JAMNAGAR : ભારે વરસાદને પગલે જામનગર જિલ્લામાં વરસાદી પાણીના ભરાવાને લઇને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની પ્રથમ સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રે વ્યાપક બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં વડોદરા સ્થિત રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ – NDRFની બટાલિયન 6 ની ટુકડી યોગદાન આપી રહી છે.
વડોદરા ખાતેના NDRFના જનસંપર્ક પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે વડોદરાની ટુકડીના જવાનો કાલાવડ તાલુકાના પંજેતન નગરમાં સ્થાનિક તંત્રની સાથે પૂરમાં ફસાયેલાઓને ઉગારવા ની કામગીરી કરી રહી છે.
મળતી જાણકારી પ્રમાણે આ ટુકડીના જવાનો એ 13 મહિલાઓ, 11 પુરુષો અને 7 બાળકો મળી 31 લોકોને કાલાવડી નદીના પુરમાંથી ઉગારીને સલામત સ્થળે ખસેડયા છે.દળના જવાનો હાલ બચાવ કામગીરી કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે શપથવિધિ પૂર્ણ થયા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) સીધા મુખ્યપ્રધાન કાર્યાલય પહોચ્યા હતા અને મુખ્યપ્રધાનનો કાર્યભાળ સંભાળ્યા બાદ તરત જ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્યપ્રધાન પટેલે પોતાના શપથગ્રહણ પહેલા પણ જામનગરમાં વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ અંગે તેમણે જામનગર વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી. આ અંગે ટ્વીટ કરીને તેમણે લખ્યું હતું કે –
જામનગર જિલ્લામાં અતિભારે વરસાદને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા તમામ લોકોને તાત્કાલિક મદદ તેમજ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટની વ્યવસ્થા કરવા જીલ્લા વહીવટી તંત્ર સાથે વાત કરીને સંબંધિત સૂચનાઓ આપી છે.
આ પણ વાંચો : Rajkot Heavy rain: મેઘરાજના આશીર્વાદ ફેરવાયા આફતમાં, રાજકોટમાં ભારે વરસાદે વેર્યો વિનાશ