સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પીટલ ગુરૂ ગોવિંદસિંઘ જનરલ હોસ્પિટલ ખાતે આજે સરકાર દ્વારા રૂ.13 કરોડથી વધુના ખર્ચે ફાળવવામાં આવેલ નવા આધુનિક એમ.આર.આઈ.મશીનનું લોકાર્પણ કરાયું. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં રહ્યા હતા.
પહેલાં જી.જી.હોસ્પિટલમાં એમ.આર.આઈ.ની સુવિધાના અભાવે દર્દીઓએ બહાર જવું પડતું ત્યારે હવે સ્થાનિક કક્ષાએ જ આ સુવિધા ઉપલબ્ધ થતાં લોકોનો સમય બચશે અને તેઓને ઝડપી સારવાર ઉપલબ્ધ થશે. ઉપરાંત અત્રેના મેડિકલના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સબંધિત અનુકૂળતાઓ રહેશે.આ પ્રકારના 8 મશીનો રાજ્યની અન્ય હોસ્પિટલોમાં પણ ફાળવવામાં આવ્યા છે જેમાંનું પ્રથમ એમઆરઆઇ મશીન જામનગર ખાતેથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જામનગર ખાતેથી સૌપ્રથમ એમ.આર.આઈ.મશીનનું આજે લોકાર્પણ થયું છે જે મશીન અતિ આધુનિક અને 1.5 ટેસ્લા જેટલી પ્રબળ ચુંબકીય ક્ષમતા ધરાવે છે. આ મશીનની મદદથી રેડિયેશનના ઉપયોગ વગર શરીરના આંતરિક માળખા અને અવયવોને ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ તેમાં થતા રોગોનું નિદાન કરી શકાશે. ગુજરાત સરકારે આ મશીનમાં ફૂલ પેકેજ ઉપલબ્ધ કરાવેલ છે એટલે કે મશીન તથા મશીનની સાથે તમામ પ્રકારની કોઇલ્સ કે જે વૈકલ્પિક હોય છે તે બધી જ ઉપલબ્ધ કરાવાઈ છે
જેના ઉપયોગથી કેન્સરના દર્દીઓ, મગજના રોગો, કમરના રોગો, ચેપી રોગો, હાડકા અને માસ પેશીના રોગો, સગર્ભા સ્ત્રીઓ તથા ગર્ભમાં રહેલ બાળકની ખોડ ખાપણનું સચોટ નિદાન શક્ય બનશે. નવા મશીનથી અનુસ્નાતક ટ્રેનિંગમાં પણ ઘણો લાભ થશે.તબીબી વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના નવા દર્દીઓના નિદાનની તક મળશે જેથી તેઓ પોતાના ક્ષેત્રે તમામ રોગોનું નિદાન કરવા વધુ સક્ષમ બનશે.
આ મશીનના કારણે દર્દીઓને ઘર આંગણે ટોચની સગવડતા મળવાને કારણે તેમનો નિદાન માટેનો સમય બચશે. બીજી જગ્યાએ જવા માટે પડતી હાલાકી દૂર થશે અને આર્થિક ખર્ચમાં રાહત થશે. આમ આ નવું એમઆરઆઇ મશીન એ દર્દીઓ માટે ખરા અર્થમાં વરદાન રૂપ સાબિત થશે.
લાંબા સમયથી જૂનુ મશીન બંધ થતા એમઆરઆઈ માટે દર્દીઓને ખાનગી હોસ્પીટલમાં જવું પડતું હતું. આ માટે અનેક વખતે સ્થાનિક કક્ષાએથી રજૂઆત કરવામાં આવી હતી. રાજય સરકારે આ મશીન હોસ્પીટલને આપતા સવલતમાં વધારો થયો છે. હવે ફરીથી દર્દીઓને એમઆરઆઈ માટે જવાનો ખર્ચ અને સમયનો બચશે. અને દર્દીઓ તેમજ તેની સાથે આવતા લોકોની મુશકેલી ઓછી થશે.
Published On - 8:11 pm, Sun, 26 March 23