Gir somnath: ગીર સોમનાથ (Gir Somanath)જિલ્લાના ઉના શહેરના વડીયા વિસ્તારમાં ગીરગઢ઼ડા રોડ પર આવેલા વે બ્રિજ પાસે ખનીજ ચોરી થતી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. આ અહેવાલને પગલે જિલ્લા પોલીસની (Police team) ટીમ તેમજ ASP ઓમપ્રકાશ જાટ તેમની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા અને વડીયા વિસ્તારની સર્વે નં 397વાળી જમીન પર રેડ પાડી હતી. પોલીસે પાડેલા દરોડા દરમિયાન તે સ્થળેથી 2 જેસીબી તેમજ 2 ડમ્પર સહિતનો 55થી 60 લાખનો મુદ્દામાલ ઝડપ્યો હતો. ગેરકાયદે માટીનું ખનન કરવામાં તેમજ ખનીજ ચોરી કરવામાં ખનીજ માફિયાઓ રીઢા બનતા જાય છે ત્યારે ખાણ ખનીજ વિભાગ તેમજ પોલીસ તંત્ર દ્વારા સતત વોચ ગોઠવીને ભૂ માફિયાઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે.
તો થોડા સમય અગાઉ ઉનામાં જ ઊના શહેરના ગીરગઢડા રોડ પર જતા ડમ્પરને આંતરતા ખાણખનીજ વિભાગના ડી, કે. ડાભી તેમજ એમ બી બારડએ ડંમ્પર ચાલકની પૂછપરછ કરી હતી અને ડમ્પરની તપાસ કરી હતી. આ ડમ્પરમાં ગેરકાયદે ખનીજ ભરેલું હોવાની જાણ થતા ડમ્પર સહિત 9થી 10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે ખાણ અને ખનીજ વિભાગે જણાવ્યું હતું કે હવેની આગળની કામગીરીમાં ખનીજ ચોરી માટે ખોદવામાં આવેલા ખાડાની જીપીએસસી સિસ્ટમ દ્વારા ચકાસણી કરીને માપણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઘટનાને પગલે ખનીજચોરી કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
નોંધનીય છે કે નદીમાં રેત ખનન કરતા તેમજ ખનીજ ચોરી કરતા માફિયા ઉપર વારંવાર રેડ પાડીને કાર્યવાહી કરવા છતાં તેમની ગુનાખોરીની પ્રવૃત્તિઓ અટકતી નથી, તેથી છેલ્લા કેટલાક સમયથી તેમને પાઠ ભણાવવા હવે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ નવી નવી યુક્તિ અપનાવી રહ્યા છે. રાજ્યમાં જે રીતે રેતી સહિતના કુદરતી ખનીજની ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેવા સંજોગોમાં રાજ્યના ખાણ-ખનીજ વિભાગને વિશેષ જવાબદારીઓ સાથે ખનીજ ચોરો પર લગામ લાવવા માટે વિશેષ સુચના અપાયેલી છે. જેથી ખાણ-ખનીજ વિભાગે તવાઈ બોલાવવાનું શરુ કર્યુ છે અને રેતી ચોરો સામે લાલ આંખ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લામાં અગાઉ પણ એ.એસ.પી ઓમપ્રકાશ જાટે સોમનાથમાં સરકારી ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરીના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો હતો અને સૂત્રાપાડાના આણંદપુર ગામે દરોડા પાડી લાઇમ સ્ટોનની ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.