Junagadh Rain : જૂનાગઢમાં શનિવારે પડેલા ભારે વરસાદના (Rain) કારણે તારાજી સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટરે લોકોને બિનજરૂરી બહાર નીકળવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડ્યું છે.
આ પણ વાંચો Gujarat Rain: જૂનાગઢ શહેરમાં મુશળધાર વરસાદ,રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો-Video
જુનાગઢમાં લોકોને 24 જુલાઇ રાત્રીના 12 વાગ્યા સુધી બિનજરૂરી રીતે બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત જૂનાગઢના પ્રવાસન સ્થળો પર પ્રવેશ નિષેધ કરાયો છે. જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં કલમ 144 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
ભારે વરસાદના કારણે જૂનાગઢની મધ્યમાંથી પસાર થતી કાળવા નદીમાં પાણીની પુષ્કળ આવકના કારણે નદી બે કાંઠે વહી રહી છે તેમજ સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જાન માલની સલામતી અને વધારે નુકશાન થતું અટકાવવા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે.
જૂનાગઢમાં વરસાદે એવો કહેર મચાવ્યો કે ફક્ત બે કલાકમાં જ જૂનાગઢ જાણે દરિયો બની ગયું હતું. રસ્તાઓ, મકાનો, કાર, બાઈક, કેબિન બધું જ પાણીમાં ડૂબી ગયું, તો ક્યાંક સામાન પણ તણાયો હતો. કાળવા નદીનું પાણી સમગ્ર જૂનાગઢ શહેરમાં ફરી વળ્યું હતું જેના કારણે ફક્ત બે જ કલાકમાં જૂનાગઢના હાલ બેહાલ થયા હતા.
કાળવા નદી ગાંડીતૂર થતાં નદીનું પાણી શહેરના રસ્તા પર વહેવા લાગ્યું. જેના કારણે જ્યાં નજર કરો ત્યાં દૂર દૂર સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પાણીના ધસમસતા પ્રવાહમાં લોકો રસ્તા વચ્ચે જ અટવાઈ ગયા હતા. અનેક ગાડીઓ અને લોકો તણખલાની જેમ તણાયા હતા. તો બીજીતરફ ભવનાથ વિસ્તારમાં રસ્તા પર જઈ રહેલા કેટલાક લોકો તણાવા લાગતાં તેમને બચાવી લેવાયા હતા.
જૂનાગઢમાં ધોધમાર વરસાદના કારણે એસટી વિભાગના ટાયર અને ઓઇલના બેરલ વરસાદી પાણીમાં તણાયા હતા. હજારો ટાયર વરસાદી પાણીમાં બે કિલોમીટર સુધી તણાયા હતા. તેમજ કૃષિ યુનિવર્સિટીની દીવાલ ધરાશાયી થઈ હતી. તો વહેતા પાણીમાં લારી-ગલ્લા તણાયા હતા. વરસતા વરસાદમાં અનેક લોકોનું રેસ્કયુ કરાયું હતું. તો જૂનાગઢમાં કુલ 750 લોકોનું સ્થળાંતર કરાયું છે.
Published On - 8:50 am, Sun, 23 July 23