જામનગર જીલ્લા પંચાયતમાં ફરી અધિકારી અને શાસકો વચ્ચેની તકરાર સામે આવી છે. આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા સમિતીને શોભા ગાંઠીયા સમાન ગણાવી, અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાનો અને શાસકોને ગણકારતા ના હોવાના ગંભીર આક્ષેપ કર્યા.
સામાન્ય રીતે વિરોક્ષ પક્ષ દ્વારા આક્ષેપબાજી થતી હોય છે. પરંતુ જામનગર જીલ્લા પંચાયતમાં શાસકો ખુદ આવા આક્ષેપો કરી રહ્યા છે. થોડા સમય પહેલા ભાજપના એક સભ્ય દ્વારા પોતાના કામ ના થતા હોવાના આક્ષેપ કર્યા. તો ફરી આરોગ્ય સમિતિના ચેરમેન પત્રકારો સામે ગંભીર ખુલાસાઓ સાથે અધિકારીઓ પર આક્ષેપ કર્યા. 26 એપ્રિલથી આરોગ્ય સમિતીનો કાર્યભાર સંભાળ્યા બાદ માત્ર એક જ મિટીંગ કરવામાં આવી છે. અધિકારીઓને મીટીંગ માટે કહેતા ગણકારતા નથી.
તો આરોગ્ય વિભાગમાં થતી ગેરરીતીઓ અંગે ફરીયાદ મળતા તે અંગે ખુલાસો અને વિગતો માંગતા કોઈ માહિતી આપવામાં આવતી નથી. આરોગ્ય સમિતી તો છે. પરંતુ નામ માત્ર કે શોભાના ગાંઠીયા સમાન બની છે. આ વાત ખુદ આરોગ્ય સમિતીના ચેરમેન જગદિશ સાંગાણીએ જણાવી છે. અધિકારીઓ દ્વારા મનમાની કરાતી હોવાનું તેમજ વિગતો છુપાવવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. એજન્સી મારફતે ભરતી હોય કે કોઈ ખરીદી હોય તેના ખોટા બીલ મુકવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા.
આરોગ્ય સમિતી દ્વારા વિગત માંગવામાં આવી હતી. જે માસ્કની ખરીદી કરવામાં આવી તે ભાવ અને ગુણવતાની વિગતો માંગવામાં આવી હતી. પરંતુ લાંબા સમય સુધી કોઈ જવાબો આપવામાં આવ્યા નહી. જીલ્લા પંચાયતના અનેક વાહનો હોવાછતા જે બંધ દર્શાવીને ખોટા ખાનગી વાહનોને બીલ પાસ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યા. તેમજ તેની વિગત માંગવા છતા આપવામાં ના હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત આઉટસોસીંગથી જે ભરતી થાય તેમને અન્ય લાભ અને પુરતા પગાર ના અપાતા હોવાની વ્યાપક ફરીયાદ મળતા અધિકારીને પુછતા કોઈ જવાબ આપવામાં આવેલ નથી. ગંભીર આક્ષેપ બાદ પત્રકારો દ્વારા જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.જી. બથવારને પુછતા તેમની માન્યતા હોવાનુ જણાવી જવાબ દેવાનું ટાળ્યું હતું.
શાસક પક્ષના સભ્યો દ્વારા અગાઉ ફરીયાદો થતી કે જીલ્લા પંચાયતમાં કામ થતા નથી. હવે તો શાસકો ખુદ અધિકારી સામે ખુલ્લીને મેદાને આવ્યા છે. ત્યારે અધિકારી દ્વારા થતી કામગીરીની યોગ્ય તપાસ થાય તો ભ્રષ્ટાચાર સામે આવી શકે.