
આજે 01 સપ્ટેમ્બરના સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે, દુબઈથી દાણચોરી દ્વારા લવાયેલ સિગારેટની સ્ટીક પકડી પાડી છે. શારજાહથી લવાયેલ 29,600 સિગારેટ સ્ટીક પકડી પાડી છે. સિગારેટ સ્ટીકની કિંમત આશરે 3 લાખની અંદાજવાાં આવી છે. કસ્ટમ વિભાગે 29,600 સિગરેટ જપ્ત કરી છે. એક્સ રે સ્કેનિંગમાં ધ્યાને આવતા પેસેન્જરની તપાસ કરાઇ હતી. ૩ લાખની સિગરેટ લાવનારા યુપીના શામલીના વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી અઢી કરોડના સોનાની દાણચોરી ઝડપાઈ છે. 2 મહિલા અને એક પુરુષની ધરકપકડ કરવામાં આવી છે. દુબાઈથી આવેલા પેસેન્જરે પોતાની બેગના મોજામાં સંતાડ્યું હતું સોનું. આરોપીઓ સામે કસ્ટમ વિભાગે કરી કાર્યવાહી
વડોદરા શહેરમાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના ગુનામાં ઝડપાયેલ મહિલા સહિતના ગુનેગારોના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યાં છે. શ્રીજી ની પ્રતિમા પર ઈંડા ફેંકવાના ગુનામાં અજમેરથી પકડાયેલા ત્રણ આરોપી ઉપરાંત મહિલા ગુનેગારને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે સાત દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બન્ને પક્ષકારોની રજૂઆત સાંભળ્યા બાદ, તમામ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દુધધારા ડેરીના અરૂણસિંહ રણાની પેનલના ઉમેદવાર અને ભાજપનો મેન્ડેટ મેળવનાર પ્રકાશ દેસાઈ સામે નારાજગી વ્યક્ત કરી છે. આ અંગે સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને સંબોધીને પત્ર લખ્યો છે. પત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, એક જ પરિવારના બે લોકોને હોદ્દા ના આપવાની પાર્ટીની ગાઈડલાઇનનું પાલન કરવું જોઈએ, પણ પ્રકાશ દેસાઈ માટે આ ગાઈડલાઈનનું પાલન થયું નથી.
સહકારી ક્ષેત્રમાં પ્રકાશ દેસાઈ અને ધારાસભ્ય રિતેશ વસાવા સામે નારાજગી વ્યક્ત કરાઈ છે. દુધધારા ડેરીમાં મેન્ડેટમાં પશુપાલકોને સ્થાન આપવું જોઈએ પણ પ્રકાશ દેસાઈએ કાવાદાવા કરી ઉમેદવારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પાર્ટીના એક જ પરિવારના બે લોકોને હોદ્દા ના આપવાની ભાજપની ગાઈડલાઇન છે. પરંતુ આ ગાઈડલાઈનનું પણ પાલન પ્રકાશ દેસાઈ માટે થયું નથી. પ્રકાશ દેસાઈનો પુત્ર ઝઘડિયા એપીએમસી વાઇસ ચેરમેન છે, જયારે પ્રકાશ દેસાઈ ડેરીમાં મેન્ડેટ લાવી ડિરેક્ટર બની જશે. પ્રકાશ દેસાઈ અને તેનો પુત્ર ભાજપને સંપૂર્ણ વરેલા ન હોવાનો પણ મનસુખ વસાવાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
સુરત રેલવે એસ ઓ જી પોલીસે પૂરી- અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 36 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. 3,65,000 ની કિંમતના ગાંજા સાથે એક આરોપીને પણ ઝડપી પડાયો છે. રેલવે એસઓજી પોલીસ ટ્રેનમાં તપાસ કરતી હતી તે દરમિયાન આરોપી પ્રતાપચન્દ્ર ગોડાની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. પોલીસે તેની તલાસી લેતા 36.525 kg ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. હાલ આ ગાંજો કોને આપવા માટે લાવ્યો હતો અને ક્યાંથી લાવ્યો હતો તે અંગેની પૂછપરછ હાથ ધરી છે. રેલવે એસ ઓ જી પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ 3,70,750 નો મુદ્દા માલ કબજે કર્યો છે.
માજી ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની શિયાલી મર્ડર કેસમાં સંડોવણી બહાર આવી છે. ગત 13 ઓગષ્ટે ઝઘડિયાના શિયાલીમાં સરપંચના પતિને ટ્રકના પૈડાં નીચે કચડીને મામલો અકસ્માતમાં ખપાવી દેવાયો હતો. પોલીસે તપાસમાં આ ઘટના અકસ્માત નહીં પણ હત્યા હોવાનું શોધી કાઢ્યું હતું. 3 આરોપીઓની ધરપકડ બાદ અકસ્માત સર્જનાર ટ્રક છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની હોવાનું સામે આવ્યું હતું. RTI દ્વારા માંગવામાં આવેલી માહિતીઓ મુશ્કેલી સર્જે તેમ હોવાથી અરજદારની હત્યાનું કાવતરું રચાયું હતું. ધરપકડથી બચવા દિલીપ વસાવાએ આગોતરા જમીન અરજી કરી હતી. મુખ્ય સરકારી વકીલ પી બી પંડ્યાએ સરકાર તરફે આગોતરા જમીન ના આપવા કોર્ટમાં દલીલો કરી હતી. જે માન્ય રાખી કોર્ટે દિલીપ વસાવાની આગોતરા જમીન અરજી મંજૂર કરી નથી.
સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે આગામી 7 સપ્ટેમ્બરના રોજ કિશાન મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. આ કિશાન મહાપંચાયતને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ગામે ગામ ઢોલ પીટવામાં આવી રહ્યો છે. ચાલો ચોટીલા, ચાલો ચોટીલાના નાદ સાથે ખેડૂતોની તાકાત બતાવવા માટે ગામડાઓમાં ઉત્સાહ વધારવા ઢોલ વગાડીને ચોટીલા ખેડુત સંમેલનમાં પહોચવા આહવાન કરવામાં આવી રહ્યું છે.
ખોખરાની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલ દ્વારા શરત ભંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ ડોક્યુમેટ આપીને AMC ને ગુમરાહ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. ભાડાપટ્ટામાં બાંધકામ કર્યા પહેલા AMCની મંજૂરી લેવા જણાવવામાં આવ્યું હતું જે શરતનો ભંગ કરાયો છે. AMCની બાંધકામની પરવાનગી વગર જ બાંધકામ કરાયું હતું. ગેરકાયદેસર બાંધકામ કર્યા બાદ સેવન્થ ડે સ્કૂલ દ્વારા ઈમ્પેક્ટમાં મંજૂરી માંગવામાં આવી હતી. NA કરાવવાની જવાબદારી school ની હતી, જેની કોઈ વિગત AMC પાસે પણ નથી. AMC દ્વારા 99 વર્ષ માટે સેવન્થ ડે સ્કૂલને પ્રતિ ચોરસ મીટર 1 રૂપિયા ના ભાવથી જમીન ભાડાપટ્ટે આપવામાં આવી હતી. ટ્રસ્ટના ડોક્યુમેન્ટ પણ પૂરતા ના હોવાનું જોવા મળ્યું છે.આ સમગ્ર મામલે AMC ના અધિકારીઓ ને તપાસ કરવા આદેશ અપાયા છે. સેવન્થ ડે સ્કૂલ પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ અને ખુલાસો માંગવામાં આવશે.
જન્મ મરણ નોંધણી હવે ભારત સરકારના CRS પોર્ટલ પર થશે. આજથી AMC પણ જન્મ મરણ નોંધણીની કામગીરી CRS પોર્ટલ પર કરશે. 1/9/ 2025 થી હવે જન્મ મરણની નોંધણી પ્રક્રિયા ભારત સરકારના CRS પોર્ટલ પર કરવામાં આવશે. વર્ષ 2019 અને તે પહેલા ના નોંધાયેલા જન્મ મરણ પ્રમાણપત્ર સુધારાની કામગીરી ઇ ઓળખ પોર્ટલ પર જ રાબેતા મુજબ થશે. 24 થી વધુ રાજ્યોમાં આ પોર્ટલ પર થઈ રહી છે કામગીરી. જન્મ મરણની નોંધણીની પ્રક્રિયા આ પોર્ટલ પર સરળ થશે. ઓફિસના થતા ધક્કાથી નાગરિકોને રાહત મળશે તેમ માનવામાં આવી રહ્યું છે. 2020 થી 2025 ના ડેટા ભારત સરકાર ના CRS પોર્ટલ પર માઇગ્રેટ કરવામાં આવી રહ્યા છે.
ભાદરવી પૂનમના મહામેળાને લઈને એસ.ટી.નિગમ દ્વારા અંબાજી ખાતે વિશેષ સુવિધા કરી છે. 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન દર્શનાર્થીઓ માટે 5500 એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું છે. યાત્રાળુઓને પોતાના વતનમાં આવવા-જવા માટે નિગમ દ્વારા સસ્તી, સલામત પરિવહન સેવા ઉપલબ્ધ કરાવાશે. ગત વર્ષે એસ.ટી નિગમ દ્વારા 5100 બસો એક્સ્ટ્રા સંચાલિત કરવામાં આવી હતી. ગત વર્ષે 10.92 લાખ દર્શનાર્થીઓએ એસટી બસ સેવાનો લાભ લીધો હતો. દરેક વાહનોનો 24*7 GPS થકી નિગમ દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે.
વિધાનસભાના ચોમાસુ સત્રમાંથી મંત્રી બચુ ખાબડ દૂર રહી શકે છે. મંત્રી બચુ ખાબડના મંત્રાલયના જવાબો કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ આપશે. બચુ ખાબડના પંચાયત વિભાગના પ્રશ્નોના જવાબો રાઘવજી પટેલ આપશે. મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી બાદ મંત્રી બચુ ખાબડને સરકારી કામકાજથી દૂર રખાઈ રહ્યા છે. મંત્રાલય અને કેબિનેટ બેઠકમાં સતત ગેરહાજરી વચ્ચે વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ મંત્રીને દૂર રખાશે.
અરવલ્લી જિલ્લા સેવા સદન અને પોલીસ અધિક્ષક કચેરી સામેના તત્વ આર્કેટમાં બબાલ થઈ છે. મહેસાણા જિલ્લાના યુવક અને યુવતીના પ્રેમ પ્રકરણમાં યુવકને માર માર્યો હતો. લગ્ન નોંધણી કરાવવા માટે પહોંચેલ યુવકને યુવતીના પરિવારજનોએ માર માર્યો હતો. યુવતીના પરિવારજનો પ્રેમલગ્ન કરવા જઈ રહેલ યુવતીને કારમાં ઉઠાવી લઈ ગયા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જાહેરમાં મારામારી અને યુવતીને બળજબરીથી લઈ જવાની ઘટનાને લઈ ટોળા ઉમટ્યા હતા.
ઉત્તરાખંડમાં સતત વરસાદને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે ચાર ધામ અને હેમકુંડ સાહિબ યાત્રા આગામી 5 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે. ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને કાટમાળ રસ્તાઓ પર અવરોધ ઉભો કરી રહ્યા છે. જેને સરકાર પ્રાથમિકતાના ધોરણે ખોલી રહી છે. તેમણે કહ્યું કે યાત્રાળુઓની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ચાર ધામ અને હેમકુંડ સાહિબ યાત્રા 5 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેકવાની ઘટનામાં વધુ એક ગુનેગાર સીદીકા સિંધીની ધરપકડ કરવામાં આવી છે. શહેર પોલીસે મુખ્ય આરોપી જુનેદની માતા સીદીકા સિંધીની ધરપકડ કરી છે. જુનેદ અને તેની માતા સીદીકાએ સાથે મળીને શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેકવા માટે કાવતરું રચ્યુ હતુ. હજુ પણ પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.
પાટણના રાધનપુર તાલુકાના જેઠાસર ગામે એક જ પરિવારના બે જૂથો વચ્ચે જૂની અદાવતના કારણે અથડામણ થઈ. બંને જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટનાને લઈ પાંચ મહિલાઓ સહિત કુલ નવ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે નવસારી, વલસાડમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. જ્યમાં 4 સપ્ટેમ્બરથી ફરી વરસાદનું જોર વધશે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્યથી વધુ વરસાદનું અનુમાન છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફની શક્યતા છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની પણ સંભાવના છે. દક્ષિણના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.
અમદાવાદ: ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ છે. ગોમતીપુરના બુટલેગર અખ્તર અલી સૈયદનું કારસ્તાન પકડાઇ ગયુ છે. ૉફતેવાડીમાં મકાન ભાડે રાખી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતો હતો. મકાનમાં વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઉભી કરી. ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી કાચની બોટલમાં પેકિંગ કરતો હતો. વિદેશી દારૂ બનાવતી ચીજ વસ્તુઓ જપ્ત કરાઈ. પોલીસ દ્વારા વોન્ટેડ બુટલેગરની શોધખોળ હાથ ધરી.
નર્મદાઃ રાજપીપળામાં ગણેશ વિસર્જન વખતે યુવક તણાયો. ગણેશ વિસર્જન વખતે કરજણ નદીમાં યુવક તણાયો. અચાનક પાણીનો પ્રવાહ વધતા દુર્ઘટના ઘટી. SDRF ની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી છે.
જામનગરના નાઘેડીમાં આવેલા કબીરલહેર તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. મૃતકોમાં બે બાળક અને તેમના પિતા સમાવિષ્ટ છે. ત્રણેયના મૃતદેહને બહાર કઢાઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ પરિવાર જામનગર શહેરના રામેશ્વર વિસ્તારની જલારામ પાર્ક સોસાયટીમાં રહેતો હતો. દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે અને પરિવારજનોમાં ભારે માતમ છવાઈ ગયો છે.
રાજકોટના કનૈયા ચોક વિસ્તારમાં અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી પાંચ શખ્સોએ એક યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે સગીર સહિત ત્રણ આરોપીઓને ધરપકડમાં લીધા છે.
રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડ્યું છે. છેલ્લા 24 કલાકમાં 140 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. સૌથી વધુ મહીસાગરના કડાણામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો. દાહોદના સિંઘવડમાં 2.91 ઈંચ તો પંચમહાલના મોરવાહડફમાં 2.56 ઈંચ વરસાદ વરસ્યો છે. 20 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
આઇએમડીએ મંગળવાર સુધી હિમાચલ પ્રદેશના ચારથી છ જિલ્લાઓમાં ખૂબ જ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને ભૂસ્ખલન, અચાનક પૂરની ચેતવણી પણ આપી છે.
આજે 12.47 IST વાગ્યે અફઘાનિસ્તાનમાં 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો: રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર
An earthquake of magnitude 6.3 occurred in Afghanistan at 12.47 IST today: National Centre for Seismology pic.twitter.com/H8qfXeib7J
— ANI (@ANI) August 31, 2025
Published On - 7:38 am, Mon, 1 September 25