
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ગુરુવાયુર મંદિર જશે અને દર્શન અને પૂજા કરશે. રામલલ્લાની મૂર્તિ આજે અયોધ્યા પરિસરમાં પ્રવેશ કરશે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીને લઈને દિલ્હીમાં બેઠક થશે. આ પહેલા સપા પ્રમુખ અખિલેશ યાદવ પ્રેસ કોન્ફરન્સ કરશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઠાકરે જૂથના ધારાસભ્ય રવિન્દ્ર વાયકરને આજે પૂછપરછ માટે બોલાવ્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથે આજથી સ્ત્રી શક્તિ સંવાદ યાત્રાની જાહેરાત કરી છે. અયોધ્યામાં હેમા માલિની તેમની આખી ટીમ સાથે રામાયણ પર આધારિત નૃત્ય રજૂ કરશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…
ભારતે અફઘાનિસ્તાનને ત્રણ મેચની T20 શ્રેણીમાં હરાવ્યું છે. પ્રથમ અને બીજી ટી20 છ-છ વિકેટે જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ત્રીજી ટી20માં અફઘાનિસ્તાનને ડબલ સુપર ઓવરમાં હરાવ્યું. બંને ટીમો 20-20 ઓવર બાદ 212-212 રન બનાવી શકી હતી. આ પછી પ્રથમ સુપર ઓવરમાં બંને ટીમ 16-16 રન બનાવી શકી હતી. ત્યારબાદ ડબલ સુપર ઓવરમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 11 રન બનાવ્યા હતા. ત્યારબાદ અફઘાનિસ્તાનની ટીમે ત્રણ બોલમાં બે વિકેટ ગુમાવી દીધી અને આ રીતે ટીમ ઈન્ડિયાની જીત થઈ.
અમદાવાદ DRIએ 25 કરોડનું 50 કિલો કેટામાઇન ડ્રગ્સ ઝડપ્યું છે. એરપોર્ટના કાર્ગો કોમ્પલેક્સમાંથી ડ્રગ્સ જપ્ત કર્યું છે. પાર્સલમાં કેમિકલના નામે ડ્રગ્સની હેરાફેરી થતી હતી. આ ડ્રગ્સ થાઇલેન્ડના બેંગકોકમાં પહોંચાડવાનું હતું. ત્યારે DRIએ ઝડપી પાડ્યું છે. તો ગાંધીનગરની એક ફેક્ટરીમાંથી પણ 46 કિલો ડ્રગ્સનો પાવડર મળી આવ્યો છે.
UP ATSએ બુધવારે ISISના એક આતંકીની ધરપકડ કરી છે. તે ઘણી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. ગયા વર્ષે 3 નવેમ્બરે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પકડાયેલા આતંકીનું નામ ફૈઝાન છે. તેની ઉંમર 24 વર્ષની છે. આ પહેલા અબ્દુલ્લા અરસલાન, માજ બિન તારિક, બજીહુદ્દીન સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 23 લોકોના મોત થયા છે. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે અને વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સમરાકુન સુફાન રેસ્ક્યુ ફાઉન્ડેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, સંસ્થાના કાર્યકર્તાઓ થાઈલેન્ડના સુફાન બુરી પ્રાંતમાં બનેલી આ દુ:ખદ ઘટનામાં મૃતકોની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
29 જાન્યુઆરીના રોજ અમદાવાદથી અયોધ્યાની પ્રથમ ટ્રેન રવાના થશે. આ પ્રવાસની શરૂઆત અમદાવાદ પ્રશ્ચિમ લોકસભાથી થશે. આ પ્રવાસને લઇને અમદાવાદમાં ખાનપુર કાર્યાલયે બેઠકનું આયોજન થયું છે. આમ વર્ષો પહેલા જે રીતે દરેક વિધાનસભામાંથી ધારાસભ્યો નર્મદા ડેમ જોવા પોતાના મતદારોને લઇ જતા તેવો જ માહોલ અયોધ્યા માટે ઉભો થશે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રાજ્યભરમાં જાહેર રજાની માગ સરકારના વિવિધ વિભાગોમાંથી ઉઠી છે. આ ઉપરાંત મંત્રી ઋષિકેશ પટેલે વાયબ્રન્ટ સમિટની સફળતાની વાત કરતા તેના માધ્યમથી રાજ્યમાં 80 લાખ રોજગારી ઉભી થશે તેવો દાવો કર્યો હતો.
સમગ્ર ભારત હાલ પ્રભુ રામના રંગે રંગાઈ ચૂકેલું નજર આવી રહ્યુ છે. દેશભરમાં દરેક ગામ અને શહેરમાં જયશ્રી રામનું નામ ગૂંજી રહ્યું છે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં આવેલા સનાલીની શાળામાં જય શ્રી રામ બોલીને વિદ્યાર્થીઓ પ્રવેશ કરે છે. દાંતા તાલુકાની આ શાળામાં અનોખી પ્રથા શરુ થઈ છે. બનાસકાંઠાની શાળાનો વીડિયો પર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. સીએમ કેજરીવાલે કહ્યું છે કે મને 22 જાન્યુઆરીએ મારો કાર્યક્રમ ખાલી રાખવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ આમંત્રણ આવ્યું નથી. હું આખા પરિવાર સાથે અયોધ્યા જવા માંગુ છું, 22મી પછી હું મારા માતા-પિતાને સાથે લઈને અયોધ્યા જઈશ.
મહેસાણા જિલ્લાના જોટાણામાં બુરખો પહેરીને આરોપી પર હુમલો કરવાની ઘટનામાં આરોપીને પોલીસે ઝડપી લીધો છે. વેપારી પર હુમલો કરવાનો વીડિયો સામે આવ્યો હતો અને જેને લઈ પોલીસે આરોપીની શોધખોળ શરુ કરી હતી. આ દરમિયાન પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળતા હુમલાખોર યુવકને ઝડપી લેવાયો છે.
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ધાર્મિક માહોલ જામ્યો છે. આ માટે દરેક શહેર અને દરેક ગામમાં ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક હિન્દૂ પરિવારો દ્વારા હિસ્સો લઈને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સુંદર આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદ શહેરના શિક્ષકોએ સોમવારે જાહેર રજાની માંગ કરી છે.
22 જાન્યુઆરીએ રામનગરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ છે. સમગ્ર દેશમાં આને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટના ઘણા સ્ટાર્સને પણ પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યા છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અત્યાર સુધીમાં લગભગ 6 હજાર ખાસ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં ભાડજ વિસ્તારમાં એક બાળકી પર દુષ્કર્મ ગુજારવાની ઘટના સર્જાઈ છે. ભાડજ વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઈટનું કામ ચાલતુ હતુ, જેમાં કડીયા કામ કરતા શ્રમિકે એક બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ. યુવકે બાળકીને ચોકલેટની લાલચ આપીને પોતાની સાથે ઉપાડી ગયો હતો અને તેને ઝાડીઓમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હતુ. બાળકીને ત્યારબાદ આરોપી પરત ઘરે મુકી ગયો હતો. જ્યાં બાળકીએ પોતાના પરિવાર સમક્ષ રડતા રડતા ફરિયાદ કરતા મામલો સામે આવ્યો હતો. માસૂમ બાળકીના ગુપ્ત ભાગથી લોહી વહેતું હોવાને લઈ સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેની પર દુષ્કર્મ થયાનું સામે આવ્યુ હતુ. ઘટનામાં આરોપી યુવકને ઝડપી લેવામાં આવ્યો હોવાનું અમદાવાદ પોલીસના ઝોન-1 ડીસીપી લવિના સિંહાએ જણાવ્યુ હતુ.
પ્રજાસત્તાક દિવસની પરેડમાં નૌકાદળની ઝાંખી મહિલા સશક્તિકરણનો સંદેશ આપશે. તેમાં મહિલાઓને દરેક રોલમાં બતાવવામાં આવી છે. તે સિવાયલ સ્વદેશી હથિયાર, આઈએનએસ વિક્રાંત, આઈએનએસ દિલ્હી અને ખાસ કરીને આઈએનએસ કોલકત્તાને પણ બતાવવામાં આવશે.
કેરળના કોચીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, લોકસભાની ચૂંટણી દેશની સરકારને ચૂંટવાની છે, તમારે (કાર્યકરોએ) દરેક મતદાતા સુધી આ વાત પહોંચાડવી પડશે. દેશની સુરક્ષા એ ભારત સરકારની મોટી જવાબદારી છે. આપણે મતદારોને જણાવવું જોઈએ કે 10 વર્ષ પહેલા જ્યારે દેશમાં નબળી સરકાર હતી ત્યારે દરરોજ આતંકવાદી હુમલા થતા હતા. આની અસર દેશ પર પડી. આજે વિશ્વ ભારતને વિશ્વ મિત્ર તરીકે જોઈ રહ્યું છે. ખાડીના દેશોમાં ભારતીયોનું સન્માન વધ્યું છે અને તેમને વધુ સુરક્ષાની ખાતરી પણ મળી છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાનના ક્વેટામાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. જેમાં 9 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ સિવિલ સચિવાલય અને કમિશનરની ઓફિસ પાસે થયો હતો.
ગુજરાતમાં ગામે ગામ ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. ગુજરાતના દરેક ઘરે રંગોળી અને દીપ પ્રગટાવવા અંગે કરાયું આયોજન. દરેક ગામમાં ઉજવણી માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવશે. રાજ્ય પંચાયત પરિષદ દ્વારા તમામ ટીમનું મોનીટરીંગ કરવામાં આવશે.
વિસાવદર વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ધારાસભ્ય બનેલ ભુપત ભાયાણીએ, રાજીનામું આપી દીધુ છે. હવે આમ આદમી પાર્ટીને બદલે ભૂપત ભાયાણી કેસરીયા કરશે. આગામી 3 ફેબ્રુઆરીના રોજ સત્તાવાર રીતે ભાજપમા જોડાશે. ભૂપત ભાયાણી તેમના મત વિસ્તાર વિસાવદરમાં જાહેર કાર્યક્રમ દરમિયાન ભાજપનો ભગવો ધારણ કરશે. ભૂપત ભાયાણીને ભાજપમા આવકારવા માટે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. 13 ડિસેમ્બર ભાયાણીએ આપ્યુ હતું આપના ધારાસભ્ય પદેથી રાજીનામું.
વિરમગામ અંધાપા કાંડનાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગુજરાત હાઇકોર્ટે, સમગ્ર ઘટનાને ધ્યાને લઇ સુઓમોટો દાખલ કરી છે.
જસ્ટિસ એ.એસ.સુપૈયાની ખંડપીઠે સુઓમોટો લીધી છે. વિરમગામની રામાનંદ ચેરીટેબલ હોસ્પિટલમાં આંખનું ઓપરેશન કરાવવાથી અનેક લોકોએ દ્રષ્ટિ ગુમાવી હોવાનું સામે આવ્યું હતું. ઓપરેશન સમયે કંઈ કંઈ બેદરકારી દાખવી હતી અને મેડિકલ પ્રોટોકોલનું પાલન થયું છે કે કેમ તે અંગે હાઇકોર્ટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાસે જવાબ માંગ્યો છે.
અમદાવાદ જિલ્લા પોલીસ વડાને પણ હાઇકોર્ટે જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યા છે. આ સુઓમોટોની વધુ સુનાવણી આગામી 7 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
ગુજરાતના ખેડા, નડિયાદ અને આણંદના બે ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. નડિયાદમાં ગરમ મસાલાનો વેપાર કરતા એશિયન ગ્રુપ પર દરોડા પાડવામા આવ્યા છે. જ્યારે એશિયન ગ્રુપ સાથે સંકળાયેલા આણંદના નારાયણ ગ્રુપ ઉપર પણ આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. નારાયણ ગ્રુપ રીયલ એસ્ટેટ ક્ષેત્રે પણ સંકળાયેલું છે. બંને ગ્રુપ મળી 25 સ્થળો ઉપર ઇન્કમટેક્સના દરોડા અને તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે.
શ્રીલંકન નૌકાદળે દરિયાઈ સરહદ પાર કરવા બદલ રામનાથપુરમમાંથી 18 માછીમારોની બે બોટ સાથે ધરપકડ કરી હોવાનું ભારતીય કોસ્ટ ગાર્ડના સુત્રોએ જણાવ્યું હતું.
ઈરાનના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીએ ખુદ પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલ હુમલાનો આદેશ આપ્યો હતો.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને હવાઈ હુમલાની આકરી ટીકા કરી છે. “પાકિસ્તાન ઈરાન દ્વારા તેના એરસ્પેસના ઉશ્કેરણીજનક ઉલ્લંઘન અને પાકિસ્તાની ક્ષેત્રની અંદરના હુમલાની સખત નિંદા કરે છે, જેના પરિણામે બે માસૂમ બાળકોના મોત થયા હતા, જ્યારે ત્રણ છોકરીઓ ઘાયલ થઈ હતી. પાકિસ્તાનની સાર્વભૌમત્વનું આ ઉલ્લંઘન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.” આ હુમલાના ગંભીર પરિણામો આવશે”
Published On - 7:07 am, Wed, 17 January 24