
આજે 15 સપ્ટેમ્બરને શુક્રવાર રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે કોંકણ ક્ષેત્રમાં ગણેશ ઉત્સવ માટે જતા વાહનોને 16 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી હાઈવે પર ટોલ ચૂકવવો પડશે નહીં. ટોલ માફ કરવાનો આ નિર્ણય મુંબઈ-બેંગલુરુ હાઈવે, મુંબઈ-ગોવા હાઈવે અને જાહેર બાંધકામ વિભાગ (PWD) હેઠળના અન્ય રસ્તાઓ પર લાગુ થશે. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન રાજ્ય પરિવહનની બસોને પણ ટોલમાંથી મુક્તિ આપવામાં આવશે
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરતી વખતે, આતંકવાદીઓના બે મદદગારોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે ઉત્તર કાશ્મીરના બારામુલ્લાના ઉરી વિસ્તારમાં લશ્કરના બે આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે. તેણે બંનેની ઓળખ મીર સાહિબ બારામુલ્લાના રહેવાસી ઝૈદ હસન મલ્લા અને સ્ટેડિયમ કોલોની, બારામુલ્લાના મોહમ્મદ આરીફ ચન્ના તરીકે કરી.
નવસારી કલેકટર કચેરીમાં પૂર્વ સરકારી કર્મચારીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. કલેકટરને રજૂઆત કરવા આવેલા DLR ઓફિસના પૂર્વ સર્વેયરે આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. વર્ષ 2002માં ભરત ભાવસાર નામના કર્મીને બરતરફ કરાયા હતા. કર્મચારી 35 ટકાથી વધુ દાઝતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ગઈકાલે રાત્રે, ત્રણ બાળ કેદીઓ જયપુરના ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના કિશોર ગૃહમાંથી બાથરૂમની જાળી તોડીને ભાગી ગયા હતા. પોલીસ સ્ટેશન ઓફિસર ધરમ સિંહે જણાવ્યું હતું કે ભાગી ગયેલા ત્રણ બાળ કેદીઓમાંથી બે પર હત્યાનો અને એક લૂંટનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે આ બાળ કેદીઓ જ્યારે ગુનો કર્યો ત્યારે તેઓ સગીર હતા, તેથી તેમને બાળ ગૃહમાં મોકલવામાં આવ્યા હતા.
ડિંડીગુલ જિલ્લાના નાથમમાં શુક્રવારે દેશી બનાવટનો બોમ્બ બનાવતી વખતે થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે પીડિતોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટકો શા માટે બનાવવામાં આવ્યા હતા તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સિવાય એ વાતની પણ તપાસ કરવામાં આવી રહી છે કે તેનો ઉપયોગ જંગલી પ્રાણીઓ સામે થવાનો હતો કે કેમ.
ભાવનગર શહેરના બોર તળાવ સરિતા સોસાયટી ધોબી સોસાયટી સહિતના વિસ્તારોમાં 500 થી વધુ લોકોને મનપા દ્વારા અડચણરૂપ દબાણો હટાવવા નોટિસ આપતા લોકોમાં રોષ ફેલાયો હતો. ભાવનગર શહેરના ગૌરીશંકર સરોવર એટલે કે બોર તળાવ ઓવરફ્લો થયા બાદ તેનું પાણી ગઢેચી નદીમાં થઇને દરિયાની ખાડી સુધી પહોંચે છે. ત્યારે ગઢેચી નદીના વેણમાં ધોબી સોસાયટી થી લઈને સરિતા સોસાયટી સુધીમાં અનેક દબાણો બની ગયા હોવાને લઈને આજુબાજુની સોસાયટીઓમાં ચોમાસાના પાણી ભરાયા હતા. જેને પગલે મનપા દ્વારા ધોબી સોસાયટી સરિતા સોસાયટી સહિતના વિસ્તારોમાં 500 થી વધુ અડચણરૂપ દબાણ કર્તાઓને સાત દિવસમાં દબાણો હટાવવા 260 ની નોટિસ આપવામાં આવી હતી. જેને લઇને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. રાજાશાહી સમયથી છેલ્લા 50 વર્ષથી લોકો અહીંયા વસે છે અને મહાનગરપાલિકાના વેરા બીજ બીલ સહિતની સુવિધાઓ પણ અહીંના રહીશોને આપવામાં આવી છે. ત્યારે અચાનક મનપા દ્વારા નોટિસ આપવામાં આવતા મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો મનપા કચેરી ખાતે દોડી આવ્યા હતા. અને મનપા કચેરીનો ઘેરાવ કર્યો હતો. સ્થાનિક લોકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરી અને અને માનવતા રાખી આ અંગે યોગ્ય વિકલ્પ કાઢવામાં આવે તેવી માંગ કરી હતી.
અમદાવાદ મંડળ દ્વારા સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ થયો છે. આ સમયગાળા દરમિયાન મંડળ દ્વારા રેલવે સ્ટેશનો, ટ્રેનો, કાર્યાલયો, કોલોનીઓ અને હોસ્પિટલો વગેરેમાં વિશિષ્ટ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત વોટર બૂથ અને પીવાના પાણીની ગુણવત્તા, નાળાંની સફાઇ, ડસ્ટબિનની પૂરતી વ્યવસ્થા, કચરાનો નિકાલ, ‘સિગલ યુઝ પ્લાસ્ટિક’ના ઉપયોગને ઘટાડવો, વગેરે સુનિશ્ચિત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
જો સાંસદો અને ધારાસભ્યો દોષિત સાબિત થાય તો તેમના પર ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ લગાવવાની માગણી પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.
રાજસ્થાનમાં શુક્રવારે સવારે શરૂ થયેલી પેટ્રોલ પંપ સંચાલકોની હડતાળ બપોરે 3 વાગ્યા બાદ મોકૂફ રાખવામાં આવી હતી. એસોસિએશનની માંગણીઓને લઈને સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે જે 10 દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. આપને જણાવી દઈએ કે રાજસ્થાનમાં પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને પંજાબની જેમ વેટ ઘટાડવાની માંગને લઈને બુધવાર અને ગુરુવારે પ્રતીકાત્મક હડતાળ કરી હતી.
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. શ્રાવણ મહિનાની અમાસને લઈ ઠાસરા ગામમાં શિવજીની સવારી નીકળી હતી. શિવજીની સવારી ઉપર પથ્થરમારો થયો હતો. બે જૂથના લોકો આમને સામને આવી જતા પથ્થરમારો થયો છે.
ચીનના વિદેશ મંત્રાલયને ખબર નથી કે ચીનના સંરક્ષણ પ્રધાન ક્યાં છે. એક પ્રશ્ન પર ચીનના વિદેશ મંત્રાલય તમફથી જવાબ ચીનના સંરક્ષણ પ્રધાનના ગુમ થવા અંગે પૂછવામાં આવતા મંત્રાલયે સંપૂર્ણ મૌન ધારણ કર્યુ હતુ. ચીનના રક્ષા મંત્રી લી સંગફુ 29 ઓગસ્ટથી ગુમ છે. જો કે આ પહેલા ચીનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન કિન ગેંગ પણ આવી રીતે ગાયબ થયા હતા અને બે મહિના સુધી ગાયબ રહ્યા બાદ કિન ગેંગને વિદેશ મંત્રી પદેથી હટાવી દેવામાં આવી હતી. ત્યારે હવે રક્ષા મંંત્રી લી સંગફુને પણ ટૂક સમયમાં પદ પરથી હટાવી દેવામાં આવશેની અટકળો ચાલી રહી છે.
31 જુલાઈએ હરિયાણાના નૂહમાં હિંસા ફેલાવવાના આરોપમાં મોડી રાત્રે ધરપકડ કરાયેલા કોંગ્રેસના ધારાસભ્ય મમન ખાનને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. મમન ખાન ફિરોઝપુર ઝિરકા વિધાનસભા સીટના ધારાસભ્ય છે. હરિયાણા પોલીસની SITએ ગુરુવારે મોડી રાત્રે રાજસ્થાનના અજમેરથી મમન ખાનની ધરપકડ કરી હતી.
OBC અનામતનું વિધેયક વધાનસભા બિલ રજૂ કરવામાં આવ્યું છે આ બિલમાં 27 ટકા અનામત આપવા અંગે જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામતની જાહેરાત કર્યા બાદ તેનું વિધેયક તૈયાર કર્યું છે. આ વિધેયક કાયદાપ્રધાન ઋષિકેશ પટેલ ગૃહમાં રજૂ કર્યુ છે. બિલમાં મહાનગરપાલિકા, પાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા સુચવ્યાં છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે. હવામાન વિભાગે આજથી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મધ્યમ, ભારે તેમજ અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો.
સનાતન ધર્મ પર તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદન બાદ આ મુદ્દો સતત ગરમ થઈ રહ્યો છે. નેતાઓથી લઈને સંતો તેનો વિરોધ કરી રહ્યા છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં એવી માગણી કરવામાં આવી છે કે ‘સનાતન ધર્મ નિવારણ પરિષદ’ની બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રીઓની ભાગીદારીને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી છે.
જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન કલ્યાણ માટે મોટી ભેટની જાહેરાત કરે છે. આ વર્ષે 17 સપ્ટેમ્બરે ફરી એકવાર પીએમ મોદી સમાજના એક મોટા વર્ગ માટે એક મોટી પહેલની જાહેરાત કરવા જઈ રહ્યા છે. આ દિવસે પીએમના જન્મદિવસ અને વિશ્વકર્મા જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી યોજનાની જાહેરાત કરવા જઈ રહ્યા છે. આ યોજનાનું નામ પીએમ વિશ્વકર્મા યોજના છે. 17 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે વડાપ્રધાન દિલ્હીના દ્વારકામાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર ખાતે આ યોજનાનો પ્રારંભ કરશે.
બિહારના શિક્ષણ મંત્રી પ્રો. ચંદ્રશેખરના સાઈનાઈડ નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે INDIA ગઠબધંને નક્કી કરી લીધુ છે કે સનાતન ધર્મ અને હિંદુઓને ખતમ કરવા પડશે. તેઓ હિંદુઓને જાતિઓમાં વહેંચીને મતનું રાજકારણ કરી રહ્યા છે. જનતા એક-એક પૈસાનો હિસાબ કરશે.
ગુજરાતના દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. એન્જીન પાસે જોડાયેલ ફર્સ્ટ કલાસ ડબ્બામાં આગ લાગી હોવાની માહિતી મળી રહી છે. ત્યારે આગની જાણ થતા જ
દાહોદ સહીત દેવગઢબારીઆના ફાયર વિભાગના લોકો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે આગની જાણ થતા જ રેલ્વેના અધિકારીઓ સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
અમદાવાદમાં માતાપિતાઓ માટે ચેતવણીરૂપ એક કિસ્સો સામે આવ્યો છે. જેમા એક બાળક કાર લોક થઈ જતા ગાડીમાં જ ફસાયુ હતુ અને લોક તોડવાની નોબત આવી હતી. પિતા બાળકને કારમાં બેસાડી બહાર કોઈ ચીજવસ્તુ લેવા નીકળ્યા હતા. જો કે ચાવી કારની અંદર જ હોવાથી બાળકે લોક કરી દેતા લોક ખુલી શક્યો ન હતો. અંતે ભારે જહેમત બાદ બાળકને કારમાંથી સહીસલામત બહાર કાઢવામાં આવ્યુ હતુ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વેજલપુરમાં આવેલ કૃષ્ણધામ આવાસ નજીક ટી.પી સ્કીમ નં 25 એફ.પી.નં101 પૈકી ગેરકાયદેસર ઝુંપડા બનાવવામાં આવ્યા હતા. તેને દૂર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાંથી કુલ 9 જેટલા ઝૂંપડા દુર કરવામાં આવ્યા છે. દબાણ દૂર કરી અંદાજે 3000 ચો.મીનો ખુલ્લો પ્લોટ કરવાની કામગીરી કરી છે. જેની અંદાજે કિંમત 30 કરડો જેટલી થાય છે.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. એમપીમાં પાર્ટીના ચૂંટણી પ્રભારી કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે 39 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. બાકીની બેઠકો માટેના ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મલ્હૌર સ્ટેશન પર પહોંચતા જ કેટલાક અસામાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જોકે, પથ્થરમારાની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પથ્થરબાજીની ઘટનાને જેણે પણ અંજામ આપ્યો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
EDએ કોલકાતા, ભોપાલ, મુંબઈ સહિત ઘણા શહેરોમાં મહાદેવ એપીપી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ નેટવર્ક સામે દરોડા પાડ્યા છે અને મોટા પ્રમાણમાં પુરાવા મેળવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ED અધિકારીઓએ 417 કરોડ રૂપિયાની રકમ સીઝ કરી દીધી છે.
ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારી અને ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડાના નિવાસસ્થાને, પી સી બંરડાની પત્નીને બાંધીને લૂંટ કરવાના કેસમાં પોલીસે એક આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. જ્યારે આ લૂંટ કેસના અન્ય આરોપીને પકડવા માટે પોલીસે ટીમ રવાના કરી છે. લૂંટ ચલાવનાર જાણભેદુ હોવાની આશંકા સેવાઈ રહી છે.
કેરળમાં નિપાહ વાયરસનો પ્રકોપ વધ્યો હોય તેવું છેલ્લા પાંચ વર્ષમાં ચોથી વખત બન્યું છે. તાજેતરના નિપાહ વાયરસના રોગચાળામાં બે દર્દીઓના મોત થયા છે અને અત્યાર સુધીમાં 6 દર્દીઓની પુષ્ટિ થઈ છે. નિપાહ વાયરસના દર્દીઓના સંપર્કમાં આવેલા 950 લોકોની ઓળખ થઈ છે. જે પૈકી બસ્સોથી વધુ લોકો હાઈ-રિસ્ક કેટેગરીમાં છે. અનેક આરોગ્ય કર્મચારીઓ પણ દર્દીઓના સંપર્કમાં આવ્યા છે. જેમાના ઘણા લોકોને દેખરેખમાં પણ રાખવામાં આવ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના ઈડરના આરસોડીયા વિસ્તારમાં દારુના અડ્ડાઓ પર મહિલાઓ ત્રાટકી હતી. દારુના અડ્ડાને કારણે ત્રસ્ત થઈ ગેયલ મહિલાઓએ દારુના અડ્ડાઓ પર પહોંચીને તોડફોડ કરી હતી. દારુના રવાડે ચડેલા પતિ મારઝૂડ કરતા હોવાની મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખુલ્લે આમ વેચાતા દારૂના અડ્ડા પર મહિલાઓ રોષપૂર્વક તોડફોડ કરી હતી.
મણિપુરમાં મે મહિનામાં શરૂ થયેલી જાતિય હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 175 લોકોના મોત થયા છે, જ્યારે 1108 લોકો ઘાયલ થયા છે અને 32 લોકો લાપતા છે. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે આ હિંસામાં કુલ 4,786 ઘરોને આગ લગાડવામાં આવી હતી અને 386 ધાર્મિક સ્થળોને નષ્ટ કરવામાં આવ્યા હતા. પોલીસ મહાનિરીક્ષક (ઓપરેશન્સ) આઈ કે મુઇવાહએ જણાવ્યું હતું કે, “મણિપુર હાલમાં જે પડકારજનક સમયનો સામનો કરી રહ્યું છે તે જોતાં, અમે તમને ખાતરી આપી શકીએ છીએ કે કેન્દ્રીય દળ, પોલીસ અને નાગરિક વહીવટ સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે.” મુઇવાહે ગુરુવારે જણાવ્યું હતું કે ” ગુમ થયેલા કે ચોરાયેલા” હથિયારોમાંથી 1,359 હથિયારો અને 15,050 દારૂગોળો મળી આવ્યો છે.
સુરતમાં જ્વેલર્સને ત્યાં IT વિભાગે પાડેલા દરોડામાં 200 કરોડના વ્યવહાર મળ્યા છે. રોકડમાં ખરીદ-વેચાણના વ્યવહાર મળી આવ્યાં છે. 25 બેંક લોકર અને રૂપિયા 2 કરોડની રોકડ સીઝ કરવામાં આવી છે. સોફ્ટવેરની પેઢી ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કરચોરીનો આંકડો 500 કરોડને વટાવી શકે છે તેવુ આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. દરોડા દરમિયાન લાખોની કિંમતના મોબાઇલ ફોન તોડવાનો અને ટોયલેટમાં નાખવાનો પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું છે. 35 ઠેકાણાં પર આઇટીની ટીમ એક્સપર્ટને સાથે રાખીને તપાસ કરી હતી. લાખો રૂપિયાના નેકલેસ પણ રોકડમાં વેચ્યા હતા જે હિસાબી ચોપડે દર્શાવ્યા નહોતા. તપાસમાં આઇટીએ 25થી વધુ મોબાઇલ કબજામાં લીધા છે.
દરોડા દરમિયાન લાખો રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનમાંથી અનેક ડેટા ડિલિટ કરી દેવાયા હતા. તપાસ શરૂ થતાં જ મોબાઇલ ફેંકવાનો પણ પ્રયાસ થયો હતો. આઇટીની એકસપર્ટ ટીમે મોબાઈલ ફોનમાંથી ડિલિટ થયેલા ડેટા પણ ફરી રિકવર કરી લીધા છે. મોટાભાગના રોકડના સોદા મોબાઇલ પર જ કરાતા હતા અને સોનાની કરોડોની ખરીદીના પણ વ્યવહાર મોબાઇલમાં જ હતા.
રાજસ્થાનના સિરોહીમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બીજેપીની પરિવર્તન સંકલ્પ યાત્રા દરમિયાન સિરોહીમાં આપેલા ભાષણમાં તેમણે કહ્યું હતું કે સિરોહીમાં રામ નવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો અને બહુમતી સમુદાયના લોકોને માર મારવામાં આવ્યો હતો. ગજેન્દ્ર સિંહ શેખાવતના આ નિવેદનને લઈને રાજસ્થાનના સિરોહીમાં કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદીએ કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ ખોટું ભાષણ આપવા અને સિરોહી શહેરનું વાતાવરણ બગાડવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે.
હરિયાણાના નૂહમાં થયેલી હિંસામાં પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય મમન ખાનની ધરપકડ કરી છે. પોલીસની પકડથી દૂર રહેવા માટે મમન ખાને હાઈકોર્ટમાં જઈને રાહત મેળવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ કોઈ રાહત ના મળતા ગુરુવારે મોડી રાત્રે પોલીસે મમન ખાનની ધરપકડ કરી હતી. અગાઉ ધારાસભ્યને બે વખત નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમણે પોલીસ સ્ટેશને હાજર થઈને પૂછપરછ માટે આવ્યા નહોતા. મામન પર નૂહ હિંસા ભડકાવવાનો પણ આરોપ છે, ભાજપે શરૂઆતથી જ તેને આ સમગ્ર ઘટનાનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો છે.
Published On - 6:53 am, Fri, 15 September 23