પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજથી દેવી ભાગવત કથાનો પ્રારંભ થયો છે. સોમનાથ મંદિરના સંકીર્તન ભવન ખાતે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, કથાના મુખ્ય યજમાન સૂરતના દાસ ભાઈ ગજેરા, સહિત અન્ય પોથી યજમાનો દ્વારા વિધિવત રીતે દેવી ભાગવત ગ્રંથનું પૂજન કરવામાં આવ્યું હતું.
ઢોલ શરણાઈના સંગીત અને “જય સોમનાથ, હર હર મહાદેવ, માતા પાર્વતી કી જય” ના ઉચ્ચાર સાથે ભવ્ય શોભાયાત્રા મંદિર પરિસરના વાઘેશ્વરી મંદિર સુધી કાઢવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અધિકારીઓ, પૂજારીઓ, સફાઈ કર્મચારીઓ સહિતનો તમામ સ્ટાફ આ પોથીયાત્રામાં જોડાયો હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમયાંતરે ભક્તિ અને જ્ઞાનના બોધ આપતા સંસ્કૃતિ પોષક કાર્યો કરવામાં આવે છે. સોમનાથ તીર્થમાં માતા શક્તિનું સ્થાનક આવેલ છે 51 શક્તિપીઠ પૈકી ચંદ્રભાગા શક્તિપીઠ સોમનાથમાં આવેલ હોવાથી અહીં માતા શક્તિની આરાધનાનું વિશેષ મહાત્મ્ય છે. જેથી 22થી 30 જાન્યુઆરી સુધી શ્રીમદ દેવી ભાગવત કથાનું ભવ્ય આયોજન કરાયું છે.
શ્રીમદ દેવી ભાગવત કથાના પ્રારંભ બાદ વ્યાસાસને બિરાજમાન પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડો. કુણાલ જોશી એ શાસ્ત્ર પરિચય આપતાં વર્ણવ્યું હતું કે ‘દેહો દેવાલયઃ સ્મૃતા’ શિવ શક્તિ આપણા હૃદયમાં બિરાજે છે. શરીર એ શિવાલય છે, દેવરૂપી મંદિર છે. દેહરૂપી મંદિરનું ગર્ભગૃહ એ હૃદય છે. મસ્તક શીખર છે, શિખાએ ધ્વજ છે. પ્રત્યેક આત્મામાં શિવ-શક્તિ સ્વરૂપ બિરાજે છે.
સોમનાથ મંદિરના પરિસરમાં આવેલ વાઘેશ્વરી માતાજીના નિશ્રામાં દેવી ભાગવત કથા સ્વરૂપે મહાદેવજીને માતા શક્તિની કથા સંભળાવવાનો અવસર પ્રાપ્ત થયો એ બદલ કથાકાર ડો.કૃણાલભાઈ જોશીએ સોમનાથ ટ્રસ્ટને અભિવાદન કરતા વાઘેશ્વરી માતાના સ્વરૂપ અને દેવી ભાગવત વિશે પરિચય આપતા કહ્યું હતું કે “પ્રાચીન કથા અનુસાર માતા શક્તિએ કૈલાશ છોડી અને તપશ્ચર્યા હાથ ધરી હતી અને માતા કાલીમાંથી ગૌરી બન્યા હતા અને માતા વાઘ પર સવાર થયા અને વાઘેશ્વરી કહેવાયા હતા.
શક્તિના આ વિશેષ સ્વરૂપનો મહિમા દેવી ભાગવતમાં આવેલો છે. દેવી ભાગવતમાં 12 સ્કંધ આવેલા છે, જેમા 18000 શ્લોકો છે 318 અધ્યાયો છે દેવી ભાગવતની રચના મહર્ષિ વેદ વ્યાસજીએ કરી છે પ્રથમ દેવી ભાગવત કથા પણ વેદ વ્યાસ જીએ જન્મેજય જે પરીક્ષિત રાજાના પુત્ર હતા તેઓને હસ્તિનાપુર ખાતે પરીક્ષિત ના મોક્ષ માટે સંભળાવેલી હતી.”
ત્યારે ઉલ્લેખનીય છે કે આગામી 30મી જાન્યુઆરી સુધી આ દેવી ભાગવત કથા ચાલનાર છે જેનો સોમનાથ તીર્થમાં આવનાર ભાવિકો તેમજ સ્થાનિય ધર્મ અનુરાગી પ્રજા લાભ લઇ શકશે. બપોરે 2:30 વાગ્યેથી 6:30 વાગ્યાના કથા સમયમાં ભકતો જ્ઞાન મેળવી શકશે. સાથેજ દેશ-વિદેશમાં વસતા ભાવિકો આ કથાનો લાભ મેળવી શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ somnath.org તથા યુટ્યુબ ચેનલ Somnath temple official પર કથાનું લાઈવ પ્રસારણ કરવામાં આવે છે જેનો લાભ લેવા ભકતોને અનુરોધ કરવામાં આવે છે
ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી- ગીર સોમનાથ