરાંત આ અંગે વધુ જાણકારી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી ખેતી, કે.વી.કે., તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નં. 18001801551 પર સંપર્ક કરી પણ ખેડૂતો માર્ગદર્શન મેળવી શકાશે.
નોંધનીય છે કે ચોમાસાની (Monsoon) સિઝનની રાહ જોતા ખેડૂતો હવે વધારે વરસાદને કારણે આર્થિક નુક્સાની તરફ જઈ રહ્યા છે. કેમ કે ખેડૂતોએ મગફળીના જે પાકની વાવણી કરી હતી તે તૈયાર કરવામાં આવેલો મગફળીનો પાક મુંડા રોગના કારણે સડી ગયો છે. જેના કારણે વધુ એક આર્થિક ફટકો ખેડૂતને પડી રહ્યો છે.ખેડૂતોએ 1200 હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. જેમાં રોગ દેખાતા મગફળી અંગે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેમકે ચોમાસાની ઋતુ ચાલુ છે ત્યારે હવે નવી વાવણીની પણ શક્યતા ઓછી દેખાઈ રહી છે. ખેડૂતોએ રાજકીય આગેવાનો પાસે આ અંગે ઘણી રજૂઆત કરી છે. હવે તેઓ માંગ કરી રહ્યા છે કે તેમની નુક્સાનીનો સરવે થાય
Published On - 8:12 pm, Thu, 28 July 22