આજે 20 જુલાઈને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદ મહાનગરપાલિકાના લાંચિયા અધિકારી પર ACBની કાર્યવાહી. જુનિયર ક્લાર્ક રૂ.2000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો. ટેક્ષ મધ્યઝોન, પ્રોપર્ટી ટેક્ષ વિભાગનો જુનિયર ક્લાર્ક જય દિનેશ કુલકર્ણી ઝડપાયો. ટેક્ષબિલમાં નામ દાખલ કરવાની અરજી મંજૂર કરવા માટે માંગી હતી લાંચ. આરોપીએ પહેલા જ ફરિયાદીની ઓફિસે જઈ રૂ. 3000 વસૂલી લીધા હતા. બાકીના રૂ 2000 લેવા માટે ફરિયાદીને દાણાપીઠ AMC સ્ટાફ કેન્ટીનમાં બોલાવ્યો હતો. ફરિયાદી લાંચ આપવા ના માંગતા હોવાથી એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવી સ્ટાફ કેન્ટીનમાંથી લાંચની રકમ સાથે આરોપીને સ્થળ પર જ દબોચ્યો.
સુરતના ઓલ્ડ સિટી વિસ્તારોમાંથી હિન્દુઓની હિજરતને લઈને સાધુ સંતોએ જિલ્લા કલેકટરને કરી રજૂઆત. સુરતમાંથી લુપ્ત થઈ રહેલી જૂની સંસ્કૃતિને બચાવવા સાધુ સંતો મેદાનમાં ઉતરી આવ્યા છે. ગોપીપુરા વિસ્તારમાં અશાંતધારાના કાયદાના અમલ માટે જિલ્લા કલેકટરને સાધુ-સંતો સહિત સ્થાનિકો દ્વારા કરી રજૂઆત. એનજી ઝવેરી સ્કૂલની સામેનો વિસ્તાર, રંગીલાદાસની શેરી હનુમાન ચાર રસ્તા, મહાવીર રત્ન શોપિંગ સેન્ટર, વિમલ એપાર્ટમેન્ટ ગોપીપુરા એપાર્ટમેન્ટ સહિતનો વિસ્તારમાંથી હિન્દુઓની હિજરત કરાઈ રહી છે. દિવ્ય સ્વપ્ન એપાર્ટમેન્ટ, રંગ મંગલ એપાર્ટમેન્ટ, અંજના સોસાયટી, કાજીનું મેદાન અને પંચોની વાડી સામેનો વિસ્તાર તેમજ પરેશ એપાર્ટમેન્ટ સહિતની જગ્યા પર નથી થતું અશાંતધારાના નિયમનું પાલન. આ વિસ્તારોમાં અશાંતધારાના નિયમનો ભંગ, કેટલીક જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામની અનેક ફરિયાદ. ક્યાંક બેનામી વ્યવહાર, ક્યાંક મિલકતની તબદીલી સહિતની કામગીરી તંત્રની મિલીભગતમાં પાર પાડતી હોવાના આરોપ લગાવ્યા છે. હિન્દુ અને જૈન લોકોની હિજરત અટકાવવા માટે સાધુ સંતો હવે આવ્યા મેદાનમાં. જિલ્લા કલેકટરને મળી હિન્દુઓની હિજરત રોકવા અશાંતધારા નિયમનું કડક પાલન કરવા રજૂઆત. નિયમોનું પાલન ન થતા સંતોએ કહ્યું અમે તંત્રની આંખ ઉઘાડવા આવ્યા છીએ
જામનગર મનપાના ફૂડ વિભાગની શહેરભરમાં તપાસ. હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણ, નોનવેજ શોપ અને રેકડીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું. કુલ 41 વેપારી એકમોની તપાસ હાથ ધરાઈ. 68 કિલો વાસી ખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ.
6 કિલો પસ્તીનો પણ સ્થળ પર નાશ કરાયો. ખાદ્ય તેલના નમૂનાઓ તપાસ માટે લેવામાં આવ્યા. આઈસ ફેક્ટરીમાં સ્વચ્છતા અને ક્લોરીનેશનની સૂચના. મનપાની કાર્યવાહીથી ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ.
ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થવાની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જ્યારે દમણ દાદરા નગર હવેલી, નવસારી ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. આવતીકાલે સુરત, તાપી, નવસારી, વલસાડ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 3 દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. સાયકલોનીક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ જેવી વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવા વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી. અમદાવાદમાં વરસાદી ઝાપટા પડશે.
ગુજરાતમાંથી પકડાતા ડ્રગ્સના કેસના 65 ટકા ગુનેગારોને સજા અપાવવામાં સફળતા મળી રહી છે તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આણંદ એકાઉન્ટરમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને પોલીસ પર હુમલો કરનાર ગુનેગારને કઈ રીતે છોડી શકાય? તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. 13 આંતકવાદીઓ ઝડપવાની ઘટનામાં ATS સત્તાવાર નિવેદન જાહેર કરશે. અમદાવાદ ફટાકડા ફેકટરી બ્લાસ્ટમાં SIT ની રચના કરાશે, સાંજે રીવ્યુ બેઠક કરી વધુ માહિતી અપાશે. દહેજમાં 2212 કરોડના ડ્રગ્સના જથ્થાના નાશ બાદ ગૃહમંત્રીએ નિવેદન આપ્યું.
અમદાવાદના વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસના આરોપીઓને સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. પોલીસ આરોપીઓને લઈને ઘટના સ્થળે પહોંચી. મેહુલ ડોડીયા અને સાદિકને સાથે રાખી બ્લાસ્ટ સ્થળે પહોચી પોલીસ. આરોપીઓને સાથે રાખી પંચનામુ કરવાના આવ્યું. સાત દિવસના રિમાન્ડ બાદ પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે સંપૂર્ણ તપાસ કરવા માટે નવી હાઈ લેવલ કમિટીની રચના કરાશે. જે સમગ્ર મામલાની કરશે તપાસ. સરકારે સમગ્ર ઘટનાની તપાસ માટે હાઈ લેવલ કમિટી બનાવવા નિર્ણય લીધો છે. કમિટીમાં અર્બન હાઉસિંગ અને ડેવલપમેન્ટ વિભાગના 2 અધિકારી રહેશે. એડવોકેટ જનરલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આપવામાં આવી જાણકારી. પુનઃ વસન માટે 120 ફ્લેટ ખાલી છે તેમ એડવોકેટ જનરલે કહ્યું છે. પુનઃ વસન રાજ્યના ખર્ચે કેમ ? દોષિતોના ખર્ચે પુનઃ વસન થવું જોઇએ તેવી ટકોર હાઈકોર્ટ કરી હતી. SIT માત્ર આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરે છે તેમ પણ હાઈકોર્ટ કહ્યું હતું.
કેનેડા બાદ અમેરિકાના વિઝાના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો. હિંમતનગર સાયબર ક્રાઈમ ટીમે હરિદ્વારથી ઉત્તરપ્રદેશના આરોપીને ઝડપ્યો. અમરિકાના વર્ક વિઝાના બહાને છેતરપિંડી આચરતો શખ્શ ઝડપ્યો.સોશિયલ મીડિયા દ્વારા લોકોને પોતાની જાળમાં ફસાવી છેતરપિંડી આચરતો. સાયબર ક્રાઈમ પોલીસ મથકે 29.61 લાખની છેતરપિંડીની નોંધાઈ હતી ફરિયાદ. ગાજીપુરના કંવલજીત પ્રસાદને પોલીસે હરિદ્વારથી ધરપકડ કરી હિંમતનગર લવાયો. રહિમ શેખ નામના શખ્સની ધરપકડ કરવા હિંમતનગર સાયબર ટીમે તપાસ હાથ ધરી. રહિમ શેખ 10 થી 100 કરોડના બેંક એકાઉન્ટની શોધ કરતો હોવાની ચેટ મળતા રેકેટ મોટું હોવાની આશંકા. આરોપી પ્રયાદ વિરુદ્ધ 12 રાજ્યોમાં 23 ફરિયાદ નોંધાઈ છે. સપ્તાહ અગાઉ કેનેડાના વિઝાના નામે છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કરોડોની છેતરપિંડી આચરી પ્રિતી વ્યાસ નામની યુવતી ફરાર થઈ હતી.
ભરૂચના દહેજમાં, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં ₹2110.30 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો હતો. ગુજરાતના 23 જિલ્લામાંથી ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો છે. દહેજ BEIL ના ઇન્સિનીરેટરમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નાશ કરાયો. એક વર્ષમાં પકડાયેલા ડ્રગ્સની 11.10 લાખ બોટલ અને 14447 કિલો ડ્રગ્સનો નિકાલ કરાયો. રાજ્યના 23 જિલ્લામાં ડ્રગ્સના 877 કેસ નોંધાયા હતા.
અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલ શરણદીપ સોસાયટીની આજુબાજુમાં ગ્રીનબેલ્ટ વધુ હોવાથી દિપડાને પકડવા વન વિભાગ 15 કિ.મી. વિસ્તારમાં થર્મલ કેમેરા લગાવશે. દિપડો કોલાહલ કે ઘોંધાટવાળા વિસ્તારને બદલે, શાંત વાતાવરણમાં જ દીપડો બહાર નીકળતો હોવાનું અનુમાન છે. બપોરના સમયે આજુબાજુના ઝાડી વાળા વિસ્તારમાં દીપડો સંતાઈ ગયો હોઈ શકે. દીપડાને પકડવા વન વિભાગ થર્મલ ડ્રોનનો કરશે ઉપયોગ. 15 કિમીના એરિયા સુધી થર્મલ ડ્રોન કરશે કામ. દીપડાના શરીરના તાપમાનથી થર્મલ ડ્રોનમાં કેપ્ચર થઈ શકે છે.
જુનાગઢના ગિરનારમાં દૂધ પરિક્રમા અટકાવવાના મુદ્દે સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા દૂધ લઈને પરિક્રમા કરવા પર પ્રતિબંધ મૂકાતા વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. સાધુ-સંતોનું કહેવું છે કે સારા વરસાદ અને લોકોની સુખાકારી માટે વર્ષોથી દૂધ પરિક્રમા કરવામાં આવે છે, પરંતુ આ વખતે પરવાનગી ન મળતા શ્રદ્ધાળુઓમાં નારાજગી ફેલાઈ છે. કેટલાક લોકોએ માત્ર સનાતન ધર્મની પરંપરાઓ સામે જ કાયદાનો કડક અમલ કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
દિલ્હીમાં સંસદ કૂચ કરવાનો પ્રયાસ કરનારા પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ પોલીસનું બેરિકેટિંગ તોડવાનો પ્રયાસ કરતાં સ્થિતિ બેકાબૂ બનતા ભીડને નિયંત્રણમાં લેવા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સંસદ ભવનનો મુખ્ય દ્વાર બંધ કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં સુરક્ષા દળ તૈનાત કરાયા હતા. બીજી તરફ, કેટલાક પ્રદર્શનકારીઓ રેલ ભવન નજીક ધરણાં પર બેઠા હતા. આ દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે સંસદ ભવનમાં મુલાકાત પણ યોજાઈ હતી.
વૈષ્ણોદેવી યાત્રાની જેમ, ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા પણ ખોરવાઈ ગઈ છે. ખરાબ હવામાનને કારણે સોમવારે બાલતાલ રૂટથી શ્રી અમરનાથ યાત્રા સતત બીજા દિવસે પણ સ્થગિત કરવામાં આવી હતી. સાવચેતીના પગલા તરીકે, અધિકારીઓએ યાત્રાળુઓને પવિત્ર ગુફા તરફ આગળ વધવાની મંજૂરી આપી ન હતી.
સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલી એક કિશોરીને ટીંગાટોળી કરીને ખસેડવામાં આવી હોવાનો વીડિયો સામે આવ્યો છે. તાવ અને પેટના દુખાવાની ફરિયાદ બાદ કિશોરીને હોસ્પિટલ લાવવામાં આવી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ડૉક્ટર અને હોસ્પિટલ તંત્રની બેદરકારી તથા ધક્કામુક્કીના કારણે કિશોરી બેભાન થઈ ગઈ હતી, ત્યારબાદ તેને ઈમરજન્સી વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, આ મામલે હોસ્પિટલ તંત્ર તરફથી સત્તાવાર સ્પષ્ટતા આવવાની બાકી છે.
અમદાવાદના લો-ગાર્ડન નજીક હેપી સ્ટ્રીટ ખાતે યુથ કોંગ્રેસના કાર્યકરોએ સોનમ વાંગચૂકના સમર્થનમાં તેમજ NEET પેપર લીકના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિ કાબૂમાં લીધી અને વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અમદાવાદના ઘુમા ગામની શરણદીપ સોસાયટીમાં રાત્રે દીપડો ઘુસી આવતાં સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી દીપડાને પકડવાની કામગીરીમાં લાગી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેયર સહિત મનપાના અધિકારીઓ પણ ઘુમા ગામ પહોંચ્યા હતા અને સોસાયટીના રહીશો પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટના કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. DCPની અધ્યક્ષતામાં કાર્યરત SITમાં DCP ઝોન-8, ACP S ડિવિઝન અને રામોલ PIનો સમાવેશ કરવામાં આવ્યો છે. SITને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરીને 10 દિવસમાં વિગતવાર અહેવાલ તૈયાર કરી રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
આણંદ જિલ્લાના વાસદમાં 4 વર્ષની બાળકીના અપહરણ અને હત્યા કેસમાં મોટો વળાંક આવ્યો છે. બાળકીના અપહરણના આરોપી સુરેશ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. પોલીસ આરોપીને વાસદ લઈ જઈ રહી હતી ત્યારે નશાની હાલતમાં તેણે પોલીસ પર હુમલો કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. LCB PSI દ્વારા ચેતવણી આપવામાં આવી હોવા છતાં આરોપી કાબૂમાં ન આવતા પોલીસે આત્મરક્ષામાં ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં બે પોલીસ કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે.
નવસારી જિલ્લાના જલાલપોરમાં અંદાજે 8 ઇંચ અને નવસારી શહેરમાં પોણા છ ઇંચ જેટલો ભારે વરસાદ વરસતાં શહેર અને જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે ધાનેરા પોઈન્ટ, કાલિયાવાડી, દુધિયા તળાવ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધાનેરા પોઈન્ટ નજીક મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી જતાં વાહનચાલકો દિવસ દરમિયાન પણ હેડલાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સંસદમાં ‘વંદે માતરમ બિલ’ રજૂ કરશે. પ્રસ્તાવિત બિલ હેઠળ ‘વંદે માતરમ’નું અપમાન ફોજદારી ગુનો ગણાશે અને તેના માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવશે. બિલ અનુસાર વંદે માતરમનું અપમાન કરનારને ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. સાથે જ રાષ્ટ્રીય ગીતને કાનૂની અને કાયદાકીય રક્ષણ આપવાનો પ્રસ્તાવ છે, જેથી તેના સન્માન અને ગૌરવનું જતન સુનિશ્ચિત થઈ શકે. આ બિલ સંસદમાં રજૂ થયા બાદ તેના પર ચર્ચા અને મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાશે.
Published On - 7:34 am, Mon, 20 July 26