
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો સંદર્ભે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં બંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે કાર્યરત શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સેવાઓનું વિસ્તરણ કરીને આવતીકાલ તારીખ 29-12-2022 થી રાજ્યમાં વધુ નવા 28 જેટલા કડિયાનાકા પર આ સુવિધાનો શુભારંભ કરાવવામાં આવશે. આમ હવે રાજ્યના કુલ 51 કડિયાનાકા – વિતરણ કેન્દ્રો પર આ યોજનાની સેવાઓ ઉપલબ્ધ બનશે.મુખ્યમંત્રીના સક્ષમ નેતૃત્વ અને શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના સતત માર્ગદર્શન હેઠળ ગુજરાતના બાંધકામ શ્રમિકો માટે પોષણયુક્ત ભોજન મળી રહી તેવા ઉમદા હેતુથી શરૂ કરવામાં આવેલ શ્રમિક અન્નપૂર્ણા યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ માત્ર રૂ. 5/- ના નજીવા દરે સાત્વિક અને પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શિક્ષણ વિભાગ અંતર્ગત હાથ ધરાયેલ નવીન પહેલ સંદર્ભે માહિતી આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અમલી બનાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોરના સતત માર્ગદર્શન હેઠળ શિક્ષણ નીતિની અમલવારીમાં ગુજરાત અગ્રેસર છે.
મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ની જોગવાઈ હેઠળ આવતા પ્રિ- વોકેસનલ વિદ્યાર્થીઓ કે જેઓ ૬ થી ૮ ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ માટે ૧૦- બેગલેસ ડે ની જોગવાઈ કરવામાં આવી છે. જેનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે. જેમાં જુદા જુદા સ્થાનિક વ્યવસાયો અંતર્ગત વિદ્યાર્થીઓને જીવંત અનુભવો પૂરા પાડવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને બેંક, ઉદ્યોગો, યુનિવર્સિટી, આઈટીઆઈ જેવી સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવશે.
જેના થકી વિદ્યાર્થીઓના જ્ઞાન,સમજણને કૌશલ્ય સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સ્થાનિક ઉદ્યોગો, કળા, સંસ્કૃતિ જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત સ્થાનિક ઔધોગિક સંસ્થાઓના અનુભવો દ્વારા કૌશલ્યવર્ધન અને ભાવી કારકિર્દી વધુ ઉજ્જવળ બનશે. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના રસ અને વલણને જાણી શકાશે. જો કે વિદ્યાર્થીને કોઈ ગ્રેડ કે ગુણ આપવામાં આવશે નહીં. શિક્ષક આનો આંતરિક અથવા ગોપનીય મૂલ્યાંકન કરી શકે અને તેનો આંતરિક રેકોર્ડ પણ રાખી શકે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતુ.
વધું વિગતો આપતા તેમણે કહ્યું કે, શિક્ષકો અને બાળકો સરેરાશ રોજ છ કલાક શાળામાં વિતાવે છે, જેને જોતા વર્ષ દરમિયાન આ કાર્યક્રમની પ્રવૃતિઓ માટે શાળાના સમયના 10 દિવસ અથવા તો 60 કલાક ફાળવવામાં આવશે.જેમાં સત્રના પ્રથમ ભાગમાં 5 દિવસ અને સત્રના બીજા ભાગમાં ૫ દિવસ આમ 10 દિવસ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાશે.
પ્રારંભિક તબક્કે જાન્યુઆરી–2023 ના પ્રથમ સપ્તાહમાં અજમાયશી ધોરણે રાજ્યની 491 ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 10 -બેંગલેસ ડેનો અમલ શરૂ કરવામાં આવશે.જ્યારે બીજા તબક્કામાં જાન્યુઆરી, 2023 અંત સુધીમાં 1109 ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 10 -બેગલેસનું અમલીકરણ કરવામાં આવશે. જેના માટે શાળા દીઠ- રૂ. 15,000 એમ કુલ રૂ. બે કરોડની નાણાકીય જોગવાઇ કરવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતુ.
Published On - 5:42 pm, Wed, 28 December 22