જામનગર (Jamnagar) શહેરમાં ચોમાસુ બેસતા પહેલા જ તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી (Premonsoon work) શરુ કરવામાં આવી, પરંતુ વરસાદના (Rain) આગમન બાદ પણ અનેક સ્થળોએ હજુ કામગીરી ચાલી રહી છે. જામનગરમાં કેનાલોમાં કચરાના ઢગલા જોવા મળે છે. વિપક્ષનો આક્ષેપ છે કે માત્ર દેખાવ પુરતી કામગીરી કરીને લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ કામગીરી યોગ્ય રીતે ન થતા વરસાદ વખતે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 62 લાખનો ખર્ચ કરીને 11 વિવિધ એજન્સીઓને પ્રિમોન્સૂનનું કામ આપવામાં આવ્યુ હતુ. જે પછી આશરે 35 કિમીના વિસ્તારમાં આવેલા કેનાલની સફાઈની કામગીરી કરવામાં આવી છે. પરંતુ ચાર એજન્સી દ્વારા કામગીરી યોગ્ય રીતે ના કરતા ચાર કોન્ટ્રાકટર એજન્સીઓને મહાનગર પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. પ્રિમોન્સૂનની કામગીરી અંગે કમીશનર, ડેપ્યુટી કમિશનર, કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર, સહિતના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી. એક માસ પહેલાથી આયોજન કરીને કામગીરી શરૂ કરવામાં આવી હતી.પરંતુ નિયત સમયે કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી.
હાલ અનેક કેનાલમાં કચરાના ઢગ જોવા મળે છે. મનપાના વિપક્ષ નેતા આનંદ રાઠોડનો આક્ષેપ છે કે તંત્ર માત્ર કાગળ પર અને દેખાવ પુરતી કામગીરી કરી છે. વાસ્તવમાં કોઈ યોગ્ય રીતે કામગીરી થતી નથી. જેના કારણે કેનાલોમાં કચરો ભરાયેલો છે. વરસાદ થાય ત્યારે પાણી નિકાલ ન થાય તો નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે અને લોકો મુશ્કેલીમાં મુકાય છે. વિપક્ષના નેતા આનંદ રાઠોડ દ્વારા કામગીરી યોગ્ય રીતે કરે તો બીલની ચુકવણી કરવાની માગ કરી છે. યોગ્ય રીતે કામગીરી નહી થાય તો આ મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
પ્રીમોન્સૂનની કામગીરીને લઇને અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. સ્થળ મુલાકાત બાદ અધિકારીએ જણાવ્યુ કે, 15 જુન સુધીમાં કામ પુર્ણ કરવાનો અંદાજ હતો. પણ હાલ કામ ચાલુ છે. આ કામગીરી 20 જુન સુધી કાર્યરત રહેશે અને જરૂર હોય ત્યાં વરસાદ વખતે પણ કામગીરી કરવામાં આવશે. સફાઈ બાદ પણ કયાંય ફરી કચરો હોય ત્યાં યોગ્ય કામગીરી કરવાની અધિકારીએ ખાતરી આપી છે. સાથે જ ચાર એજન્સીઓને નોટિસ આપવામાં આવી છે.
દર વર્ષે પ્રીમોન્સુન માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે. કામગીરી પણ થાય છે. આમ છંતા થોડા જ વરસાદમાં અનેક સોસાયટીમાં પાણી ભરાયા હોવાની ફરીયાદો ઉઠે છે. વરસાદ સમયે લોકો મુશકેલીમાં મુકાય છે..ત્યારે જરૂરી છે, આયોજન મુજબ યોગ્ય કામગીરી નિયત સમયે પૂર્ણ થાય.