ગાંધીનગરમાં 22થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે ‘બિઝનેસ-20 ઈન્સેપ્શન’ની બેઠક, “Gujarat’s G20 Connect” વિષય પર સેશનનું આયોજન

Gandhinagar: G-20ની યજમાની કરવા માટે ગુજરાત સજ્જ બન્યુ છે. ગાંધીનગર 22થી 24 જાન્યુઆરી દરમિયાન 'બિઝનેસ-20 ઈન્સેપ્શન'ની બેઠક યોજાશે. આ દરમિયાન “Gujarat’s G20 Connect” વિષય પર સેશનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

ગાંધીનગરમાં 22થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે બિઝનેસ-20 ઈન્સેપ્શનની બેઠક, “Gujarat’s G20 Connect” વિષય પર સેશનનું આયોજન
મહાત્મા મંદિર
Image Credit source: File
| Edited By: | Updated on: Jan 21, 2023 | 9:23 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતને એક વર્ષ માટે જી-20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. ભારતને અધ્યક્ષતા મળી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પણ અલગ અલગ સ્થળોએ કુલ 15 જી20 બેઠકોની યજમાની કરવા માટે તૈયાર છે. ગુજરાતમાં યોજાનારી બેઠકોમાંથી પ્રથમ બેઠક “બિઝનેસ-20 ઇન્સેપ્શન”ની બેઠક 22 થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે.

મહાત્મા મંદિર ખાતે યોજાનાર બી-20 ઈન્સેપ્શન મીટીંગ દરમિયાન 23મી જાન્યુઆરીના રોજ સાંજે “Gujarat’s G20 Connect” વિષય પર એક વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સેશનમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કેટલીક વિશેષ પરિવર્તનાત્મક પહેલ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ સેશનમાં સૌપ્રથમ ગુજરાતનો પરિચય આપતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે. ત્યારબાદ રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને TDS લિથિયમ-આયન બેટરી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના મેનેજીંગ ડીરેક્ટર હિસાનોરી તાકાશીબા “Gujarat: Accelerating Inclusive Growth and Sustainable Development” વિષય પર તેમના વિચારો રજૂ કરશે.

આ ઉપરાંત આ સેશનમાં ઝાઈડસ લાઈફ સાયન્સના ચેરમેન પંકજ પટેલ અને અરવિંદ લીમીટેડના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર કુલીન લાલભાઈ પણ વિષય સંદર્ભે તેમના વિચારો રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા એશિયામાં સૌપ્રથમવાર શરુ કરવામાં આવેલો ક્લાઈમેટ ચેન્જનો સ્વતંત્ર વિભાગ, મોઢેરા ખાતે શરુ કરવામાં આવેલો દેશનો સૌપ્રથમ સોલાર પાર્ક, ભારતનું સૌપ્રથમ 24×7 સોલાર પાવર સંચાલિત ગામ- મોઢેરા અને ગ્રીન મેન્યુફેક્ચરીંગને પ્રોત્સાહન આપવા જેવી વિશેષ પહેલો ગુજરાતને ગ્લોબલ વેલ્યુ ચેઈન સાથે જોડવાનું કામ કરશે. આ વિવિધ વિષયો પર સેશનમાં વિશેષ ચર્ચાઓ કરવામાં આવશે.

આ પણ વાંચો: Gandhinagar : જી- 20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત 23 જાન્યુઆરીએ ઉદ્ઘાટન સત્રમાં થશે સામેલ, જાણો સમગ્ર કાર્યક્રમ

23 જાન્યુઆરી, 2023ના રોજ સાંજે 6.00થી 7.00 વાગ્યા દરમિયાન ‘ગુજરાતમાં રહેલી તકો’ ઉપર પણ એક સ્પેશિયલ પ્લેનરી સેશન યોજાશે. આ સત્રમાં સંલગ્ન ઉદ્યોગોના 250થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપશે. આ સેશન ગુજરાતમાં રહેલી વ્યવસાય અને રોકાણની તકો અંગે એક ઝલક આપશે અને આ સત્ર એ શક્તિઓનું પ્રદર્શન કરશે જેના કારણે રાજ્ય આજે વર્ષોથી રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. આ સત્રમાં માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઇ, માનનીય ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, માનનીય પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઈ બેરા અને મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર હાજરી આપશે.