જામનગર (Jamnagar) જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે. ઘણા દિવસથી જિલ્લામાં આકરો તડકો અનુભવાઇ રહ્યો છે. જો કે આ સ્થિતિ વચ્ચે પણ જામનગર જિલ્લાનો રણજીતસાગર ડેમ (Ranjitsagar Dam) છલકાઇ ગયો છે. રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને આશા છે કે રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા પીવાના પાણીના પ્રશ્નનો અંત આવશે અને આ વર્ષે લોકોને પીવાના પાણી માટે સમસ્યા નહીં સર્જાય.
ગુજરાતમાં ચોમાસુ અંતિમ ચરણમાં છે. ધીરે ધીરે તે ગુજરાતમાંથી વિદાય લઇ રહ્યુ છે. હાલમાં માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જ વરસાદ વરસી રહ્યો છે. જામનગર જિલ્લામાં પણ વરસાદે વિરામ લીધો છે. તેમ છતા જામનગર જિલ્લાનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. ત્યારે તમને પ્રશ્ન થશે કે વરસાદ ન હોવા છતા રણજીતસાગર ડેમ ઓવરફ્લો કેવી રીતે થયો. તો તમને જણાવી દઇએ કે નર્મદાના નીરથી સૌની યોજના વડે અધૂરા ડેમને ભરવામાં આવ્યો છે. જેથી જામનગરને પીવાનું પાણી પૂરું પાડતો એક માત્ર રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. જેથી આ વર્ષે જામનગરવાસીઓને પીવાના પાણીની સમસ્યા નહીં રહે.
થોડા દિવસ પહેલા વરસેલા વરસાદથી રણજીતસાગર ડેમમાં પાણીની આવક થઈ હતી, પરંતુ ડેમ છલકાયો ન હતો. જેથી તંત્ર દ્વારા સૌની યોજના હેઠળ ડેમમાં પાણી ભરવામાં આવ્યુ છે. રણજીત સાગર ડેમની કુલ સપાટી 27 ફૂટ છે અને ડેમ છલકાઇ ગયો છે. આ ડેમ રાજાશાહી સમયનો બનેલો છે અને તે સમગ્ર જામનગરવાસીઓને પીવાનું પાણી પુરુ પાડે છે. તેથી આ વર્ષે હવે લોકોને પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય તેવી લોકોને આશા છે.
હવે ગુજરાતમાં વરસાદ નહીં પડે. આજથી સત્તાવાર કચ્છમાંથી ચોમાસાની વિદાય થઈ છે. પરંતુ 23 અને 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જયારે અમદાવાદમાં 23 સપ્ટેમ્બરે છુટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે, વરસાદની એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 23 અને 24 સપ્ટેમ્બરે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે.