Tv9 Exclusive : ગુજરાતના નવા મંત્રીમંડળમાં 24 સભ્યોનો સમાવેશ થવાની શક્યતા, જાણો કયા જાતિગત સમીકરણોને આધારે અપાશે સ્થાન

11 ધારાસભ્યોને કેબિનેટકક્ષાના પ્રધાન બનાવાય તેવી શક્યતા છે. તો 13 ધારાસભ્યોને રાજ્યકક્ષાનો હવાલો સોંપાય તેવી શક્યતા છે.

Tv9 Exclusive : ગુજરાતના નવા મંત્રીમંડળમાં 24 સભ્યોનો સમાવેશ થવાની શક્યતા, જાણો કયા જાતિગત સમીકરણોને આધારે અપાશે સ્થાન
| Edited By: | Updated on: Dec 11, 2022 | 4:43 PM

ભુપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લેવાના છે. ત્યારે તેમની સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. ત્યારે ગુજરાતના નવા પ્રધાનમંડળને લઇને Tv9 ગુજરાતી પાસે Exclusive જાણકારી સામે આવી છે. CM ભુપેન્દ્ર પટેલની સરકારમાં 24 સભ્યોનું પ્રધાનમંડળ હોવાની શક્યતા છે. 11 ધારાસભ્યોને કેબિનેટકક્ષાના પ્રધાન બનાવાય તેવી શક્યતા છે. તો 13 ધારાસભ્યોને રાજ્યકક્ષાનો હવાલો સોંપાય તેવી શક્યતા છે. આવતીકાલે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ અને નવા પ્રધાનો શપથ લેવાના છે.

નવા પ્રધાનમંડળમાં પાટીદાર અને ઓબીસી પાવર અકબંધ રહેશે. પ્રધાનમંડળમાં સૌથી વધુ પાટીદાર અને ઓબીસી પ્રધાનોના સમાવેશની શક્યતા છે. 9 સંભવિતોમાંથી 6 પાટીદારોને પ્રધાનમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે. 7 ઓબીસી ચહેરાઓને પ્રધાન મંડળમાં તક મળી શકે છે. 5 આદિવાસી નેતાને ટીમ ભૂપેન્દ્રમાં સ્થાન મળી શકે છે. દલિત સમુદાયમાંથી પાંચ ધારાસભ્યોને પ્રધાન બનાવાય તેવી શક્યતા છે. બે બ્રાહ્મણ અને એક ક્ષત્રિય ચહેરાનો પણ પ્રધાન મંડળમાં સમાવેશ થઈ શકે છે.

નવા મંત્રીમંડળમાં કેબિનેટમાં કોણ ?

જો કેબિનેટની વાત કરવામાં આવે તો કિરીટસિંહ રાણા, કનુ દેસાઇ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, શંભુ પ્રસાદ ટુંડિયા અથવા રમણ વોરા, મુળુ બેરા, અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, જીતુ વાઘાણી, ગણપત વસાવા આ ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. 11 નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. આ ભાજપના ઘણા સિનિયર ચહેરાઓ છે. આ ચહેરાઓને જાતિગત સમીકરણને લઇને કેબિનેટમાં સ્થાન મળી શકે તેમ છે. ઝોન વાઇસ પણ આ નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

ગઇકાલે દિલ્હીમાં 6 કલાકની મેરેથોન બેઠક ગુજરાતના પ્રધાન મંડળને લઇને મળી હતી. નામો શોર્ટલિસ્ટ પણ કરી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન આજે રાત્રે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે ફાઇનલ નામોની ચર્ચા થઇ શકે તેવી પણ માહિતી મળી છે. જે પછી પ્રધાન મંડળમાં જેનો પણ સમાવેશ કરવાનો છે. તેમાંથી કેટલાકને મોડી રાત્રે ફોન કરવામાં આવ્યા છે. તો કેટલાકને હજુ ફોન કરવામાં આવી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના ઘરે વહેલી સવારથી ધારાસભ્યો મળવા માટે પહોંચ્યા હતા.

રાજ્યકક્ષાના પ્રધાન કોણ બની શકે ?

રાજ્યકક્ષાના પ્રધાનોની વાત કરવામાં આવે તો ગૃહ પ્રધાન હર્ષ સંઘવીનું નામ મોખરે ચાલી રહ્યુ છે. તેની સાથે જ વડોદરામાંથી બાલકૃષ્ણ શુક્લ કે જે RSS પરિવારમાંથી આવે છે. તેઓ ભૂતકાળમાં અનેક જવાબદારી નિભાવી ચુક્યા છે. જગદીશ વિશ્વકર્મા ભૂતકાળની સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. સહકારનો સ્વતંત્ર હવાલો પણ સંભાળી ચુક્યા છે. તેમનો સમાવેશ થઇ શકે છે. અમદાવાદના મહિલા ધારાસભ્ય દર્શના વાઘેલાને રાજ્યકક્ષા પ્રધાનોમાં સ્થાન મળી શકે છે.ૉ

મહિલા ચહેરાઓની વાત કરવામાં આવે તો મનીષા વકીલ અથવા ભાનુબેન બાબરીયામાંથી એકનો સમાવેશ રાજ્યકક્ષામાં થઇ શકે છે. આદિવાસી વિસ્તારમાં ડો. દર્શનાબેન દેશમુખ કે જે નાંદોદથી લડ્યા હતા, તેની સાથે જ પી.સી. બરંડાને સ્થાન મળી શકે તેમ છે. આ સાથે જ મુકેશ પટેલનું પણ નામ અહીં ચાલી રહ્યુ છે. દક્ષિણ ગુજરાતના વધુ એક મંત્રી પણ રેસમાં છે. જો કોળી સમાજની વાત કરવામાં આવે તો પરષોત્તમ સોલંકી અથવા હિરા સોલંકીને સ્થાન મળી શકે છે. જુનાગઢમાં સંજય કોરડિયાને સ્થાન મળી શકે છે. તે જ રીતે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો વી. પી પટેલને પ્રાધાન્ય મળી શકે છે. પંકજ દેસાઇને પણ સ્થાન મળે તેવી શક્યતા છે. નહીં તો દંડક તરીકે તેમને ફરીથી કાર્યરત રાખવામાં આવી શકે છે.

 

Published On - 3:59 pm, Sun, 11 December 22