ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈ, નાણાકીય વર્ષ 2022-2023નું 560કરોડની પુરાંતવાળુ અંદાજપત્ર રજૂ કર્યુ છે. ગુજરાતમાં 12000 સુધીનો પગાર મેળવનારાઓને વ્યવસાયવેરામાથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જેના પગલે, ગુજરાત સરકારને વર્ષે 108 કરોડની આવક ઓછી થવાનો અંદાજ છે. ગયા વર્ષ 2021-2022ની સરખામણીએ આગામી વર્ષના બજેટમાં નાણાકીય ફાળવણી વધુ કરાયો છે. 2022ના વર્ષમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે ગુજરાત સરકાર, તેની વિવિધ કલ્યાણકારી અને પ્રજાલક્ષી યોજનાઓનો વ્યાપ વધારવાની સાથે, નાણાકીય ફાળવણી પણ વધારવામાં આવી છે. ગુજરાતની વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ બજેટ છે. નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ તેમની કારકિર્દીનું પ્રથમ બજેટ, ગુજરાત વિધાનસભા ગૃહ સમક્ષ રજૂ કર્યુ છે. જેમાં નાણાકીય વર્ષના અંતે રૂપિયા 560.09 કરોડની પુરાંત રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.
ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ, નાણાકીય વર્ષ 2022-2023નુ અંદાજપત્ર રજુ કરતા અનેક વિભાગોમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. આ યોજના, જાહેરાત અને જોગવાઈ પર કરીએ એક નજર.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ રચાશે.
નવજાત બાળકો, માતાને ઘરે પહોચાડવા નવા 90 ખિલખિલાટ વાહન ખરીદાશે.
60થી80 વર્ષના નિરાધાર વૃદ્ધોને 750ને બદલે 1000નુ માસિક પેન્શન અપાશે.
80 વર્ષથી ઉપરના લાભાર્થીને 1250નુ પેન્શન અપાશે.
રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન, સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શન યોજનાના લાભાર્થીને મહિને 1000નું પેન્શન અપાશે.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુ. જાતિ, વિકસતી જાતિ, લઘુમતિ અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ગણેવશ માટે રૂ. 600ને બદલે રૂ.900 આપવામાં આવશે.
ડો. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ હવે 1 લાખને બદલે 2.5 લાખ સહાય અપાશે.
સામાજીક ભાગીદારીથી 25 બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળા શરુ કરાશે.
આદિજાતિ ક્ષેત્રમાં નવી 8 MSME જીઆઈડીસી એસ્ટેટ રચવામાં આવશે.
ગ્રામ પંચાયતોના વિકાસ માટે મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના શરૂ કરાશે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2024 સુધી લંબાવાઈ
ઉર્જા ક્ષેત્રે નગરપાલિકાઓને આત્મનિર્ભર બનાવવા માટે કેપ્ટીવ સોલાર, વીન્ડ એનર્જી પાર્ક સ્થાપવામાં આવશે.
સુરતના તાપી નદીકાંઠાનો વિશ્વ બેંકની મદદથી વિકાસ કરાશે.
ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય આર્બીટ્રેશન સેન્ટરની સ્થાપના કરાશે.
ડ્રોન સ્કીલ ઈન્સ્ટીટ્યૂટની સ્થાપના કરવામાં આવશે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રૂ. 10ને બદલે રૂ.5માં ભોજન અપાશે. આ યોજના તમામે તમામ જિલ્લામાં લાગુ કરાશે.
આદીજાતિ વિસ્તારમાં ગામથી શાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પાકા રસ્તા બનાવાશે.
સાપુતારાથી શબરીધામ, ઝરવાણી ધોધ થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના 218 કી.મી.ના રોડને 10 મીટર પહોળો કરાશે.
ભરૂચ બાયપાસ પર શ્રવણ ચોકડી ખાતે 2 કિલોમીટરનો છ માર્ગીય એલીવેટેડ કોરીડોર બનાવાશે.
વાહન વ્યવહાર નિગમ દ્વારા 50 ઈલેટ્રીક બસ ઉપરાંત BS-6 ધોરણની કુલ 1200 બસ ખરીદાશે.
સુરત અને વડોદરા આરટીઓમાં વધારાનો ટેસ્ટ ટ્રેક બનાવાશે.
સુરત-ગીફ્ટ સિટીમાં નવા પોલીસ સ્ટેશન બનાવાશે.
કચ્છના ધોરડો, હાજીપીર, ગાગોદરા આઉટપોસ્ટને પોલીસ સ્ટેશનમાં ફેરવાશે.
વલસાડ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, મોરબી, મહીસાગર, અરવલ્લી, સુરત અને નવસારી જિલ્લામાં જિલ્લાકક્ષાના સ્પોર્ટસ સંકુલ બનાવાશે.
અમરેલી, વલસાડ અને સુરતમા માહિતી વિભાગની કચેરી બનાવાશે.
ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા 20 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
વ્યારા ખાતે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક સાથે ફુટબોલ ગ્રાઉન્ડ બનાવાશે.
સુરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતો માટે સેન્ટર ફોર એક્સેલન્સ બનાવાશે.
બોટાદ, જામખંભાળિયા, વેરાવળમાં નવી મેડીકલ કોલેજ શરૂ કરાશે.
સુરેન્દ્રનગર ખાતે આર્યુવેદ કોલેજ શરૂ કરાશે.
સુરતમાં ખોરાક અને ઔષધ નિયમનતંત્ર હેઠળ ટેસ્ટીગ લેબોરેટરી સ્થાપવામાં આવશે.
માછીમારોને અપાતા દરેકસ્તરના ડિઝલમાં 2 હજાર લીટરનો વધારો કરાશે
ગુજરાત સરકારે રુપિયા 12 હજાર સુધીનો પગાર મેળવનારા પગારદારોને રાહત આપવાની જાહેરાત કરી છે. વર્ષ 2022-2023ના અંદાજપત્ર રજૂ કરતા, નાણાં પ્રધાને કહ્યુ કે રાજ્યમાં 6000થી 8999 સુધીનો પગાર મેળવનાર પાસેથી 80 અને 9000 થી 11,999 સુધીનો પગાર મેળવનાર પગારદાર પાસેથી પ્રતિમહિને રૂપિયા 150 વ્યવસાય વેરો વસુલવામાં આવતો હતો. આગામી નાણાકીય વર્ષ 2022-2023થી રૂપિયા 12000 સુધીનો પગાર મેળવનારા પગારદારોને વ્યવસાય વેરામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
નાણાં પ્રધાન કનુ દેસાઈએ, વર્ષ 2022-23ના અંદાજપત્રમાં 560.09 કરોડની પુરાંત રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હયાત વેરામા કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. 12 હજારના માસિક પગારમા વ્યવસાયીક વેરા પર મુક્તિ આપવાની પણ જાહેરાત નાણા પ્રધાને કરી છે. સરકારની આવકમા 108 કરોડનો ઘટાડો થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે કુલ 517 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
નાગરિકોની સુરક્ષા, ભયમુકત વાતાવરણનું સર્જન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી એ રાજ્ય સરકારની ફરજ છે. આ માટે રાજ્યની પોલીસને અત્યાધુનિક શસ્ત્ર સરંજામ અને સાધન સામગ્રીથી સુસજ્જ કરવામાં આવેલ છે. ક્રાઇમ ઇન્વેસ્ટીગેશનમાં વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા એફ.એસ.એલ.ને નવા શિખર ઉપર પહોંચાડેલ છે. રાજ્ય પોલીસતંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા માટે છેલ્લા પાંચ વર્ષમાં જુદા જુદા સંવર્ગોમાં અંદાજે 29 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિવિધ સંવર્ગની અંદાજે 12 હજાર જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા પ્રગતિમાં છે.
Gujarat State Budget 2022 Live Updates : સામાજિક અને આર્થિક વિકાસ માટે વીજળી એક પાયાની આવશ્યકતા છે. દેશની સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 1181 યુનિટ સામે ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ 2143 યુનિટ છે, જે ગુજરાતના વિકાસને પ્રતિબિંબિત કરે છે. રાજ્યમાં અંદાજે 19 લાખ ઘરોને પાઇપ દ્વારા કુદરતી ગેસનું જોડાણ આપવામાં આવેલ છે, જે ટકાવારીની દૃષ્ટિએ દેશમાં સૌથી વધારે છે. આ સાથે પાંચ હજાર જેટલા ઔદ્યોગિક એકમો અને આશરે 14 હજાર વ્યાપારી એકમોને કુદરતી ગેસના જોડાણ આપવામાં આવેલ છે. કુદરતી ગેસના આયાત, સ્ટોરેજ, વિતરણ તેમજ વપરાશના ક્ષેત્રે રાજ્ય દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
Gujarat State Budget 2022 Live Updates : દક્ષિણ ગુજરાતમાં પાર, નાર, તાન, અંબિકા, દમણગંગા વગેરે નદીઓ ઉપર મોટા ચેકડેમો/બેરેજો વિયર રૂ. ૫૦૦ કરોડના ખર્ચે આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે રૂ.94કરોડની જોગવાઈ કરાઈ છે. હાથ ધરાયેલ ઉદવહન સિંચાઈ યોજનાઓ સોનગઢ-ઉચ્છલ-નિજર, કાકરાપાર ગોરધા-વડ, કરજણ જળાશય આધારિત પાઈપલાઈનો પૂર્ણ કરી સિંચાઈ વિતરણ વ્યવસ્થા માટે રૂ. ૧૯૫ કરોડની જોગવાઈ કરાઈ છે.
પંચમહાલ જિલ્લામાં પાનમ ઉચ્ચ સ્તરીય કેનાલ/જળાશય આધારિત સિંચાઈ સુવિધા આપવા માટે રૂ. 452 કરોડની કામગીરી માટે રૂ. 160 કરોડની જોગવાઈ કરાઈ છે. આદિવાસી વિસ્તારમાં સિંચાઈની સુવિધા વધારવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
સુરત જિલ્લાના ઉમરાપાડા તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુલ 73 ગામોમાં સિંચાઇ સુવિધાનો લાભ આપવા માટે પ્રગતિ હેઠળની રૂ. 711 કરોડની તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે જોગવાઇ રૂ. 161 કરોડની જોગવાઈ કરાઈ છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સિંચાઈ સુવિધા અને રીચાર્જીંગ માટે રૂ. 308 કરોડની જ્યારે પોઈચા વિયરની કામગીરી માટે રૂ. 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કડાણા નહેર આધારિત પાઇપલાઇન દ્વારા કડાણા, સંતરામપુર અને લુણાવાડા તાલુકાનાં વિવિધ તળાવો ભરવાની યોજનાના કામો માટે રૂ. 10 કરોડની જોગવાઇ કરાઈ છે.
Gujarat State Budget 2022 Live Updates : અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના સાણંદ,બાવળા અને વિરમગામ તાલુકાના સિંચાઈ સુવિધાથી વંચિત રહેલ ગામોને સિંચાઈનો લાભ આપવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ કરાઈ છે. ખોરસમ – માતપુર – ડીંડરોલ પાઈપલાઈનને લંબાવી મુકતેશ્વર જળાશયમાં નર્મદાના પૂરના વધારાના પાણી પહોંચાડવાની કામગીરી માટે રૂ. 19 કરોડની જોગવાઈ કરાઈ છે.
Gujarat State Budget 2022 Live Updates : કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, મહુધા, ગળતેશ્વર, બાલાસિનોર, લુણાવાડા, બાયડ વગેરે તાલુકાઓમાં આગામી પાંચ વર્ષમાં રૂ.200 કરોડની કિંમતની રીચાર્જવેલ, પાણીના સ્ત્રોતો સાથે નેટવર્કીંગ, તળાવોની કેપેસીટી વધારવી વગેરે કામગીરીઓ તબક્કાવાર કરવાનું આયોજન છે. આ માટે રૂ. 14 કરોડની જોગવાઈ કરાઈ છે.
સાબરમતી નદી પર રૂ. 200 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ હીરપુરા અને વલાસણા બેરેજ માટે જોગવાઇ રૂ. 35 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ અને યાત્રાધામ તરીકે વિકસાવવા રૂ. 200 કરોડના આયોજન હેઠળ બેરેજ બનાવવા માટે રૂ. 30 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઇ સુવિધાઓના આયોજન માટે રૂ. ૪૩૬૯ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવેલ છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના ૬ તાલુકાના અંદાજે ૧ લાખ ૧૪ હજાર હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ યોજના માટે જોગવાઈ રૂ. ૨૭૨ કરોડ. કચ્છમાં આગામી પાંચ વર્ષમાં રૂ. ૩૫૦ કરોડના ખર્ચે મોટા ચેકડેમો અને પાણી સંગ્રહ માટેના હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે જોગવાઈ રૂ. ૬૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
સહકાર વિભાગની અનેક યોજનામાં કરોડો રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સહકારી ખાંડ મીલોને પુન: કાર્યાન્વિત કરાશે. તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં હમાલોને માલસામાનની હેરફેર માટે ટ્રોલી ઉપલબ્ધ કરાવાશે.
ખેડૂતોને ખરીફ, રવી તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ રાહતની યોજના માટે જોગવાઇ રૂ. ૧૨૫૦ કરોડ.
કૃષિ બજાર વ્યવસ્થાના સંચાલન તેમજ સુદૃઢીકરણ માટે જોગવાઇ રૂ. ૫૦ કરોડ.
સહકારી ખાંડ મીલોને પુન: કાર્યાન્વિત કરવા લોન પેટે રૂ. ૧૦ કરોડ.
ખાંડ સહકારી મંડળીઓને ટૂંકા તેમજ લાંબા ગાળાની વ્યાજ રાહત માટે જોગવાઇ રૂ.૧૩ કરોડ.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં હમાલોને માલસામાનની હેરફેર માટે ટ્રોલી ઉપલબ્ધ કરાવવા માટે જોગવાઇ રૂ. ર કરોડ.
મત્સ્યોદ્યોગ વિભાગની વર્તમાન વિવિધ યોજનાઓ માટે ગુજરાત સરકારે નાણાંકીય વર્ષ 2022-2023 માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે.
પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવાનું નાણાં પ્રધાને બજેટ રજૂ કરતા જણાવ્યુ હતું
અમદાવાદ-બગોદરા-રાજકોટ સુધીના 201 કિલોમીટરના 6 માર્ગીય હાઇવે માટે 3350 કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું નાણાં પ્રધાને કહ્યુ હતું. જ્યારે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 1750 કિલોમીટર અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 4500 કિલોમીટર ગ્રામ્ય રસ્તાઓ અને 200 જેટલા પુલો માટે 2208 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વિશ્વબેન્કની સહાયથી હાથ ધરાયેલ મહેસાણા-પાલનપુર રાજ્ય ધોરીમાર્ગ ઉપર ફલાયઓવર સહિત 6 માર્ગીયકરણ માટે 570 કરોડ ફાળવ્યા છે. સરખેજ-ગાંધીનગર હાઇવેને 913 કરોડના ખર્ચે 6 માર્ગીય કરવાની કામગીરી પૂર્ણતાના આરે હોવાનું કનુ દેસાઈ કહ્યુ હતું.
ગુજરાતના મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તારો, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા 830 કિલોમીટરના 49 રસ્તાઓના અનુભાગોને ફોર લેન બનાવવાની 2801 કરોડની કામગીરી હાથ ધરાશે.
નાણાં પ્રધાન કનુ દેસાઈએ અંદાજપત્રમાં જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના કરાશે. સરકારની મહત્વની જાહેરાત અંગે તેમણે કહ્યુ કે, રાજ્યમાં પ્રથમ મેડિકલ યુનિવર્સિટી બનશે.
પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે. આ બોર્ડ ખેડૂતોને આ અભિયાન સાથે જોડી કૃષિ ઉત્પાદન વધારવા માટે કાર્ય કરશે તે માટે જોગવાઇ રૂ. ૧૦૦ કરોડ, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા જોગવાઇ રૂ. ૧૦૦ કરોડ.
અમદાવાદ, જામનગર અને ખેડા જિલ્લામાં બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઊભા કરવામાં આવશે. બાગાયત ખાતાની યોજનાઓ માટે જોગવાઇ રૂ. ૩૬૯ કરોડની ફાળવણી કરવામાં આવી છે. કમલમ્ (ડ્રેગન ફુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે જોગવાઇ રૂ. ૧૦ કરોડ કરાઈ છે. મઘ ક્રાંતિને વેગ આપવા રાજ્યના ૧૦ હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા માટેની જોગવાઈ રૂ. ૧૦ કરોડ કરવામાં આવી છે.
ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા રૂ. ૮ હજાર ૩૦૦ કરોડ જેવી માતબર રકમની સબસીડી આપવામાં આવે છે. વીજ જોડાણ માટે હાલમાં પડતર બધી અરજીઓનો આઝાદીના અમૃત મહોત્સવ પર્વ પહેલા નિકાલ કરી ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવશે.
પાણી પુરવઠા પ્રભાગ માટે 5451 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું નાણાં પ્રધાને કહ્યુ હતું. તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 12, 240 કરોડની જોગવાઈ કરાઈ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 4976 કરોડની જોગવાઈ કરાઈ છે. અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 1526 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 34, 884 કરોડની જોગવાઈ. કરાઈ છે. મિશન સ્ફુલ્સ ઓફ ઍક્સેલેન્સ યોજના હેઠળ 1188 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણમાં શિષ્યવૃત્તિ માટે 350 કરોડ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 4782 કરોડની જોગવાઈ કરાઈ છે.
વર્ષ 2021- 22નુ અંદાજપત્ર રજૂ કરતા સમયે, ચોખ્ખી લેવડદેવડના કારણે 587.88 કરોડની પુરાંત રહેવાની ધારણા હતી. પરંતુ વર્ષના અંતે ચોખ્ખી લેવડદેવડના કારણે સુધારેલા અંદાજમાં 6369.75 કરોડની પુરાંત રહેવાની ધારણા છે.
નર્મદા યોજના માટે 6090 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નર્મદા નદી ઉપર 5322 કરોડના ખર્ચે મીઠા પાણીનું સરોવર બનાવવાની મહત્વાકાંક્ષી ભાડભુત બેરેજ યોજનાનું કામ ચાલુ છે, જેને માટે 1240 કરોડની ફાળવણી અંદાજપત્રમાં કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું.
સગર્ભા માતાને બાળકોમાં પોષણ માટે નાણાકીય જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવતા નાણાં પ્રધાને કહ્યુ કે, 4 હજારના ખર્ચે વિના મૂલ્યે 1000 દિવસ સુધી અપાશે પોષણક્ષમ આહાર આપવામાં આવશે.
નાણાં પ્રધાન કનુ દેસાઈએ બજેટમાં જાહેરાત કરી હતી કે, મત્સ્યોદ્યોગ પ્રભાગ માટે 880 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સહકાર વિભાગમાં ખેડૂતોને ખરીફ, રવિ તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ રાહતની યોજના માટે 1250 કરોડની જોગવાઈ કરાઈ છે. જળ સંપત્તિ પ્રભાગ માટે રૂપિયા 5339 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાતના કૃષિ કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે 7737 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પાકકૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓની જોગવાઈ માટે 2310 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે રૂપિયા 369 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે 300 કરોડની જોગવાઈ અંદાજપત્રમાં કરવામાં આવી છે.
બાળકો માટે ખાસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. સ્કુલ્સ ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટ હાથ ધરાશે. વિશ્વ બેંકના સહયોગથી 10000 કરોડના ખર્ચે મોડેલ સ્કુલ ઉભી કરાશે. 70 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે તેમ કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતા આ જાહેરાત કરી હતી.
પશુપાલકો અને માછીમારોને ટૂંકી મુદ્દતનું ધિરાણ રાહત આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ 8થી10 હજાર કરોડનું ધિરાણ રહાત આપવામાં આવશે.
પશુપાલકો માટે મુખ્યમંત્રી પોષણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું નાણાં પ્રધાને જાહેરાત કરી હતી.
ખેડૂતો માટે કરાઈ જાહેરાત. હવેથી ખેડૂતોને ઉનાળુ અને રવિ પાકમાં પણ સહાય આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં ખેડૂતોની આવક વધારવા માટે સરકાર સક્રીય હોવાનું જણાવતા નાણાં પ્રધાને કહ્યુ કે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.
ગુજરાતમાં લોકોની માથાદીઠ આવક 20 વર્ષમાં રૂ. 19823થી વધીને રૂ. 2,14,809 થઈ હોવાનુ નાણાં પ્રધાને, અંદાજપત્રની રજૂઆત કરતા જણાવ્યુ હતું.
કોરોના સામે લોકોને સુરક્ષા પુરી પાડવા માટે ગુજરાતમાં 15 વર્ષથી મોટી ઉમરના લોકોને, કોરોના વિરોધી રસીના 10 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હોવાનું કનુ દેસાઈએ બજેટ રજૂ કરતા જણાવ્યુ હતું.
બજેટ રજુ કરવા માટે નાણાં પ્રધાનની જગ્યા બદલાવામાં આવી છે. નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈને પ્રથમ હરોળમાં મહેસુલ પ્રધાનની બાજુમાં સ્થાન અપાયુ છે. સામાન્ય રીતે નાણાં પ્રધાનની બેઠક પ્રથમ હરોળમાં રહેતી હોય છે.
નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ, ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણાકીય વર્ષ 2022-2023નુ બજેટ રજુ કર્યુ હતુ. ક અને ખ ભાગમાં વહેચાયેલા બજેટના ક ભાગનું વાંચન નાણાં પ્રધાન કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં શરૂ કર્યુ છે.
કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે પ્રશ્નોત્તરી મામલે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. મુન્દ્રા પોર્ટ પર પકડાયેલા ડ્રગ્સ મામલે સરકાર જવાબ કેમ નથી આપ્યા તે મુદ્દે ધારાસભ્યે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષે કહ્યું આ પોઇન્ટ ઓફ ઓર્ડર નથી, બીજી નોટિસ આપશે તો જવાબ મળશે. આમ છતા, વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાં સુત્રોચ્ચાર કર્યો હતો.
પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ કોંગ્રેસ પાસે માફીની માંગણી કરી હતી. “સરકારે હકીકતો છુપાવવાનો કર્યો છે પ્રયાસ” એવા શબ્દો અસંસદીય છે. એટલે પહેલા કોંગ્રેસ માફી માંગે પછી જ આગળની ચર્ચા થઈ શકે તેમ તેમણે કહ્યુ હતું. જો કે અધ્યક્ષે વિપક્ષે ઉઠાવેલા પોઈન્ટ ઓફ ઓર્ડર રદ કર્યો હતો.
વિપક્ષે ડ્રગ્સના મુદ્દે મચાવેલા હોબાળો બાદ, ગૃહની કાર્યવાહી નિયમોનુસાર હાથ ધરી શકાય તેમ ના હોવાથી, અધ્યક્ષે પ્રશ્નોતરી કાળ દરમિયાન વિધાનસભા ગૃહની કાર્યવાહી મુલતવી રાખી હતી.
ડાર્ક વેબ દ્વારા ડ્રગ્સનો વ્યાપાર કરવામાં આવતો હોવાના મુદ્દે ગૃહપ્રધાન વિધાનસભા ગૃહમાં વિગતો જણાવી રહ્યાં હતા, તે સમયે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા.
ડાર્ક વેબ દ્વારા ડ્રગ્સનો વ્યાપાર કરવામાં આવતો હતો, જે ગુજરાત પોલીસે ક્રેક કર્યો હોવાનુ ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંધવીએ જણાવ્યુ હતુ, ડાર્ક વેબથી ડ્રગ્સ ડિલરોના કોન્ટોક્ટ કરવામાં આવતો હતો. ડ્રગ્સનું વેચાણ ક્રિપ્ટો કરન્સીથી કરવામાં આવતુ હતું. ૭૫ ડ્રગ્સ ડીલરોની તપાસમા વિગત બહાર આવી હોવાનુ હર્ષ સંધવીએ જણાવ્યુ હતું.
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના પ્રશ્નમાં ગૃહપ્રધાને જણાવ્યુ હતુ કે, એલઆરડી પેપર લીક કાંડમાં પોલીસે 47 આરોપીઓ સામે ગુના નોંધ્યા છે. એલઆરડી પેપર લીક કાંડમાં પોલીસે 47 આરોપીઓ સામે ગુના નોંધ્યા. પોલીસે 46 આરોપીઓને પકડ્યા જયારે એક આરોપીને પકડવાના બાકી છે. પોલીસ પકડથી દૂર રહેલા એક આરોપીને પકડવા વોરંટ મેળવ્યા છે.
પ્રશ્નોતરી દરમિયાન ગુજરાત સરકારે લેખિતમાં જણાવ્યુ છે કે, છેલ્લા 2 વર્ષમાં ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ખનિજચોરીની કુલ 140 ફરિયાદો મળી છે. ગાંધીનગરમાં 66, માણસામાં 44, દહેગામ 20, કલોલમાં 10 ફરિયાદો મળી છે. સરકારને ખનિજચોરીમાં 53 ફરિયાદ અરજી મળી છે. ફરિયાદ સ્વરૂપે મળેલ અરજીમાં રૂ. 7.10 લાખના દંડની વસુલાતનો હુકમ થયો હતો. મળેલી 77 ફરિયાદોમાં ગેરરીતિ ન હોવાનું સામે આવ્યું છે. 8 અરજીઓ હજુ કાર્યવાહી હેઠળ અને 53 ફરિયાદોમાં 101 આરોપીઓ પાસે 150.57 લાખ વસુલાત કરાઈ છે.
વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરાયા પૂર્વે, નિયમ મુજબ પ્રશ્નોતરીની કામગીરી હાથ ધરાઈ હતી. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના એક પ્રશ્નમાં સરકારે લેખિતમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા 2 વર્ષમાં ACBના છટકામાં 99 પોલીસકર્મી પકડાયા, પણ સજા એકપણને નહી. 99 પોલીસકર્મીઓ પર લાંચ લેવાનો ગુનો દાખલ કરાયો છે. ACBના ગુના સંદર્ભે 12.18 લાખ રૂ. કબજે કર્યા છે. આ ગુનાઓમાં કોઈપણ પોલીસકર્મીને સજા ન થયાનો સરકારનો સ્વીકાર કર્યો છે.
નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ૨૦૨૨-૨૦૨૩નુ અંદાજપત્ર રજૂ કરશે. નાણાં પ્રધાને રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારનો લાલ રંગનુ બોક્સ બજેટ પ્રવચન માટે રાખવામા આવ્યુ છે. આ બોકસ ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વરલી પેઈન્ટીગ અને કચ્છની ભાતીગળ બોર્ડર અંકિત કરાવામાં આવી છે. સાથેસાથે ભારતના રાજચિન્હ અશોક સ્તંભને પણ દર્શાવવામા આવ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે
ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કર્યા પહેલા, પ્રતિભાવ આપતા નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ કહ્યુ કે, આ બજેટમાં આંતરમાળખાકીય સવલતોને વધારનારુ, રોજગારીનું સર્જન કરતુ બજેટ હશે. વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારનુ આ છેલ્લુ બજેટ છે. ભાજપે ક્યારેય પણ ચૂંટણીલક્ષી બજેટ આપ્યુ નથી. લોકોની સુખાકારીને વધારનારુ બજેટ હશે.
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ, ગુજરાત સરકારના વર્ષ 2022-23ના બજેટ અંગે જણાવ્યુ હતુ કે, આ બજેટ પ્રજાલક્ષી હશે. ભાજપ સરકારે પ્રજા ઉપર નવા કોઈ જ કર લાદીને વધારાનું ભારણ નાખ્યુ નથી.
મહારાષ્ટ્ર રાજ્યથી અલગ થયા બાદ, ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ બજેટ 1960ના સપ્ટેમ્બરમાં રજૂ કરાયું હતું. ગુજરાત રાજ્યના સૌ પ્રથમ બજેટનું કદ 114.92 કરોડનું હતુ.
નાણાં પ્રધાન તરીકે, નીતિનભાઈ પટેલે, અત્યાર સુધીમાં કુલ 9 વાર ગુજરાતનું અંદાજપત્ર રજૂ કર્યુ છે.
ગુજરાતમાં નાણાં પ્રધાન તરીકે વજુભાઈ વાળાએ સૌથી વધુવાર અંદાજપત્ર રજૂ કર્યુ છે. વજુભાઈએ, નાણાંપ્રધાન તરીકેની તેમની કારકિર્દીમાં કુલ 18 વાર અંદાજપત્ર રજૂ કર્યુ છે.
Published On - 11:19 am, Thu, 3 March 22