જામનગરના ગ્રીન્સ ઝૂઓલોજિકલ સેન્ટર વિરુદ્ધની જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

સુપ્રિમ કોર્ટે GZRRCની રજૂઆતની મંજૂરી સાથે એ પણ નોંધ્યું હતું કે તે એક બિનનફાકારક સંસ્થા છે જે પ્રાણીઓના કલ્યાણના મુખ્ય ઉદ્દેશ્ય સાથે કામ કરે છે

જામનગરના ગ્રીન્સ ઝૂઓલોજિકલ સેન્ટર વિરુદ્ધની જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટે  ફગાવી દીધી
Reliance Greens Zoological Rescue and Rehabilitation Centre
Image Credit source: File Image
| Edited By: | Updated on: Aug 20, 2022 | 5:56 PM

રિલાયન્સ(Reliance)ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સમર્થિત ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર સોસાયટી (GZRRC) દ્વારા  ગુજરાતના (Gujarat) જામનગરમાં  સ્થપાઈ રહેલા પ્રાણીસંગ્રહાલયના અનેક પાસાઓ પર સવાલ ઉઠાવતી જાહેર હિતની અરજીને સુપ્રીમ કોર્ટે(Supreme Court)  તાજેતરમાં ફગાવી દીધી છે. આ પિટિશન એક એક્ટિવિસ્ટ દ્વારા દાખલ કરવામાં આવી હતી જેમાં પ્રાણી સંગ્રહાલયની સ્થાપનાને પડકારવામાં આવી હતી અને તેણે GZRRC દ્વારા ભારતમાં અને વિદેશમાંથી પ્રાણીઓ લાવવા પર પ્રતિબંધ મૂકવાની તેમજ GZRRCના ઓપરેશન્સ અને મેનેજમેન્ટની તપાસ કરવા માટે SITની રચના કરવાની પણ માંગ કરી હતી.

તમામ દલીલોને નકારી કાઢી અરજીને ફગાવી દીધી છે

પિટિશનમાં ભારત અને વિદેશમાંથી GZRRCમાં પ્રાણીઓના સ્થળાંતર અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જાહેર હિતની અરજીમાં GZRRCના અનુભવ અને ક્ષમતા ઉપર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. GZRRCએ તેનો વિગતવાર જવાબ રજૂ કર્યા પછી કોર્ટે 16 ઓગસ્ટ 2022ના રોજ આ અંગેની સુનાવણી હાથ ધરી અને GZRRC સામે ઉઠાવવામાં આવેલી તમામ દલીલોને નકારી કાઢી અરજીને ફગાવી દીધી છે.

GZRRC દ્વારા કરાયેલી રજૂઆતોની અદાલતે નોંધ લીધી હતી

જેમાં સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને અમે GZRRC વિનમ્રતાપૂર્વક સ્વીકારીએ છીએ. અમે પ્રાણીઓના કલ્યાણ માટે અમારા કાર્યો કરવાનું જારી રાખીશું. મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી ઉગારવાની જરૂર હોય તેવા પ્રાણીઓના સંરક્ષણ, સંભાળ અને સંવર્ધન માટે તેમજ પ્રાણીઓને વિશ્વ કક્ષાની પુનર્વસન સંભાળ પૂરી પાડવા માટે GZRRC પ્રતિબદ્ધ છે,” તેમ GZRRC સંસ્થાના વડા શ્રી ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું. પ્રાણી સંગ્રહાલયના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કામગીરી, પશુચિકિત્સકો, ક્યુરેટર્સ, જીવવિજ્ઞાનીઓ, પ્રાણીશાસ્ત્રીઓ તથા તેના દ્વારા સંકળાયેલા અન્ય નિષ્ણાતો અને સંસ્થા કાયદાની દૃષ્ટિએ તેની પ્રવૃત્તિઓ નિયમાનુસાર ચલાવી રહ્યાની GZRRC દ્વારા કરાયેલી રજૂઆતોની અદાલતે નોંધ લીધી હતી.

પ્રાણીઓના કલ્યાણ માટે રેસ્ક્યુ સેન્ટર તરીકે કામ કરશે

GZRRCએ અદાલત સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે તે એક ઝૂઓલોજિકલ પાર્કની સ્થાપના કરશે જે ખાસ કરીને શૈક્ષણિક હેતુસર જાહેર પ્રદર્શન માટે ખુલ્લું રહેશે, જ્યારે તેની બાકીની સુવિધાઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રાણીઓના કલ્યાણ, બચાવ અને પુનર્વસન અને સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે બચાવ-સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણીઓના કલ્યાણ માટે રેસ્ક્યુ સેન્ટર તરીકે કામ કરશે.

અદાલતે GZRRC દ્વારા દાખલ કરેલા જવાબ પર તેનો સંતોષ વ્યક્ત કર્યો હતો અને નોંધ્યું હતું કે તે સંતુષ્ટ છે કે GZRRCને પ્રાણીઓના સંચાલન અને તેને સ્થાનાંતરિત કરવા માટે આપવામાં આવેલી પરવાનગી અને તેની પરિણામલક્ષી પ્રવૃત્તિઓ કાયદેસર અને અધિકૃત છે. વધુમાં એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે GZRRC સામેના આક્ષેપો નબળો આધાર ધરાવનારા સમાચાર અહેવાલો પર આધારિત હતા, કોર્ટ માટે GZRRCને પરવાનગીઓ અને મંજૂરીઓ આપનારા સત્તાવાળાઓના પક્ષે “કોઈ નબળાઈ દેખાતી નથી”.

GZRRCની રજૂઆતની મંજૂરી સાથે એ પણ નોંધ્યું હતું કે તે એક બિનનફાકારક સંસ્થા

કોર્ટે GZRRCની રજૂઆતની મંજૂરી સાથે એ પણ નોંધ્યું હતું કે તે એક બિનનફાકારક સંસ્થા છે જે પ્રાણીઓના કલ્યાણના મુખ્ય ઉદ્દેશ્ય સાથે કામ કરે છે અને જો કોઈ નફો થશે તો GZRRC દ્વારા બચાવ કાર્ય હાથ ધરવા માટે જ ઉપયોગ કરવામાં આવશે.

અદાલતે કહ્યું કે તેને GZRRC પર લગાવવામાં આવેલા આરોપો અંગે ‘કોઈ તર્ક કે આધાર’ મળ્યો નથી. અદાલતે એમ પણ કહ્યું હતું કે GZRRCની કામગીરી પર વિવાદ કરવા માટે ‘ભાગ્યે જ કોઈ અવકાશ’ છે અને આગળ અદાલત GZRRC સાથે ‘કોઈ કાનૂની નબળાઈ શોધવામાં અસમર્થ’ છે.

Published On - 5:52 pm, Sat, 20 August 22