JAMNAGAR : શહેરમાં એક રખડતા ઢોરે મહિલા પર હુમલો કર્યો. જેમાં મહિલાને ભારે ઇજા પહોંચી. આ ઘટનાને બેથી ત્રણ દિવસ થઇ ગયા. છતાં હજુ સ્થાનિકોમાં રખડતા ઢોરને લઇ ફફડાટ છે. લોકો ઘરની બહાર નીકળતા હજુ પણ ડરે છે. ઘટનાની વાત કરીએ તો, કાશ્મીરા ગોહિલ નામની મહિલા રાજકોટથી પિતાના ઘરે આવી હતી. તે સમયે રખડતા ઢોરે તેના પર હુમલો કર્યો હતો. જેમાં મહિલાને ચાર ફ્રેક્ચર થઇ ગયા હતા. જેના કારણે મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી. હાલ પણ આ મહિલા હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે.
આ ઘટના બાદ જામનગરવાસીઓમાં ડર છે. એટલું જ નહિં તેઓ પરેશાન પણ છે કે, આ સમસ્યાનો અંત આવશે ક્યારે? ઘટના બાદ પણ તંત્રને જાણે કંઇ ફરક નથી પડતો. શહેરના મોટાભાગના માર્ગો પર રખડતા ઢોરનો અડિંગો હજુ પણ જોવા મળે છે. રસ્તા વચ્ચે જ ઢોરોના ટોળા જામી જાય છે.જેના કારણે નાના મોટા અકસ્માતો પણ થતા હોય છે. તો ટ્રાફિક પણ જામ થતો હોય છે.
મહિલા પર ઢોરના હુમલાના સીસીટીવી વાયરલ થયા બાદ મહાનગરપાલિકા દેખાડો કરવા કેટલાક પશુઓને પકડ્યા.એટલું જ નહિં કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું કે, આવા બનાવ બનશે તો ઢોર માલિકો સામે પોલિસ ફરીયાદ સુધીની કાર્યવાહી થશે. મુખ્ય માર્ગો પરથી ઢોરને દૂર કરવા માટે તંત્ર દ્રારા લાકડી સાથે માણસો મુકવામાં આવ્યા છે.. જે માત્ર ઢોરને મુખ્ય માર્ગો પરથી હટાવી દે છે.
તો આ સમગ્ર મામલે સ્થાનિક વકીલે સ્થાનિક અધિકારી, મુખ્યપ્રધાન અને વડાપ્રધાન સુધી ફરીયાદ કરી છે. પરંતુ તંત્રએ કાગળ પર કામગીરી દર્શાવીને પોતાની જવાબદારીમાંથી છૂટવાના પ્રયાસો કર્યો હોવાનો વકીલનો દાવો છે.