
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલ આઠ મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ કેટલાક વાયદાઓ આપ્યા છે. ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. તો સાથે જ આ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. ખેડૂતોનું દેવું માફ, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 300 યુનિટ વીજળી ફ્રી,જૂની પેંશન યોજના, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદી સહિતના તમામ વાયદાઓને તેમાં આવરી લેવામાં આવ્યા છે.
કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં મોંઘવારી, રોજગાર, શિક્ષા, આરોગ્ય, ખેડૂત, કૃષિ, જમીનનો કાયદો, સરકારી-અર્ધ સરકારી કર્મચારીઓ સહિતના તમામ મુદ્દાઓને આવરી લીધા છે.
ગુજરાત ચૂંટણીને લઈને કોંગ્રેસે ગઈકાલે તેમની ત્રીજી યાદી પણ જાહેર કરી હતી. આ સાથે કોંગ્રેસ અત્યાર સુધીમાં 95 ઉમેદવારોના નામ જાહેર કરી ચુકી છે. ત્રીજી યાદીમાં સાત ઉમેદવારો જાહેર કર્યા છે, તેમાં ઈન્દ્રનિલ રાજ્યગુરુને રાજકોટ પૂર્વથી ટિકિટ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ આમ આદમી પાર્ટી છોડી ફરી કોંગ્રેસમાં આવનાર ઈન્દ્રનિલ રાજ્યગુરુ પહેલા કોંગ્રેસમાં હતા અને ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી જ લડ્યા હતા. આમ આદમી પાર્ટીમાંથી તેમને સીએમને ચહેરો જાહેર ન કરાતા તેમની નારાજગી સામે આવી હતી અને તેઓ આપ છોડી ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી.
Published On - 11:53 am, Sat, 12 November 22